________________
(૭.૨) વિશેષ સમજણ કેવળી-સર્વજ્ઞ-તીર્થંકર ભગવાનની
૩૫૧
પ્રશ્નકર્તા : એટલે એમાં ફેર શું, દેખાય નહીં અને જાણે ?
દાદાશ્રી : ખાલી જાણે, કેવળજ્ઞાન જ જાણે એટલે આ દ્રવ્યનું આવું થાય, આવું થાય, આવું થાય, આવું થાય. પછી આમ થાય, આમ થાય, આમ થાય, એ બધું જાણે. દ્રવ્યના બધા પર્યાયોને જાણે.
પ્રશ્નકર્તા : દાદા, એ તો પણ આવતી ચોવીસીના જે જે તીર્થંકરો થવાના છે, એ બધાના નામ હઉ, એમના બાપના નામ...
દાદાશ્રી : એ તો પણ જેટલા શુદ્ધ થયેલા હોય તેમની વાતો કરે છે. શુદ્ધ થયેલા ના હોય તેમની વાત ના હોયને !
પ્રશ્નકર્તા ઃ એમના બાપના નામ, એમની માનું નામ, એમના ગામનું નામ, બધું લખ્યું છે શાસ્ત્રમાં.
દાદાશ્રી : હા, પણ જે શુદ્ધ થયેલા હોય તેમની વાતો બધી કરી હતી.
પ્રશ્નકર્તા : હા, એ તો અમુક ચોવીસના જ કહે છે ને ! એક જ ચોવીસીનું કહી શકે છે. પછી કંઈ બધી ચોવીસીઓનું નથી કહેતા.
દાદાશ્રી : ના, એક જ ચોવીસીનું કહેવા માંગે છે.
પ્રશ્નકર્તા : એટલે એટલું જ એમના શુદ્ધમાં આવેલું હોય ?
દાદાશ્રી : જેટલા શુદ્ધ થયેલા હોય એટલાની જ ભાંજગડ. બીજાનું કયા આધારે દેખાય ? અશુદ્ધ થયેલું, અશુદ્ધ વસ્તુ દેખાતી હોય, જ્ઞાનીને અજ્ઞાન દેખાતું હોય તે જ્ઞાની જ ન્હોય.
પ્રશ્નકર્તા : કેવળજ્ઞાનીને આવું બધું જોવાનું હોય જ નહીં. એ શું કરવા જુએ ?
દાદાશ્રી : ના, પણ દેખાય જ નહીંને !
પ્રશ્નકર્તા : આવું શા માટે જુએ ? આમાં શું કરવા ઊતરે એ ?
દાદાશ્રી : જુએ નહીં. ઉપયોગ તો ના દે પણ પેલો દેખાય જ નહીં, કારણ કે કેવળ પ્રકાશ અંધારાને જોઈ શકે જ નહીં.