________________
મનઃ પર્યવજ્ઞાન
દેવો, નારકો, ગર્ભજ મનુષ્યો અને ગર્ભજ તિર્યંચો લાંબુ વિચારવાની શક્તિ ધરાવે છે, જેને દીર્ઘકાલિકી સંજ્ઞા કહેવાય છે, અને આ જીવો સંશી કહેવાય છે.
વિચારવા માટે તેઓ મન:પર્યાપ્તિ દ્વારા આકાશમાંથી મનોવર્ગણાના પુદ્ગલોને ગ્રહણ કરે છે. તેને દ્રવ્યમન રૂપે બનાવે છે. તેના આધારે તેઓ વિચાર કરે છે-જે ભાવમન કહેવાય છે.
આપણે જેવો વિચાર કરીએ છીએ / કરવો હોય તેવું દ્રવ્યમન બને છે. દા.ત. ઘડાનો વિચાર કરીએ તો દ્રવ્યમન ઘડા જેવું બને.
મનઃપર્યવ (અથવા મન:પર્યાય) જ્ઞાનથી, અઢી દ્વીપમાં રહેલા સંશી જીવોના દ્રવ્યમનને જાણી શકાય છે. અર્થાત્ આનું દ્રવ્યમન ઘડા જેવું છે તે જાણી શકાય અને તેના પરથી તે ઘડાનો વિચાર કરી રહ્યો છે, તે જાણી શકાય છે. તે ભાવમન અર્થાત્ વિચાર તો અરૂપી હોવાથી મનઃપર્યવજ્ઞાનથી જણાતું નથી, પણ મનઃપર્યવજ્ઞાનથી જણાયેલા દ્રવ્યમનના આધારે, મતિ-શ્રુતજ્ઞાન દ્વારા તેના ભાવમનનું-વિચારનું અનુમાન થઇ શકે છે.
મન:પર્યવજ્ઞાન, સંશી જીવે ગ્રહણ કરેલ મનોવર્ગણાના પુદ્ગલોને જ જાણી શકે છે, આકાશમાં રહેલા મનોવર્ગણાના પુદ્ગલોને નહીં. તેમ બીજા કોઇ પણ દ્રવ્યને જાણી શકતું નથી.
મનઃપર્યવજ્ઞાન ૭મા ગુણસ્થાનકે રહેલા અપ્રમત્ત સાધુને જ ઉત્પન્ન થાય છે. તે સમયે તેમને મતિ-શ્રુતજ્ઞાન નિયમથી હોય છે. અવધિજ્ઞાન હોય પણ ખરું અને ન પણ હોય. એટલે કે અવધિજ્ઞાન ન હોય તેને પણ મનઃપર્યવજ્ઞાન થઇ શકે છે.
અઢી દ્વીપની બહાર પણ સંશી જીવો છે ખરા, પણ તેમના દ્રવ્યમનને મન:પર્યવજ્ઞાનથી જાણી શકાતું નથી.
મનઃપર્યવજ્ઞાનથી ઉત્કૃષ્ટથી ભૂત અને ભવિષ્યકાળમાં પલ્યોપમના અસંખ્યાતમા ભાગ જેટલા કાળ સુધીના મનોદ્રવ્યને જાણી શકાય છે. અરિહંત પરમાત્મા દીક્ષા લે તે સમયે તેમને અવશ્ય મનઃપર્યવજ્ઞાન ઉત્પન્ન થાય છે. જીવનનું અમૃત