________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
‘હિન્દ છોડો'ની લડત અમદાવાદ શહેરમાં અને જિલ્લામાં આગની જેમ પ્રસરી ગઈ. આગેવાનો અને નેતાઓ સાથે સમાજના દરેક વર્ગના લોકો તેમાં હોંશે હોંશે જોડાયા હતા.
અમદાવાદની વિદ્યાર્થી આલમે “હિન્દી છોડો'ની લડતમાં છેક આરંભથી જ સક્રિયતા દાખવી હતી. ૮ ઑગસ્ટ ૧૯૪રની રાત્રે રવિશંકર મહારાજની અધ્યક્ષતામાં ગુજરાત કૉલેજના છાત્રાલયમાં એક બેઠક મળી હતી, જેમાં લડતમાં વિદ્યાર્થીઓની ફરજો અંગે રવિશંકર મહારાજે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. ૧૦ ઑગસ્ટના સોમવારના રોજ લૉ કૉલેજના મેદાનમાં વિદ્યાર્થીઓએ ધ્વજવંદન કર્યું. ત્યારબાદ બે હજાર વિદ્યાર્થીઓનું વિશાળ સરઘસ નીકળ્યું. આ સરઘસમાં ૨૦૦ જેટલી વિદ્યાર્થિનીઓ હતી. ‘ઇન્કલાબ ઝિન્દાબાદ', ‘શાહીવાદ હો બરબાદ' જેવાં સૂત્રો પોકારતું આ સરઘસ ગુજરાત કૉલેજ નજીક પહોંચ્યું. ત્યાં પોલીસે તેને રોક્યું અને તેના પર લાઠીમાર કર્યો. પણ વિદ્યાર્થીઓ જરા પણ ડગ્યા નહિ. પરિણામે પોલીસે ગોળીબાર કર્યો. આ જ ગોળીબારમાં વિનોદ કિનારીવાલા શહીદ થયો. આમ ૮ ઑગસ્ટથી આરંભાયેલ વિદ્યાર્થી આંદોલન ૨૭ માર્ચ ૧૯૪૨ સુધી સતત સક્રિય રહ્યું હતું. ૨૭ માર્ચ ૧૯૪૭ના રોજ આઝાદી જંગને પ્રોત્સાહિત કરવા અમદાવાદમાં વિદ્યાર્થી પરિષદ ભરવામાં આવી હતી. પોલીસના સખત બંદોબસ્તને કારણે માંડવીની પોળને બદલે ઢાલની પોળમાં પરિષદ ભરવામાં આવી. અમદાવાદમાં લગભગ ૮૦,૦૦૦ વિદ્યાર્થીઓએ ૨૫૦ દિવસની અભૂતપૂર્વ હડતાલ ‘હિન્દ છોડો'ની લડત દરમિયાન પાળી હતી, જે સમગ્ર ભારતમાં એક વિક્રમ સર્જક બની રહી હતી. આ
| વિદ્યાર્થીઓ સાથે આ લડતમાં સ્ત્રીઓનું પ્રદાન પણ નોંધપાત્ર રહ્યું હતું. ૧૯૪૩ ની લડતમાં સ્ત્રીઓની પ્રવૃત્તિનું સંચાલન શ્રીમતી ચંપાબહેન મહેતા કરતાં હતાં. તેમણે પોતાના નિવાસસ્થાને સ્ત્રીઓની એક સભા બોલાવી હતી, જેમાં સ્ત્રી વૉર્ડ-નાયકો તથા લત્તા-નાયકોની નિમણૂક કરવામાં આવી હતી. સ્ત્રી-વૉર્ડ નાયકોમાં રંજનબહેન દલાલ, યશસ્વતિબહેન ભટ્ટ, ઉદયપ્રભાબહેન મહેતા, સુમિત્રાબહેન ઠાકોર, સરોજબહેન જાની, પદ્માબહેન મહેતા, વગેરેની નિમણૂક કરવામાં આવી હતી. લાઠીમાર અને ગોળીબારથી ઘવાયેલાઓની સારવાર અર્થે વાડીલાલ સારાભાઈ ઇસ્પિતાલ, લલુભાઈ ગોરધનદાસ ઇસ્પિતાલ અને જૂની સિવિલ ઇસ્પિતાલમાં બહેનોની ટુકડીઓ ખડેપગે રહેતી હતી. ૧૩ સપ્ટેમ્બર, ૧૯૪રના દિવસે “મહિલા દિનની ઉજવણી નિમિત્તે માંડવીની પોળમાંથી સાતસો બહેનોનું એક વિશાળ સરઘસ નીકળ્યું હતું. ઇન્કલાબ ઝિન્દાબાદ'ના પોકારો સાથે નીકળેલ એ સરઘસને રોકવા પોલીસે અશ્રુવાયુ છોડવો પડ્યો હતો. ૬ ઓક્ટોબર ૧૯૪૨ના દિવસે “સ્ત્રી દિનની ઉજવણી પણ કરવામાં આવી હતી. એ દિવસે ઢાળની પોળ, ખાડિયા, દરિયાપુર, ઘીકાંટા રોડ, વગેરે વિસ્તારમાં બહેનોનાં સરઘસો નીકળ્યાં હતાં. ભાંગફોડ પ્રવૃત્તિમાં પણ બહેનોની ભાગીદારી નોંધપાત્ર હતી. કુસુમ ઠાકોર બોમ્બ પ્રવૃત્તિમાં સક્રિય હતાં. નિર્મળાબહેન નીરૂભાઈ દેસાઈ અને રમાબહેન રમણિકલાલ ફોજદારે બોમ્બ બનાવવાનો સામાન એક સ્થળેથી બીજા સ્થળે ખસેડવામાં મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો. વિજયાબહેન ઝીણાભાઈ દેસાઈના ઘરે શ્રી કે.જી.પ્રભુ બૉમ્બ બનાવવાનાં રસાયણો મૂકી ગયા હતા. વિજયાબહેને એ જોખમી સામાન સંભાળીને યોગ્ય વ્યક્તિઓને પહોંચતો કરવાની કામગીરી સફળ રીતે પાર પાડી હતી.
સ્ત્રીઓની સાથે જ મજૂરની લડત પણ સક્રિયપણે ચાલી હતી. મહાત્મા ગાંધીજી તથા દેશના નેતાઓની ધરપકડના પ્રતિકાર માટે અમદાવાદના મિલમજૂરો એકાએક હડતાલ પર ઉતરી ગયા હતા. અમદાવાદના આ મિલમજૂરોની આ હડતાલ સમસ્ત ભારતમાં શાંતિપૂર્વકની સૌથી લાંબી એકસો પાંચ દિવસની અપૂર્વ હડતાલ હતી. લડત દરમિયાન મજૂરોને કોઈપણ જાતની આર્થિક સહાય આપવામાં આવી ન હતી, છતાં માત્ર દેશાભિમાનને વળગી રહી ૧૦૫ દિવસ સુધી મિલમજૂરો અંગ્રેજ સરકાર સામે અડીખમ રીતે લડતા રહ્યા હતા, જે સમગ્ર દેશની સ્વાતંત્ર્ય લડતનું ગૌરવપ્રદ અને નોંધપાત્ર પ્રકરણ બની રહ્યું છે.
પથિક કે માસિક – જુલાઈ-ડિસેમ્બર, ૨૦૦૫ + ૧૮
For Private and Personal Use Only