________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિઠ્ઠલ રામજી શિંદેએ અસ્પૃશ્યતા નિવારણ માટે અભિયાન આરંભ્યું ત્યારે સુધારક વલણના લક્ષ્મીદાસ તેમાં જોડાઈ ગયા. તેના ફલ સ્વરૂપે ભાટિયા જ્ઞાતિના રૂઢિચુસ્ત આગેવાનો તેમના ઉપર ચિઢાયા. તેમને જ્ઞાતિમાંથી દૂર કરવાની નોટિસ આપવામાં આવી. તેનું અસરકારક પરિણામ ન આવવાથી જ્ઞાતિએ ઠરાવ કરીને તેમની સાથેના સર્વે સંબંધો કાપી નાખીને સામાજિક બહિષ્કાર કર્યો. અનેક કષ્ટો સહન કરીને બળવાખોર મિજાજના લક્ષ્મીદાસ પહાડની જેમ અચળ રહ્યા. આવા મક્કમ મનોબળના પરિણામે તેમની પ્રતિષ્ઠા વધી, જ્ઞાતિજનોને પ્રોત્સાહન આપનાર ધર્માચાર્યો નરમ પડ્યા. ભાટિયા મહાજન મંડળની તેરસી વિરુદ્ધની પ્રવૃત્તિઓ ક્રમશઃ બંધ પડી ગઈ. એક અદાલતમાં પોતાના વિચારો પ્રગટ કરતાં તેમણે કહ્યું હતું કે, “હું કોઈ જ્ઞાતિ કે સંપ્રદાયમાં માનતો નથી. મારો કોઈ ધર્મ કે ભગવાન નથી. હું ફક્ત હિંદુ છું.”
લોકમાન્ય બાળગંગાધર ટિળક અને શ્રીમતી એની બેસન્ટે અનુક્રમે પુર્ણ અને ચેન્નાઈ(મદ્રાસ)માં અલગ અલગ હોમરૂલ લીગની સ્થાપના કરી. તેનો ઉદ્દેશ સંસ્થાનિક દરજ્જાનું સ્વરાજ મેળવવાનો હતો. તેરસી આ ચળવળમાં જોડાયા અને તેમાં મહત્ત્વનો ભાગ લીધો. મુંબઈમાં જમનાદાસ દ્વારકાદાસ, ઉંમર સોબાની, શંકરલાલ બેંકર વગેરે સાથે તેરસીએ હોમરૂલ આંદોલનનું સંગઠન સાધવામાં તથા સભાઓ યોજી લોકોને સ્વરાજની જરૂરિયાત સમજાવવામાં તેમણે નોંધપાત્ર કાર્ય કર્યું. તેરસી મુંબઈની શાખાના ખજાનચી બન્યા અને લીગની પ્રવૃત્તિઓ માટે અનેક ગુજરાતી શ્રીમંતો પાસેથી મોટી રકમોનો ફાળો ઉઘરાવી આપ્યો હતો.
ઈ.સ. ૧૯૧૮માં મુંબઈમાં ઇન્ફલ્યુએન્ઝાનો રોગ ફાટી નીકળ્યો. દવાઓ અને ડૉક્ટરો તેના ફેલાવાને રોકવામાં અશક્તિમાન પુરવાર થયાં, રોજના સેંકડો માણસો મૃત્યુ પામતા હતા. રોજનાં આઠસો જેટલાં શબ સ્મશાને અગ્નિસંસ્કાર કરવા લઈ જવામાં આવતાં હતાં. લોકોને દવાઓ વહેંચવાની વ્યવસ્થા કરવા ઉપરાંત, તેરસી સ્મશાનમાં હાજર રહીને, યોગ્ય રીતે અગ્નિ સંસ્કાર થાય તેની પૂરતી કાળજી રાખવા લાગ્યા. ત્યાં તેઓ બધા લોકોને શક્ય એટલી વધુ મદદ કરતા હતા. બળતણનાં લાકડાંની વધી ગયેલી માંગને ધ્યાનમાં રાખીને લાકડાંના કેટલાક અન્ય ધર્મના વેપારીઓએ ભાવો ખૂબ વધારી દીધા. તેમણે લાકડાંની કૃત્રિમ તંગી સર્જી, લક્ષ્મીદાસ સંજોગોના દાસ થવામાં માનતા નહોતા. તેમનો સેવાભાવી આત્મા ખળભળી ઊઠ્યો. તેમણે વેપારીઓની ઈજારાશાહી તોડવા અને સામાન્ય લોકોની સેવા કરવા બળતણનાં લાકડાંની દુકાન ખોલીને ઘણા ઓછા ભાવે લાકડાં વેચવા માંડ્યાં. વળી સાધારણ સ્થિતિના લોકોને વિનામૂલ્યે લાકડાં આપવા માંડ્યાં.
