Book Title: Dhyanvichar
Author(s): Chandrahas Trivedi
Publisher: Gurjar Agency

View full book text
Previous | Next

Page 83
________________ શરીરપ્રેક્ષા પ્રેક્ષાધ્યાનનું બીજું અંગ શરીર પ્રેક્ષા છે. શરીર પ્રેક્ષા એટલે શરીરને જોવાનું. આમ તો આપણે દિવસમાં કેટલીય વાર શરીરને જોયા જ કરીએ છીએ પણ તે ધ્યાન બનતું નથી કારણ કે આપણે તટસ્થ રહીને તે જોતા નથી. વળી આપણે શરીરને બહારથી જ જોઈએ છીએ જ્યારે શરીર પ્રેક્ષામાં આપણે તેને અંદરથી જોવાનું છે. આપણા મનમાં સહજ પ્રશ્ન થાય કે અંદરથી શરીરને કેવી રીતે જોવાય? આપણે શરીરને મન દ્વારા જોવાનું છે. પ્રેક્ષાધ્યાનની પૂર્વતૈયારી માટેનાં જે ચરણોનો આગળ ઉલ્લેખ કર્યો છે તે પૂર્ણ કર્યા પછી આપણે શરીરને ધ્યાનનો વિષય બનાવીને પગથી માથા સુધી ધીમે ધીમે જોવાનું છે. આ પ્રેક્ષા કરતી વેળાએ આપણે શરીરના પ્રત્યેક અંગ-ઉપાંગ અસ્થિ, સ્નાયુ, માંસપેશી ઇત્યાદિનું અંદરથી નિરીક્ષણ કરતા રહેવાનું છે. પગથી માથા સુધી અને માથાથી પગ સુધીની આ પ્રેક્ષાયાત્રા વીસથી ત્રીસ મિનિટ કરતા રહીશું તો જ ત્યાં આપણને કંઈ જોવા મળશે કે અનુભૂતિ થશે. એવું પણ બને કે થોડાક દિવસ આપણને આ પ્રેક્ષાયાત્રા દરમિયાન કંઈ પણ ખાસ થતું જોવા ન મળે કે અનુભવ ન થાય પણ એકાગ્રતા સધાતાં અને નિરીક્ષણ સૂક્ષ્મ બનતાં આપણને જ્યાં ત્યાં સંવેદનની લાગણી થશે. એક પ્રકારના કંપનનો અનુભવ થશે. રક્તસંચારના ધબકારા વર્તાશે. આવાં પ્રકંપનો ન થાય તો પણ પ્રેક્ષા કરતા રહેવી પણ કંપન પેદા કરવા પ્રયાસ કરવો નહીં. આ બધા આપણી ચેતનાના ધબકાર હોય છે જેના દ્વારા શરીર જીવંત રહેતું હોય છે. બાકી શરીર તો નિર્જીવ છે. પ્રેક્ષા દરમિયાન જે કંઈ સંવેદન થાય કે દેખાય તે પ્રતિ આપણે ઉદાસીન ભાવ રાખવાનો હોય છે અને તેની કંઈ પ્રતિક્રિયા કરવાની નથી હોતી. આ વાત સચવાશે તો જ પ્રેક્ષા ધ્યાન બનશે. વાસ્તવિકતામાં શરીરપ્રેક્ષા એ આત્મદર્શનની પ્રક્રિયા છે. આત્માના શુદ્ધ સ્વરૂપ પ્રતિની યાત્રાનું પહેલું પ્રસ્થાન શ્વાસદર્શન છે તો બીજું ચરણ શરીરપ્રેક્ષા છે. સામાન્ય રીતે આપણું જીવન બહિર્મુખી હોય છે. શરીર પ્રેક્ષા એ અંતર્મુખી થવાની પ્રક્રિયા છે. શરીરપ્રેક્ષામાં પ્રાણની વિધ વિધ ધારાઓની ધ્યાનવિચાર ૮૨

Loading...

Page Navigation
1 ... 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114