Book Title: Aabu Tirthoddharak Mantrishwar Vimal
Author(s): Purnachandrasuri
Publisher: Panchprasthan Punyasmruti Prakashan

View full book text
Previous | Next

Page 274
________________ રાજા-મહારાજાઓનું પણ સ્થાન જોવા મળતું. એ કાળે સરસ્વતી-પુત્ર જો કાવ્ય કરી જાણતા, તો રાજા-મહારાજાઓ એની કદર પણ કરી જાણતા ! આવો ધન્ય એ યુગ હતો. એથી ધીમે ધીમે ૫૦૦ ભાટ-ચારણોનો સંઘ રચાઈ ગયો અને સૌ ગુજરાત તરફ ચાલ્યા, ચંદ્રાવતી નગરી જેમ જેમ નજીક આવતી ગઈ, એમ એમ એમના કાનમાં રાત-દિવસ આબુનો તીર્થોદ્ધાર અને તીર્થોદ્ધારક દંડનાયક વિમલ આ બેનાં જ ગીતો ગુંજવા માંડ્યાં, અણહિલ્લપુર પાટણમાં પગ મૂકતાં જ એમને લાગ્યું કે, ગુજરાત દેશ ગરવો ગણાય છે, એ જરાય ખોટું નથી. ભીમદેવના દર્શને એમની આંખો અને એમનાં અંતર અનેરી તૃપ્તિ અનુભવી રહ્યાં, દંડનાયક વિમલનાં નામ-કામ તો અહીં ઘરે ઘરે અને ચોરે-ચૌટે ગવાઈ રહ્યાં હતાં, રાજસભામાં પણ આના જ પડઘા પડતા હતા. એ જોઈ-સાંભળીને ચારણોને થયું કે, ભીમદેવથી અપમાનિત થયેલ વિમલના પાટણ-પરિત્યાગની વાતો વિદ્વેષીઓએ ઉપજાવી કાઢેલી તો નહિ હોય ને ? મનભર પાટણનું આતિથ્ય માણીને એ ચારણ સંઘ એક દિ' ચંદ્રાવતીના પાદરે આવીને ઊભો. આબુની તળેટીમાં વસેલી આ નગરીમાં, તો એ પહાડી પ્રદેશ, દિવસ-રાત જાણે દંડનાયક વિમલની કીર્તિના પડઘા ફેલાવવાનું જ કાર્ય અદા કરતો જોયો, ચારણોએ વિચાર્યું કે, ઘણી વાર નામ મોટાં ને કામ છોટાં જ નહિ, ઉપરથી ખોટાં હોય છે. ડુંગરા દૂરથી રળિયામણા લાગે, એવુંય ક્યારેક ખૂબ જ પ્રસિદ્ધ માણસની બાબતમાં બનતું હોય છે. એથી આપણે વિમલના ઘરે જ પહોંચી જઈએ, તો આજ સુધી સંભળાયેલી એની કીર્તિ-ખ્યાતિની કચ્ચાઈ-સચ્ચાઈ પરખાઈ જશે. ચંદ્રાવતીની શોભા જોતો જોતો એ ચારણ-સંઘ છેક દંડનાયકના મહેલના દરવાજે આવી ઊભો. દ્વારપાળે પૂછ્યું : “અતિથિ-દેવો, ક્યાંથી પધારો છો ? વેશ-પહેરવેશ પરથી પરદેશના જણાવ છો.’ આબુ તીર્થોદ્વારક ૨૬૨

Loading...

Page Navigation
1 ... 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306