________________
“ચેતન ચેતઉ રે—સ્તવન
સંપા. રસીલા કડીઆ
પ્રસ્તુત હસ્તપ્રતની નકલ લા. દ. પ્રાચ્ય વિદ્યામંદિર, અમદાવાદના સૂટક પુસ્તકો પરથી કરી છે.
કૃતિની રચના શ્રી ગુરુ વીપા પંડિતના શિષ્ય વિદ્યાચંદે કરી છે. રચના સંવતનો તેમાં નિર્દેશ નથી પણ પ્રતમાં મધ્યફુલ્લિકા છે અને તેમાં અક્ષરો પૂરેલા છે, પડીમાત્રા કોઈક ઠેકાણે જ છે તેથી ૧૯મી સદીની કૃતિ હોવાનું અનુમાન કરી શકાય. પ્રતપરિચય :
( પત્ર : ૧ સ્થિતિ : શ્રેષ્ઠ માપ : ૨૫ સે. મી. X ૧૧ સે. મી. પંક્તિઓ : ૧૧ કડી : ૧૩ અક્ષરો : ૩૪
હાંસિયાની બન્ને બાજુએ પહેલી પૂંઠીમાં કાળી લીટી કરી નથી પણ બીજી પૂંઠીમાં ઊભી કાળી લીટી કરેલ છે. વચ્ચે કુંડાકૃતિ છે અને તેમાં ચાર અક્ષરો પૂરેલા છે. અક્ષરો થોડાક મોટા (સ્થૂલ) છે.
મારુણી રાગમાં રચાયેલ આ સ્તવનમાં સંસારના સ્વરૂપનો વિચાર કરવામાં આવ્યો છે. પ્રારંભે શ્રી સરસ્વતી દેવીને નમસ્કાર કરીને કવિ જણાવે છે કે ધર્મ વિના નક્કી દુર્ગતિ જાણવી. કુટુંબનો મોહરસ આત્માને ભારે બનાવે છે તેથી હે ચેતન ! હે જીવ, તું ચેત.
મોહને કારણે આત્મા ભારે બન્યો હોય તેવા અનેક કૌટુંબિક ઉદાહરણો ટાંકવામાં આવ્યા છે. ભરત-બાહુબલિ (ભાઈ-ભાઈ), મગધનો રાજા શ્રેણિક-કુણી(ક) (પિતા-પુત્ર), કપટી કુબેર અને નલદમયંતી (ભાઈ-ભાઈભાભી), કેશબોધ અને વિષ દેનારી તેની પત્ની (પતિ-પત્ની), સોમિલગજસુકુમાર (સસરો-જમાઈ), પતિથી વગોવાયેલી કલાવતી, રામ-દશરથ, (પિતા-પુત્ર), બ્રહ્મદત્તસુત અને માતા ચુલની (મા-દીકરો) કનકકેતુ રાજા અને તેનો પુત્ર (પિતા-પુત્ર)–આ બધા દષ્ટાંતો જોતાં એક વાત સ્પષ્ટ થાય છે કે સંસાર અસાર છે. રાત-દિવસ બીજા માટે રળ્યા-જીવ્યા અને રખડ્યા. પોતાને માટે કશું કર્યું નથી. અરિહંત ભગવંત દુઃખભંજક છે તેથી તેની સેવા જ કરવી ઘટે એટલો બોધ હે જીવ, તું લેજે.
આમ, પ્રસ્તુત સ્તવનમાં સુંદર ઉદાહરણો ટાંકીને ચેતનને ચેતવવામાં આવ્યો છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org