________________
૨. પિBધ્વપિ મસ્થિતિશ્ચન્યા ‘પાપીઓ પર પણ ભવસ્થિતિનો વિચાર કરવો’ છે
વાણીના ઉપયોગ દ્વારા અનંતા તીર્થકરોએ, ગણધરોએ, યુગપ્રધાનોએ, આચાર્યોએ મોક્ષમાર્ગ કહ્યો, તે જ વાણીને આપણે નિંદા દ્વારા અભડાવીશું ? ગંગાને ગટર બનાવીશું ? અમૃતને ઝેર બનાવીશું ?
આંખ, કાન, નાક આદિ બબ્બે હોવા છતાં એક જ કામ છે. જયારે જીભ એક જ હોવા છતાં બન્ને કામ છે : વાદ કરવાનું ને સ્વાદ કરવાનું ! બંનેમાં ધ્યાન ન રાખ્યું તો કામથી ગયા.
સ્વાદમાં ધ્યાન ન રાખ્યું તો પેટ બગડશે... બિમારી આવશે. વાદમાં ધ્યાન ન રાખ્યું તો ઝગડો થશે, સંબંધો બગડશે.
બિમારી મટાડવા ડૉકટર પાસે જવું પડે તો ઝગડા માટેના કેસો માટે વકીલ પાસે જવું પડે. ડૉકટર અને વકીલ બંનેની ઉત્પત્તિ જીભના, દુરુપયોગથી થયેલી છે.
આ જીભને જીતવી ખૂબ જ કઠણ છે, જે એને જીતે તે આખા જગતને જીતી શકે. જીભ જીતી તેણે જગત જીત્યું.
વ્યર્થ જ બોલી-બોલીને આપણે વાણીનો કેટલો બધો દુરુપયોગ કરીએ છીએ ? એના કારણે કેટલા લોકો સાથે આપણે સંબંધો બગાડીએ છીએ ? કેટલા શત્રુ ઊભા કરીએ છીએ ?
એક સ્થલે ઠીક જ કહ્યું છે : यदीच्छसि वशीकर्तुं जगदेकेन कर्मणा । पराऽपवादसस्येभ्यो, गां चरन्ती निवारय ।
‘આખા જગતને જો એક જ કામથી તું વશ કરવા ઇચ્છતો હોય તો પર-નિંદારૂપી ઘાસ ચરનારી તારી વાણીરૂપી ગાયને અટકાવી દે.'
નિંદાથી અટકીએ તો ખરેખર આપણે ઘણા અનર્થોથી બચી જઇએ.
ઉપા. મહારાજ બીજો ગુણ બતાવતાં કહે છે : પાપીની પણ નિંદા નહિ કરતા.
સામાન્ય રીતે આપણને થાય : ધર્મીની નિંદા કરીએ તો તો પાપ લાગે, પણ પાપીઓની નિંદા કરવામાં શો વાંધો ?
જેઓ ધર્મનો દ્વેષ કરે છે, દેવ-ગુરુના નિંદક છે, તેમની નિંદા કરવામાં શો દોષ ?
ઉપા.મ. કહે છે : નિંદા કોઇની પણ ન કરાય; ચાહે કોઇ ધર્મી હોય કે અધર્મી ! પાપી હોય કે પુણ્યવાન !
નિંદા કે ધિક્કાર કરવા હોય તો પાપના કરાય, પાપીના નહિ, એવું આપણે ઘણીવાર સાંભળ્યું છે, પણ વાસ્તવિક જીવનમાં પાપ અને પાપી વચ્ચેની ભેદરેખા ભૂંસાઇ જતી દેખાય છે. પાપની નિંદા કરતાં-કરતાં પાપી પર ક્યારે પહોચી જવાય છે, તેનો ખ્યાલ જ નથી આવતો.
પાપીની નિંદા કરનાર આપણે કોણ ? આપણે સ્વયં પાપરહિત છીએ ? જો આપણે પાપરહિત નથી તો નિંદા કરવાનો આપણો જરા પણ અધિકાર નથી. આ કેટલું આશ્ચર્ય છે ? સંપૂર્ણ પાપ-રહિત પ્રભુ કદી કોઇની નિંદા કરતા નથી. એ તો પાપીને પણ પૂર્ણરૂપે જુએ છે. જયારે આપણે પાપીઓ કોઇનેય છોડતા નથી.
ઉપદેશધારા # ૧૭૭
ઉપદેશધારા ૧૭૬