SearchBrowseAboutContactDonate
Page Preview
Page 284
Loading...
Download File
Download File
Page Text
________________ વેલડીઓ તેમજ એવો ઇતિહાસ અને એવું વર્તમાન જીવન અવતાર ધરી રહ્યું કે, જેમાં પાણી, વનસ્પતિ તેમજ પુરુષ જેવા તત્ત્વનો અભાવ હોવા છતાં, આ બધાં તત્ત્વોનું અવતરણ સપ્રાણ અને સજીવન જણાવા માંડતું. શિલ્પશાસ્ત્રમાં કલમથી અક્ષર રૂપે દોરાયેલી એ વિશાળ શિલ્પસૃષ્ટિને પાષાણ ઉપર ટાંકણાથી આકાર રૂપે કંડારવામાં શિલ્પદેવના આશ્રય હેઠળના એ કારીગરો જેમ જેમ કલ્પનાતીત સફળતા પામતા ગયા, એમ એમ દંડનાયક વિમલ પણ સુવર્ણની વૃષ્ટિને એ કારીગરોની હથેળી પર ઉતારવામાં વધુ ને વધુ ઉદારતા દાખવતા ગયા. જેના દ્વારા મંદિરોની છતો, દીવાલો અને ઘુમ્મટો શિલ્પશાસ્ત્રને તેમજ જૈન ઇતિહાસને ઝીલવા આરસી બને, એવી કળા તેમજ એવા જ્યોતિર્ધરોનાં જીવન એક તરફ આરસમાં કંડારાઈ રહ્યાં હતાં, તો બીજી તરફ આવાં મંદિરો પણ જેના વિના સૂનાં સૂનાં ભાસે, એવી જિનપ્રતિમાઓ ધૂપ-દીપથી મઘમઘતા તેમજ મંગલભર્યા વાતાવરણ વચ્ચે ઘડાઈ રહી હતી. વિરાગની સરવાણી વહાવતી મુખમુદ્રાથી અને વીતરાગતાની લહાણી કરતી અંગભંગીથી ભરપૂર એ જિનમૂર્તિઓના સામાન્ય દર્શને જ દર્શકને એવી અનુભૂતિ થતી કે, જાણે આ મૂર્તિની મુખમુદ્રા હમણાં જ મુખરિત બની ઊઠશે અને અણબોલ બોલ દ્વારા પ્રેરણાનું પીયૂષ પાશે ! પ્રકૃતિના વિધવિધ સૌંદર્યને ઝીલવા ઉપરાંત તત્કાલીન ધાર્મિક વિધિઓની પદ્ધતિઓનું સુરમ્ય પ્રતિબિંબ ઝીલતી આરસની એ સૃષ્ટિમાં કારીગરોએ જૈન ઇતિહાસને પણ મોટા પ્રમાણમાં કંડારીને અમર બનાવી દીધો. પાષાણમાં જાણે પ્રાણ પુરાયા ! કોઈ સ્થાને યુદ્ધ આદરનારા ભરત-બાહુબલીમાંથી પ્રબુદ્ધ બનતા બાહુબલીનો પ્રસંગ અંકિત થયો, તો કોઈ શિલા સાક્ષાત્ સમવસરણની ઝાંખી કરાવી રહી. ક્યાંક આદ્રકુમારનું જીવન જડવામાં આવ્યું, તો ક્યાંક શિલાઓની સૃષ્ટિમાં ભગવાન શ્રી નેમિનાથ પ્રભુના પ્રસંગો ઉલ્લિખિત બન્યા. ૨૭૨ આબુ તીર્થોદ્ધારક
SR No.006184
Book TitleAabu Tirthoddharak Mantrishwar Vimal
Original Sutra AuthorN/A
AuthorPurnachandrasuri
PublisherPanchprasthan Punyasmruti Prakashan
Publication Year2016
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy