________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મોરી, મેઘરજ, દેવગદાઘર (શામળાજી) અને મોડાસા દક્ષિણમાં લૂણાવાડાના પાનરવાડા, કડાણાના ઢીંગલવાડા, સ્થનામૂલ સ્થ અને રાયપુર શહર (સંતરામપુર), પંચમહાલના ઝાલોદ લીમડી, માળવામાં ઝાબુઆના ઉત્તરી ભાગ અને પૂર્વમાં માળવાના સૈલાના ના ઘાંટા તથા દાહોદ-રતલામ અને પ્રતાપગઢ-દેવલિયાના કેટલાક ભાગ સુધી હતો. આજે પણ મેવાડ - માલવા - ગુજરાતના સીમાવર્તી ક્ષેત્રોના વાગડમાં જે તે મિશ્ર બોલી બોલાય છે. બસો એક વર્ષ ઉપર વાગડના લોકો આજીવિકા માટે ગુજરાતમાં આવતા તેમના માટે રેલવે સ્ટેશન રતલામ, દાહોદ તથા તલોદ હતા. ત્યાંથી ઊંટ ભાડે કરીને અગર પગપાળા પ્રવાસ કરતા હતા. તલોદથી મોડાસા થઈ મેવાડાની વાટે ડુંગરપુર અને દાહોદથી ઝાલોદ-લીમડીની વાટે વાંસવાડા જવાતું હતું. વ્યાપારિક સંબંધ પણ વાગડનો ગુજરાત સાથે જ વધારે હતો. મેવાડ સાથે વાણિજય સંબંધ કમ હતો. માળવાના ઇન્દોર રતલામ સાથે અલ્પ વહેવાર રહેતો. દાહોદ - ઝાલોદ - લીમડી, સંતરામપુર, મેઘરજ, માલપુર, મોડાસા, ઇડર હિમ્મતનગર, તલોદ (ઉત્તર ગુજરાત) સાથે વધુ સંબંધ રહેતો હતો. મહારાષ્ટ્રમાં ખાસ કરીને મુંબઈ અને ગુજરાતના અમદાવાદ, નડિયાદ, વડોદરા, સુરત વગેરે સ્થળોએ જવા આવવા માટે પણ ઉપર વર્ણવેલા માર્ગો દ્વારા જ અવરજવર થતી હતી. આર્થિક વ્યાવસાયિક સંબંધોના લીધે સામાજિક સંબંધો પણ બંધાયા-બેટી-રોટીની આપલે થઈ અને રીતિ રિવાજોનું અનુસરણ પણ થયું. ધાર્મિક લાગણીઓ પણ એક સમાન રહી. રાજનૈતિક ચેતનામાં પણ પંચમહાલના માણેકલાલ ગાંધી, અમૃતલાલ ઠક્કર બાપાના પ્રભાવથી વાગડમાં સેવાસંઘની સ્થાપના થઈ (માનગઢ કાંડ તો ઇતિહાસની ૧૮૫૭ની યાદ આપતી ઘટના છે જ). સાબરમતીના ગાંધી આશ્રમનો પ્રભાવ અને સંબંધ ડુંગરપુર અને વાંસવાડાના વાગડના કાર્યકરતાઓ સાથે પ્રેરક અને આશ્રયસ્થાન જેવો રહ્યો છે. ગુજરાતના સોલંકી અને માળવાના પરમારોનું વાગડ પર આધિપત્ય રહ્યું હોઈ સંબંધ રહેલો. ઈ.સ. ૧૫૨૯ માં વાગડના બે ભાગ થયા. મહીસાગર નદી વિભાજક રેખા બની, પૂર્વનો ભાગ વાંસવાડા રાજ્ય અને પશ્ચિમનો ભાગ ડુંગરપુર રાજ્ય બન્યો. આમ વાગડ અને ગુજરાતનો નાતો પ્રાચીનકાળથી ઘરોબો ધરાવે છે.
આઝાદીની ચળવળમાં નાગપુર, ઇન્દોર, અમદાવાદ, મુંબઈમાં વસતા વાગડવાસીઓએ હોંશભેર ભાગ લીધો અને આઝાદી પછી તો મુંબઈ, નાગપુર, સુરત, વડોદરા, અમદાવાદ વાગડવાસીઓને રોજી-રોટી પૂરી પાડે છે. મુંબઈમાં હોટલો-લૉઝો ચલાવીને વાગડવાસીઓ પોતાનું પેટ ભરે છે. મુંબઈની કોઈ ગલી કે મહોલ્લો એવો નહિ હોય કે જ્યાં વાગડવાસી ‘ભટ' નહિ હોય.
અમદાવાદમાં વાગડિયા ‘રામા' લોકો પણ મોટે ભાગે વાગડના (ક્વચિત મેવાડના પણ) પ્રવાસી લોકો છે. સુરત, વડોદરા, અમદાવાદ જેવા ગુજરાતના મોટા શહેરોમાં વાગડના રામાં લોકો તથા ફેરિયા (રદી છાપા તથા ભંગાર ભેગું કરનારા) લોકો મોટી સંખ્યામાં છે. ગુજરાત વાગડની જીવાદોરી સમાન છે. ગુજરાતની કમાઈ નહિ હોય તો કે વાગડવાસી ભુખે મરે તેવી નોબત આવે. ઉદ્યોગ ધંધા તથા મીલો-કારખાનાઓમાં મજુરી કરી પાડોશી વાગડવાસી રોજીરોટી મેળવવા ઉપરાંત ગુજરાતવાસી પણ બની ગયા છે. લાખોની સંખ્યામાં વાગડના મૂળ નિવાસી લોકો ગુજરાતમાં ઠરીઠામ થઈ ગયા છે. વેપારઉદ્યોગમાં પણ કેટલાકે ઝંપલાવ્યું છે, તો ઘણા બધા બુદ્ધિશાળીઓ નોકરી ધંધામાં પણ પરોવાયા છે. શિક્ષણક્ષેત્રમાં બી.એ., બી.એડ, થઈ નોકરીમાં પણ જોડાયા છે. ગુજરાતમાં ગુજરાતી બની વૈવાહિક સંબંધો પણ સ્થાપિત કર્યા છે. ઉત્તર ગુજરાતની રાજપૂત કન્યાઓ વાગડમાં વિશેષ પરણાવાઈ છે. નાથદ્વારાના શ્રીનાથજીના ભક્તો ગુજરાતી વિશેષ છે. દવાદારૂ અને ઇલાજ અર્થે વાગડના લોકો મોડાસા, હિમ્મતનગર, ઈડર અને અમદાવાદને પસંદ કરે છે. રેલવે તથા એસ.ટી.બસો, પ્રાઈવેટ બસો-ટ્રકોની સુલભતાને લીધે વાગડ સાથે ગુજરાતનો વેપાર વધ્યો છે. આમ આરોગ્ય, શિક્ષણ, વેપાર, સામાજિક સંબંધો તથા આધ્યાત્મિક અને ધાર્મિક બાબતોમાં પણ વાગડના લોકોનો ગુજરાત સાથે નિકટનો સંબંધ બંધાયો છે.
મોરારી બાપુ અને આશારામ બાપુનાં પ્રવચનો વાગડમાં યોજાય છે અને આશ્રમોની શાખાઓ પણ ખોલાઈ છે.
ડુંગરપુર વાંસવાડાના વાગડ ગુજરાતનો ભાગ હોવા છતાં રાજનૈતિક નકશાથી રાજસ્થાનનો ભાગ બનાવાયો છે. કારણ કે રાજવંશોનો સંબંધ મેવાડ રાજસ્થાનથી કૌટુંબિક રહેલો. વળી રાજપૂતાના પ્રદેશ કોંગ્રેસથી વાગડના પ્રજામંડલો જોડાયા હોઈ વાગડને રાજસ્થાનમાં સમાવી લેવાયો છે. પરંતુ ભાષાકીય, સામાજિક, આર્થિક અને ધાર્મિકઆધ્યાત્મિક દૃષ્ટિએ ગુજરાતનો વાગડ સાથે ઘનિષ્ટ સંબંધ રહેલો છે.
પથિક સૈમાસિક - જુલાઈ-ઓગસ્ટ-સપ્ટેમ્બર ૨૦૦૦ - ૧૨
For Private and Personal Use Only