Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Urmilabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
અધ્યયન-૧૨
| ૩૪૯ |
અથવા નો વિતિનિચ્છતિ :-અજ્ઞાનવાદી પોતાના સિદ્ધાંતનું પ્રતિપાદન કરે છે તે જ્ઞાન જ છે છતાં જ્ઞાનનો નિષેધ કરે છે. જ્ઞાન વિના પદાર્થોનું યથાર્થ સ્વરૂપ કેવી રીતે સમજી શકાય? તેથી તેઓ મહાભ્રાન્તિના શિકાર તથા અસંબદ્ધભાષી છે.
અજ્ઞાનનો પર્યદાસ નગ્ન સમાસથી અર્થ કરવામાં આવે તો અર્થ થાય છે– જ્ઞાનથી ભિન્ન, જ્ઞાન જેવું બીજું જ્ઞાન. આ રીતે અજ્ઞાન શબ્દ દ્વારા જ્ઞાનને જ કલ્યાણનું સાધન માનવું પડશે. પ્રસજ્યનઝ સમાસ અનુસાર અજ્ઞાનનો અર્થ થાય છે– જ્ઞાનનો નિષેધ અથવા અભાવ. તે પ્રત્યક્ષથી વિરુદ્ધ છે, કારણ કે સમ્યકજ્ઞાન દ્વારા પદાર્થનું સ્વરૂપ જાણ્યા પછી જ વ્યક્તિ પ્રવૃત્તિ કરે છે. તેથી અજ્ઞાનવાદીનું કથન યુક્તિસંગત નથી.
- અજ્ઞાનવાદીઓનું કથન છે કે બધા જ્ઞાનવાદીઓ પદાર્થનું સ્વરૂપ પરસ્પર વિરુદ્ધ બતાવે છે. તેથી તેઓ યથાર્થવાદી નથી. જેમ કે કોઈ આત્માને સર્વવ્યાપી, કોઈ અસર્વવ્યાપી, કોઈ હૃદયસ્થિત, કોઈ તેને લલાટ સ્થિત અને કોઈ એને અંગૂઠાના પર્વ તુલ્ય માને છે. કોઈ આત્માને નિત્ય અને અમૂર્ત તથા કોઈ અનિત્ય અને મૂર્તિ માને છે. બધા જ્ઞાનવાદીઓ પરસ્પર એકમત નથી. તેમાંથી કોનું કથન પ્રમાણભૂત માનવું અને કોનું નહીં? જગતમાં કોઈ અતિશયજ્ઞાની (સર્વજ્ઞ) પણ નથી, જેનું કથન પ્રમાણ રૂપ માનવામાં આવે. સર્વજ્ઞ હોય તો પણ અસર્વજ્ઞ(અલ્પજ્ઞ) તેને જાણી શકતા નથી અને સર્વજ્ઞને જાણવાનો ઉપાય પણ સર્વજ્ઞ બન્યા વિના શક્ય નથી. આ જ કારણ છે કે સર્વજ્ઞના અભાવમાં અસર્વજ્ઞો(જ્ઞાનવાદીઓ)ને વસ્તુના યથાર્થ સ્વરૂપનું જ્ઞાન ન હોવાથી તેઓ પદાર્થોનું સ્વરૂપ પરસ્પર વિરુદ્ધ બતાવે છે.
આ બધા આક્ષેપોનો ઉત્તર એ છે કે અજ્ઞાનવાદી સ્વયં મિથ્યાદષ્ટિ છે, સમ્યકજ્ઞાનથી રહિત છે. તેઓ સંશય અને ભ્રમથી ગ્રસ્ત છે. વાસ્તવમાં પરસ્પર અથવા પૂર્વાપર વિરુદ્ધ અર્થ બતાવનારા લોકો અસર્વજ્ઞના આગમોને માને છે પરંતુ તેનાથી સમસ્ત સિદ્ધાંતોને આંચ આવતી નથી. સર્વજ્ઞપ્રણીત આગમોને માનનારા વાદીઓના વચનોમાં પરસ્પર અથવા પૂર્વાપર વિરોધ આવતો નથી, કારણ કે જ્યાં પૂર્વાપર કે પરસ્પર વિરુદ્ધ કથન હોય, ત્યાં સર્વજ્ઞતા હોતી નથી. સર્વજ્ઞતા માટે જ્ઞાન પર આવેલું આવરણ સર્વથા દૂર થવું જોઈએ તથા અસત્ય કે પરસ્પર અસંબદ્ધ અથવા વિરુદ્ધ ભાષણના કારણભૂત જે રાગ, દ્વેષ, મોહ આદિ છે, તે નાશ પામવા જોઈએ. સર્વજ્ઞમાં આ દોષોનો સર્વથા અભાવ હોવાથી તેમના વચન સત્ય છે, પરસ્પર વિરુદ્ધ નથી.
સર્વજ્ઞપ્રણીત આગમોને માનનારા બધા એકમતથી આત્માને સ્વશરીરવ્યાપી માને છે. સર્વજ્ઞ પ્રણીત આગમને માનનારા જ્ઞાનવાદી પરસ્પર વિરુદ્ધભાષી નથી.
અજ્ઞાનવાદી ધર્મોપદેશમાં સર્વથા અનિપુણ:- શાસ્ત્રકાર કહે છે– અજ્ઞાનવાદી અજ્ઞાનવાદનો આશ્રય લઈને વિચાર્યા વિના અસંબદ્ધ ભાષણ કરે છે અને શિષ્ય પરંપરામાં પણ અજ્ઞાનનો જ પ્રસાર કરે છે, પરિણામે અજ્ઞાનવાદીઓ આત્મકલ્યાણ કરી શકતા નથી પરંતુ ભિન્ન ભિન્ન દુઃખોથી પીડાય છે. તેથી જ અજ્ઞાનવાદ એક મિથ્યાવાદ જ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org