________________
[3]
મતિજ્ઞાત
શ્રુતજ્ઞાત પચતા થાય મતિજ્ઞાન
પ્રશ્નકર્તા : મતિજ્ઞાન કોને કહેવાય ?
દાદાશ્રી : મતિજ્ઞાન એટલે શું કે આત્મા તરફ લઈ જનારું જે જ્ઞાન (શ્રુતજ્ઞાન) તેને સમજવું અને સમજીને પાછું મહીં બેસી જવું, ફિટ થવું, એ મતિજ્ઞાન.
એ શ્રુતજ્ઞાન થયેલું તે પોતે અંદર પચી જાય ત્યારે મતિજ્ઞાન થાય. મતિ એ શ્રુતનું ફળ છે. એટલે મતિજ્ઞાન જેટલા પ્રમાણમાં હોય એટલા પ્રમાણમાં શ્રુતજ્ઞાન હોય જ. એટલે મતિજ્ઞાનથી પહેલું શ્રુતજ્ઞાન અને તે પરિણામ પામે એટલે ઊગવા લાયક થાય. ખેતીવાડીમાં જમીનમાં નાખી, ખાતર-પાણી નાખીને પછી ઊગી નીકળે ત્યારે એ મતિજ્ઞાન કહેવાય. તમે બીજાને સમજણ પાડો મારી વાત, તે વાત તો મારી હોય પણ તમને મહીં પોતાને ઊગી કે પાછી ઊગીને વાત નીકળી, તે એને મતિજ્ઞાન કહેવાય. એના એ જ શબ્દો નહીં, એના એ શબ્દો તો નકલ કહેવાય. પણ જે મતિજ્ઞાનવાળો હોય, તે જેટલી હોય એટલી પણ બીજાને સમજણ પાડે ત્યારે એ મતિજ્ઞાન ધરાવતો હોય. શ્રુતજ્ઞાન જાણ્યા પછી તમે બીજાને તે સમજણ પાડો કે દાદા આમ કહેતા હતા, એ તે ઘડીએ તમારું મતિજ્ઞાન અને પેલું સાંભળનારનું શ્રુતજ્ઞાન. કારણ કે તમારામાં પરિણામ પામી ગયું, બીજાને સમજણ પાડતા આવડે તો એ મતિજ્ઞાન.
પ્રશ્નકર્તા : મતિ કરતા શ્રુત મોટું ?