ભારતના જાણીતા રાષ્ટ્રવાદી અંગ્રેજી દૈનિક ધ બોમ્બે ક્રોનિકલ'ના તંત્રી બી.જી. હોર્નિમેનને બ્રિટિશ સરકારની વિરુદ્ધમાં લેખો પ્રગટ કરવાને કારણે ૧૯૧૯માં સરકારે દેશનિકાલ કર્યા. ત્યારે એક દેશભક્ત અંગ્રેજને આર્થિક સહાય કરવા તેરસીએ વીસ હજાર રૂપિયાનો ફાળો ભેગો કરી હોર્નિમેનને મોકલી આપ્યો. આ ઉપરાંત તેઓ આર્થિક જરૂરિયાતવાળા વિદ્યાર્થીઓ, દર્દીઓ, ગરીબો, અનાથો વગેરેને ગુપ્તદાન કરતા. દાન આપીને નામના મેળવવાની તેમણે કદાપિ ઈચ્છા રાખી નહોતી.
લક્ષ્મીદાસ શિખામણ આપવાને બદલે તેનો અમલ કરવામાં માનતા હતા. ઈ.સ. ૧૯૨૦માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું વાર્ષિક અધિવેશન નાગપુરમાં મળ્યું. તેમાં ગાંધીજીએ અસહકારનો ઐતિહાસિક ઠરાવ રજૂ કરીને તેના ઉપર ભાષણ આપ્યું. ગાંધીજીની હૃદયભેદક વાણી સાંભળીને તેમના વિરોધીઓ પણ ટેકેદારો બની ગયા. ઠરાવના કાર્યક્રમ મુજબ તેરસીએ વિદેશી માલનો બહિષ્કાર કરવા, ધરખમ આવક આપતો વિદેશી માલની દલાલીનો ધંધો બંધ કરીને રાષ્ટ્રભક્તિનું ઉત્કૃષ્ટ ઉદાહરણ રજૂ કર્યું. બીજા વેપારીઓ ઈંગ્લેન્ડના માલને બદલે જાપાનનો માલ મંગાવવા લાગ્યા. પરન્તુ તેરસી ભારત સિવાય અન્ય કોઈ દેશનો માલ વેચવા તૈયાર નહોતા, જે તેમની ઉત્કૃષ્ટ રાષ્ટ્રભક્તિ દર્શાવે છે.
તેરસીનો વેપાર ચાલુ હતો તે દરમિયાન ધંધાના એક સોદાની ચર્ચામાં એક વિદેશી વેપારીએ તેમની સમક્ષ બડાશ મારી કે ‘તમે જાણો છો મારા નામનો અર્થ સિંહ થાય છે ?’ લક્ષ્મીદાસે તે જ ક્ષણે જવાબ આપ્યો કે, ‘તમારા
પથિક ♦ ત્રૈમાસિક - જુલાઈ-ઓગસ્ટ-સપ્ટેમ્બર ૨૦૦૦ ૦ ૨૧
•
For Private and Personal Use Only