________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
www.ko
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પૂરતો વિચાર કે ફુરસદ ફાજલ પાડતા નથી, અને એમજ કહ્યા કરે છે કે “સ્વરાજય કંઈ આ પત્રિકા વગર અટકી નથી રહેવાનું'. બીજા કેટલાકને કોઈ પ્રવૃત્તિ પોતાની દેખરેખ હેઠળ કે પોતાને હાથે શરૂ નથી થઈ હતી તેથી તેના યોગ્ય સંચાલન બાબત છેવટ સુધી અંદેશો જ રહ્યા કરે છે અને તેથી તેઓ તે પ્રવૃત્તિનું મોત જ ઇચ્છયા કરે છે. બીજા કેટલાક તો પ્રવૃત્તિ શરૂ થયા પછી તેને લગતા કોઈ નાના મુદાની બાબતમાં તેમને મતભેદ પડે છે, કે કંઈક ખામી જણાય છે, તો તેને પોતાના વધુ સહકારથી કે સલાહ-સૂચનાથી ઠીક કરી લેવાનો પ્રયત્ન કરવાને બદલે પોતાનો સહકાર પાછો ખેંચી લઈ તે પ્રવૃત્તિને સુવાડી દેવાનું જ વધુ પસંદ કરે છે.
આ જાતની મુશ્કેલીઓ આપણી બધી સામુદાયિક પ્રવૃત્તિઓને હજુ નડ્યા જ કરવાની આવી બાબતોનો વારંવાર અનુભવ જ છેવટે સૌ કોઈને વધુ શાણા તથા વધુ નમ્ર બનાવે છે.
(૪) એક સૂચના : એક વાત આજે અનુભવને અંતે અમને ભવિષ્યને માટે નોંધતા જવાનું મન થાય છે અને તે એ કે, આ જાતની પત્રિકાએ હમેશાં સમાચાર પત્રિકા જ રહેવું અને લડતના છેવટના ભાગમાં સમાચારને અભાવે બીજી બાબતોથી જગ્યા પૂરવી પડે તો લડતને માર્ગદર્શન આપવાનો કે લોકોને હાકલો કર્યા કરવાનો મિથ્યા પ્રયત્ન કરીને અથવા બીજા મંડળો કે કાર્યકર્તાઓની રીતિનીતિની સસ્તી ટીકા કે ચર્ચા કરીને તે જગ્યા ભરવાને બદલે બીજી યોગ્ય રીતે જરૂરી માહિતીથી જ તે જગા ભરવી. એમ કરવાથી ઘણાં ઘર્ષણો અને ઘણી નિરર્થક આપદાઓથી બચી જવાશે અને પોતાની ઉપયોગિતા છેવટ સુધી જાળવી શકાશે.
(૫) ભારે હૈયે : અંતમાં ફરીથી અમે સૌ વાચકો અને સાથીઓની ભારેયે વિદાય લઈએ છીએ. આગળ થોડા મહિના દુનિયાભરની પ્રજાઓ માટે ભારે કટોકટી નીવડવાની છે, એમ અમે જોઈ રહ્યા છીએ. પ્રબળ શાહીવાદી લોલુપ પરદેશી સત્તાઓની એ વિરાટ અથડામણો ઉપર જ આપણા દેશના ભાવિનો પ્રશ્ન હમેશાં ટલ્લા ખાયા કરે, એ વિચાર મનમાં આવતાં જ કંપી ઉઠાય છે, મહાત્મા ગાંધીજીના જીવનકાળ દરમ્યાન હિંદી પ્રજા આખરી પ્રયત્ન કરીને પોતાની માતૃભૂમિને પરદેશી રાજકારણોનાં વમળોમાંથી મુક્ત કરી લેશે ખરી ?
વંદે માતરમ્
(સ્વરાજય-સંગ્રામ પત્રિકા, ૧૩-૫-૧૯૪૪) નિષ્કર્ષ :
આમ “સ્વરાજ્ય-સંગ્રામ” પત્રિકા એ ગુજરાતના સ્વાતંત્ર્ય સંગ્રામના ઈતિહાસનું એક મહત્ત્વનું સાધન છે. ‘હિંદ છોડો'ની લડતમાં ગુજરાતના પ્રદાન અંગે જાણવું હોય તો આ પત્રિકાઓ ખૂબ જ ઉપયોગી નીવડે તેમ છે. આનંદની બાબત એ છે કે આ પત્રિકાના એક બે અંકોને બાદ કરતાં બાકીના બધા જ અંકો ગુજરાત વિદ્યાપીઠના દફતર સંરક્ષણ એકમમાં સચવાયેલા છે. આ સંગ્રહના ખૂટતા અંકો પણ જો મળી આવે તો સ્વરાજ્ય-સંગ્રામ પત્રિકાનો સળંગ સંગ્રહ સંશોધકો માટે ઉપલબ્ધ થઈ શકે તેમ છે. કમનસીબે આવી પત્રિકાઓ સળંગ શ્રેણીના સ્વરૂપે ક્યાંય સચવાયેલી નથી, તેથી જૈમની પાસે આવી પત્રિકાઓ હોય તેમણે કાયમી સંગ્રહ અને સંશોધન અર્થે આવી સંસ્થાઓને ભેટ આપવી જોઈએ, જેથી કરીને આપણા સ્વાતંત્ર્ય સંગ્રામના ઇતિહાસનો આ અમૂલ્ય વારસો સૌને સારુ સુલભ બને.
સંદર્ભ : ૧. ‘સ્વરાજય-સંગ્રામ' પત્રિકા, તા. ૨-૧૦-૧૯૪૨ થી તા. ૧૩-૫-૧૯૪૪ ૨. શુક્લ, જયકુમાર, ‘બેતાલીસમાં અમદાવાદ', પ્રથમ આવૃત્તિ, મંગલમ્ ૩૨ પંચવટી, મણીનગર, અમદાવાદ-૮,
૧૯૮૮ ૩. જમીનદાર, રસેશ, “સ્વાધીનતા સંગ્રામમાં ગુજરાત', પ્રથમ આવૃત્તિ, ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદ, ૧૯૮૯
પથિક * વૈમાસિક – જુલાઈ-ડિસેમ્બર, ૨૦૦૫ * ૨૮
For Private and Personal Use Only