Book Title: Gyandhara 03
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
આધેય છે, તેનો કોઈ આધેય નથી. તે સ્વપ્રતિષ્ઠિત છે. લોકાકાશ અસંખ્યાતપ્રદેશી છે, જ્યારે અલોકાકાશ અનંતપ્રદેશી છે. આમ દ્રવ્યથી - આકાશ અનંતપ્રદેશાત્મક છે.
ક્ષેત્રથી - અનંતવિસ્તારયુક્ત લોકાલોક પ્રમાણ છે. કાળથી - અનાદિ અનંત છે.
ભાવથી - અમૂર્ત છે; વર્ણ, ગંધ, રસ, સ્પર્શ રહિત છે. જે રીતે જૈનદર્શન કોઈ એક જ તત્ત્વને વિશ્વના આધારભૂત તરીકે માનતું નથી, તેમ આધુનિક ભૌતિકશાસ્ત્ર પણ આ અફાટ બ્રહ્માંડમાં ત્રણ મુખ્ય પદાર્થોનાં અસ્તિત્વને સ્વીકારે છે : (૧) અવકાશ કે આકાશ (Space). (૨) સમય-કાળ (Time) અને (૩) પુદ્ગલ (Matter). સમગ્ર ભૌતિકશાસ્ત્રમાં તેનો જ વિચાર અને ગણતરી કરવામાં આવી છે. જો કે આ વિચારનાર કે કરનાર વ્યક્તિ બ્રહ્માંડનું સૌથી અગત્યનું દ્રવ્ય છે - જેને આત્મા કહેવાય છે - તેની વિચારણા વિજ્ઞાનમાં કરવામાં આવતી નથી. તેનો ઉલ્લેખ માત્ર કરી ભૌતિક વિજ્ઞાનની દૃષ્ટિએ પુદ્ગલની શોધ એ જ વિજ્ઞાનનું લક્ષ્ય બની રહ્યું છે.
આધુનિક વિજ્ઞાનનો પ્રારંભ સત્તરમી સદીથી - ગેલિલિયો અને ન્યૂટનના સમયથી માનવામાં આવે છે. ત્યારથી પ્રયોગો અને નિરીક્ષણોનું મહત્ત્વ વધ્યું. સિદ્ધાંતોમાંથી જે પરિણામો મળે તે પ્રયોગની કસોટીએ પાર ઊતરે તે પછી જ આ સિદ્ધાંતો વિજ્ઞાનમાં સ્થાન પામે તે સ્વીકારવામાં આવ્યું.
ન્યૂટને ગતિના નિયમો આપ્યા અને સાથે ગતિના માધ્યમ રૂપે “ઇથર' નામના દ્રવ્યનો ખ્યાલ પ્રચલિત કર્યો. એ દ્રવ્ય સર્વવ્યાપી અને શૂન્યાવકાશમાં પણ તેનું અસ્તિત્વ હોવાનું માનવામાં આવ્યું. મેક્સવેલની થિઅરી ઓફ ઈલેક્ટ્રોમેગ્નેટિઝમમાં નોંધ લેવામાં આવી કે પ્રકાશના તરંગો ચોક્કસ વેગ સાથે ઇથર'માં ગતિ કરે છે, જે રીતે ધ્વનિના તરંગો હવામાં ગતિ કરે છે. આમ ન્યૂટન અને જૈનદર્શન આકાશને સ્વતંત્ર, વસ્તુસાપેક્ષ (Objective) રૂપે જુએ છે અને તેને સ્થિર, એક અખંડ અવકાશની ક્ષમતાવાળું સ્વીકારે છે.
તેમ છતાં બંનેમાં મોટું અંતર છે. ન્યૂટનના ભૌતિકશાસ્ત્રમાં આકાશ સાથે ઇથર જેવા ભૌતિક તત્ત્વનો અવિચ્છિન્ન સંબંધ દર્શાવ્યો છે, જ્યારે જૈનદર્શનમાં સ્વતંત્ર એવા અભૌતિક ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય જેવા ગતિ-સ્થિતિની સમસ્યાનું સમાધાન કરનાર દ્રવ્યોનું નિરૂપણ કરવામાં આવ્યું છે.
જ્ઞાનાધારા - ૩
૨૦૩
GH જૈન સાહિત્ય જ્ઞાનસત્ર-૩
1