Book Title: Agam 43 Mool 04 Uttaradhyayan Sutra Ek Parishilan
Author(s): Sudarshanlal Jain
Publisher: Parshwanath Shodhpith Varanasi
View full book text
________________
૪૩૨
ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલન
તેથી ક્યારેક ક્યારેક પતિ દીક્ષા લે ત્યારે પત્નીઓ પણ તેને અનુસરતી. પતિ માટે પત્નીઓ માટે ભાગે ભોગવિલાસનું સાધન હતી. કેટલીક પત્નીઓ પતિને પણ પ્રબોધિત કરતી. ભાઈઓ વચ્ચે પરસ્પર પ્રેમભાવ રહેતો.
નારી જો કે પરિવારનું જ એક અંગ હતી પણ તેની સ્થિતિ અતિ દયનીય રહેતી. તેની સાથે પુરુષ ફાવે તેવો વ્યવહાર કરી શકતો. પુરુષોને પોતા પ્રત્યે આકર્ષ સંયમમાંથી પતિત કરવામાં નારી જ કારણરૂપ રહેતી. પરંતુ આ પુરુષની એકાંગી ધારણા હતી કારણ કે તે પોતાની જાતને સંયમિત ન કરી શકવાને લીધે નારીને દોષ દેતો હતો અને તેને સારું ખોટું સંભળાવતો. અન્યથા, રાજીમતી, કમલાવતી જેવી શ્રેષ્ઠ નારીઓની પણ કમીના ન હતી. આ નારીઓએ પુરુષોને સંયમને માર્ગે સ્થિર કર્યા હતા. એ સાચું કે આવી શ્રેષ્ઠ નારીઓ બહુ ન હતી અને મોટાભાગની સ્ત્રીઓ પરાપેક્ષી અને ભોગવિલાસમાં જ ડૂબેલી રહેતી. પિતા દ્વારા જેને તે આપવામાં આવતી તેનું તે સર્વસ્વ ગણાતી. પતિ દીક્ષા લે ત્યારે કેટલીક સ્ત્રીઓ તેને અનુસરતી તો કેટલીક વિધવા થતાં અન્ય પુરુષનો પણ સહારો લેતી. આ રીતે સ્ત્રીઓની સ્વતંત્ર સ્થિતિનો મોટે ભાગે અભાવ હતો.
ધાર્મિક પ્રથાઓમાં યજ્ઞનું અત્યધિક પ્રચલન હતું. યજ્ઞોમાં અનેક મુંગા પશુઓની બલિ રૂપે હિંસા થતી. કેટલાક એવા યજ્ઞો પણ થતા જે ઘી વગેરેથી સંપન્ન કરવામાં આવતા. તેમાં હિંસા ન થતી અને એવા યજ્ઞમંડપોમાં જૈન શ્રમણો પણ ભિક્ષાર્થે જતા. ક્યારેક ત્યાં તેમનો તિરસ્કાર પણ થતો છતાં, પણ ત્યાં તેઓ શાંત રહેતા અને તક મળે તો યજ્ઞની ભાવપરક આધ્યાત્મિક વ્યાખ્યા પણ કરતા.
સ્ત્રી અને પુરુષનો સંબંધ બાંધવા માટે વિવાહની પ્રથા પ્રચલિત હતી. તેમાં મોટે ભાગે પિતા જ સર્વોપરિ રહેતા. તેથી પુત્ર કે પુત્રીના મોટા ભાગના સંબંધો પિતા જ નક્કી કરતો. શ્રેષ્ઠ કન્યાઓનો વિવાહ ખૂબ ઉત્સવ સાથે થતો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org