Book Title: Shraman Dharm Dharmsangraha Saroddhar Part 02
Author(s): Manvijay, Lavanyavijay, Yashovijay, Bhadrankarsuri, Sanyamkirtivijay
Publisher: Sanmarg Prakashan
View full book text
________________
શ્રમણ ધર્મ
૨૩૧
ટીકાનો સંક્ષેપભાવાર્થ : “પ્રભાવના' એટલે જૈનશાસનનો વિશિષ્ટ મહિમા ફેલાવવો અને “ઉદ્ધાવના' એટલે ગચ્છના ઉપકાર માટે દૂર દૂર ક્ષેત્ર વગેરેમાં શીધ્ર જવું-આવવું તે બેમાં તથા ગામ વગેરે યોગ્ય ક્ષેત્રની-વસ્ત્રાદિ ઉપધિની-આહારાદિઔષધાદિની નિર્દોષ પ્રાપ્તિ કરવામાં ઇત્યાદિ દરેક કાર્યોમાં ખેદ પામનારો ન હોય તથા સ્વ-સ્વ કાળની અપેક્ષાએ ઉચિત સૂત્ર-અર્થનો જ્ઞાતા હોય, તેને શ્રીજિનેશ્વરોએ ગણાવચ્છેદક માટે યોગ્ય કહ્યો છે.
આચાર્ય આદિ પાંચના અધિકારો યતિદિનચર્યામાં આ પ્રમાણે જણાવ્યા છે - આચાર્ય અર્થ ભણાવે (અર્થની વાચના આપે), ઉપાધ્યાય સૂત્રની વાચના આપે, પ્રવર્તક તપ વગેરેમાં પ્રવર્તાવે (જોડે), સ્થવિર સીદાતાને સ્થિર કરે અને ગણાવચ્છેદક ક્ષેત્ર-ઉપાધિ વગેરે સંયમના સાધનો મેળવી આપે. એમ અધિકાર પ્રમાણે કાર્યોને સાધે.
પ્રસંગાનુસાર વાચનાચાર્યપદવી પણ એ પ્રમાણે જ સમજવી. આ વાચનાચાર્ય ગુરુની અનુમતિ અનુસાર આચાર્યની પેઠે સર્વ કાર્યો કરે. વંદન વિષયમાં તો લઘુપર્યાયવાળા જ તેને વંદન કરે. ગોચરી જવાનો પણ વાચનાચાર્યને નિષેધ નથી.
પ્રવર્તિનીને આગમની પરિભાષામાં “અભિષેકા” પણ કહેવાય છે. તેને પદ આપવાનો સઘળો ય વિધિ મહત્તરાપદના વિધિ પ્રમાણે સમજવો. માત્ર મંત્ર તરીકે વર્ધમાનવિદ્યા અને ઓછા પર્યાયવાળા સાધ્વીઓ જ તેને વંદન કરે, એટલો ભેદ સમજવો. મહત્તરાપદ આપીને તેને આ પ્રમાણે હિતશિક્ષા આપવી – સર્વજ્ઞ ભગવંતે ઉપદેશેલું આ “મહત્તરાપદ' સર્વશ્રેષ્ઠ ફળને આપનારું છે. આર્યા બ્રાહ્મી, આર્યા સુંદરી અને આર્યા ચંદનબાળા વગેરે મહાસતીઓએ તેને સમ્યક પ્રકારે આરાધેલું છે અને સર્વપદોમાં તે પ્રધાન (શ્રેષ્ઠ) છે. માટે સંસારના ભયથી તમારે શરણે આવેલી અન્ય સાધ્વીઓનું તમારે સારણા, વારણા, નોદના અને પ્રતિનોદના વગેરેથી રક્ષણ કરવું. અન્ય સાધ્વીઓને પણ આ પ્રમાણે હિતશિક્ષા આપવી કે - કોઈ કાર્ય પ્રસંગે ઠપકો આપે તો પણ કુલવધુ પતિને ન છોડે તેમ તમારે આ મહત્તરાનું શરણ જીવતાં સુધી નહિ છોડવું, જ્ઞાનના ભંડારતુલ્ય આ મહત્તરાના આદેશથી વિરુદ્ધ વર્તન કદાપિ નહિ કરવું. એ રીતે તેની આજ્ઞા પાળવાથી તમારો ગૃહવાસનો ત્યાગ સફળ થશે.”
અહીં સુધી “ગચ્છની અનુજ્ઞા' વગેરે વિસ્તારથી જણાવ્યું, હવે શેષ સાપેક્ષ યતિધર્મની આરાધના માટેનો કાળ કહે છે કે