Book Title: Charitra Darshan
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 253
________________ અમે ભાઈબહેનો કાગળની કોથળી બનાવવી, કેલેન્ડરમાં ચિત્રો ચોંટાડવાં વગેરે પ્રકારનાં પરચૂરણ કામો મેળવી લાવી નાની રકમ કમાતા અને એથી કુટુંબમાં રાહત થતી. એક દાયકો આવી સખત હાડમારીનો પસાર થયો. મોટા બે ભાઈઓએ ભણવાનું છોડી ચૌદ-પંદર વર્ષની નાની ઉંમરે નોકરી ચાલુ કરી દીધી. બીજા વિશ્વયુદ્ધ વખતે મુંબઈ ખાલી થયું ત્યારે કુટુંબ એક વર્ષ માટે પાદરા ગયું. પિતાશ્રી સાથે અમે બે ભાઈઓ મુંબઈમાં રહ્યા. ત્યારે મારી ઉંમર પંદરેક વર્ષની હશે. અમે હાથે રસોઈ કરીને ખાતા. પિતાશ્રી નોકરીએ જતા અને અમે શાળામાં ભણવા જતા. વિશ્વયુદ્ધનો મુંબઈ પરનો ભય હળવો બન્યો અને કુટુંબ પાછું મુંબઈ આવીને રહેવા લાગ્યું. ઈ. સ. ૧૯૩૬ થી ૧૯૪૮ સુધી એમ બાર વર્ષ સુધી પિતાશ્રી અને મારા બે વડીલ બંધુઓની નોકરીની આવકમાંથી કુટુંબનું ગુજરાન ચાલ્યા કર્યું. ૧૯૪૮માં અમે બીજા બે ભાઈઓ યુનિવર્સિટીમાં ડિગ્રીની પરીક્ષા પાસ કરીને તરત નોકરીએ લાગી ગયા. પછી કંઈક આર્થિક રાહત અનુભવાવા લાગી. ક્રમે ક્રમે આવક વધતી ગઈ. એક પછી એક ભાઈઓનાં લગ્ન થતાં ગયાં, ઘર મંડાતાં ગયાં અને એમ પાછો કુટુંબનો ઉત્કર્ષ થતો ગયો. માતા રેવાબાનું અવસાન ૧૯૭૫માં થયું. પિતાશ્રી અને અમે છ ભાઈ અને બે બહેનોના પરિવારના સભ્યોની સંખ્યા હવે સો ઉપર નીકળી ગઈ. ત્રીજી પેઢીનાં સંતાનો પણ હવે વ્યવસાયે લાગી ગયાં. પિતાશ્રી કહે છે કે ખેતવાડીના એક રૂમમાંથી હવે અમેરિકા, સિંગાપુર, મુંબઈ, વડોદરા, અમદાવાદ વગેરે દેશ-વિદેશોમાં આવેલાં કુટુંબનાં ઘણાં મોટાં મોટાં ઘર થઈ ગયાં. ફરી પાછો પહેલાંથી પણ અધિક વળતો દિવસ જોવા મળ્યો. આમ છતાં પિતાશ્રીએ ઘણાં વર્ષોથી અપનાવેલી સાદાઈ પ્રમાણે એમની પાસે તો બે જોડ વસ્ત્રથી વધુ પરિગ્રહ હોતો નથી. સંતાનો સ્વતંત્ર થયા પછી લગભગ પંચાવનની ઉંમરે ધન કમાવામાંથી એમણે રસ છોડી દીધો હતો. પોતાના નામે બેન્કમાં ખાતું કે મિલકત નથી કે નથી તેમણે ઘણાં વર્ષોથી કોઈને પ્રશ્ન કર્યો કે, “તમે શો વ્યવસાય કરો છો અને તમારી શી આવક છે? તેઓ સતત ધર્મમય જીવન જીવે છે. સાધુ મહારાજ જેટલો પરિગ્રહ તેઓ રાખે છે. ઉપકારીના ઉપકારનું વિસ્મરણ ન કરવું અને ધર્મમાં શ્રદ્ધા રાખવી એ માટે વારંવાર ભલામણ કરે છે. પિતાશ્રીનું જીવન એટલે ચડતી-પડતી અને પાછી ચડતીના દિવસોનું જીવન. પણ એ દરેક તબક્કામાં એમણે સ્વસ્થતા અને સમતાપૂર્વક ધર્મને આદર્શ તરીકે રાખ્યો છે. એમના સરળ, નિરભિમાની, નિઃસ્પૃહ, ધર્મમય શાંત પ્રસન્ન જીવનમાંથી અમને હંમેશાં સતત પ્રેરણા મળતી રહી છે. (‘વંદનીય હૃદયસ્પર્શમાંથી) મારા પિતાશ્રી ૨૦૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344