Book Title: Aabu Tirthoddharak Mantrishwar Vimal
Author(s): Purnachandrasuri
Publisher: Panchprasthan Punyasmruti Prakashan

View full book text
Previous | Next

Page 284
________________ વેલડીઓ તેમજ એવો ઇતિહાસ અને એવું વર્તમાન જીવન અવતાર ધરી રહ્યું કે, જેમાં પાણી, વનસ્પતિ તેમજ પુરુષ જેવા તત્ત્વનો અભાવ હોવા છતાં, આ બધાં તત્ત્વોનું અવતરણ સપ્રાણ અને સજીવન જણાવા માંડતું. શિલ્પશાસ્ત્રમાં કલમથી અક્ષર રૂપે દોરાયેલી એ વિશાળ શિલ્પસૃષ્ટિને પાષાણ ઉપર ટાંકણાથી આકાર રૂપે કંડારવામાં શિલ્પદેવના આશ્રય હેઠળના એ કારીગરો જેમ જેમ કલ્પનાતીત સફળતા પામતા ગયા, એમ એમ દંડનાયક વિમલ પણ સુવર્ણની વૃષ્ટિને એ કારીગરોની હથેળી પર ઉતારવામાં વધુ ને વધુ ઉદારતા દાખવતા ગયા. જેના દ્વારા મંદિરોની છતો, દીવાલો અને ઘુમ્મટો શિલ્પશાસ્ત્રને તેમજ જૈન ઇતિહાસને ઝીલવા આરસી બને, એવી કળા તેમજ એવા જ્યોતિર્ધરોનાં જીવન એક તરફ આરસમાં કંડારાઈ રહ્યાં હતાં, તો બીજી તરફ આવાં મંદિરો પણ જેના વિના સૂનાં સૂનાં ભાસે, એવી જિનપ્રતિમાઓ ધૂપ-દીપથી મઘમઘતા તેમજ મંગલભર્યા વાતાવરણ વચ્ચે ઘડાઈ રહી હતી. વિરાગની સરવાણી વહાવતી મુખમુદ્રાથી અને વીતરાગતાની લહાણી કરતી અંગભંગીથી ભરપૂર એ જિનમૂર્તિઓના સામાન્ય દર્શને જ દર્શકને એવી અનુભૂતિ થતી કે, જાણે આ મૂર્તિની મુખમુદ્રા હમણાં જ મુખરિત બની ઊઠશે અને અણબોલ બોલ દ્વારા પ્રેરણાનું પીયૂષ પાશે ! પ્રકૃતિના વિધવિધ સૌંદર્યને ઝીલવા ઉપરાંત તત્કાલીન ધાર્મિક વિધિઓની પદ્ધતિઓનું સુરમ્ય પ્રતિબિંબ ઝીલતી આરસની એ સૃષ્ટિમાં કારીગરોએ જૈન ઇતિહાસને પણ મોટા પ્રમાણમાં કંડારીને અમર બનાવી દીધો. પાષાણમાં જાણે પ્રાણ પુરાયા ! કોઈ સ્થાને યુદ્ધ આદરનારા ભરત-બાહુબલીમાંથી પ્રબુદ્ધ બનતા બાહુબલીનો પ્રસંગ અંકિત થયો, તો કોઈ શિલા સાક્ષાત્ સમવસરણની ઝાંખી કરાવી રહી. ક્યાંક આદ્રકુમારનું જીવન જડવામાં આવ્યું, તો ક્યાંક શિલાઓની સૃષ્ટિમાં ભગવાન શ્રી નેમિનાથ પ્રભુના પ્રસંગો ઉલ્લિખિત બન્યા. ૨૭૨ આબુ તીર્થોદ્ધારક

Loading...

Page Navigation
1 ... 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306