Book Title: Prachin Upnishadona Pratishthit Prakashano Par Prakash
Author(s): Bansidhar Bhatt
Publisher: Bansidhar Bhatt

View full book text
Previous | Next

Page 7
________________ ગ્રંથોના કે હસ્તપ્રતોમાં આલિખિત ગ્રંથોના કોઈપણ પાઠને સંપૂર્ણ વફાદારીપૂર્વક સાચવી રાખવાની સતત સાવચેતી દાખવે છે; તે ઉપર જણાવ્યું છે. છતાં, આવા ભાષ્યકારો આવાં દરેકે દરેક “અપાણિનીય” જણાતાં સંસ્કૃત રૂપોને છાન્દસ ગણાવી સંતોષ પામતા નથી, પરંતુ તેમાંના કેટલાંક અપાણિનીય રૂપો તે શાસ્ત્રગ્રંથમાં રહેલા મૂળ શુદ્ધ રૂપમાંથી વિકૃત થયાની શંકા પણ વ્યક્ત કરે છે. આવી પરિસ્થિતિમાં તેવા અપાણિનીય પાઠો પણ નહીં સુધારીને તેઓ હસ્તપ્રતને વફાદાર રહ્યા છે. " [નોંધ : ઉપનિષદોની પ્રાચીન હસ્તપ્રતોના પાઠોને વફાદાર રહેવા વિષે પ્રસ્તુત લેખમાં પ્રસંગવશ કરવામાં આવતા આદિ શંકરના નામના ઉલ્લેખો, અન્ય ભારતીય ભાષ્યકારોમાં જણાઈ આવતી હસ્તપ્રત-વફાદારીની પરંપરાના એક પ્રતિનિધિ તરીકેનું પણ સૂચન કરે છે. આને અનુલક્ષીને પ્રસ્તુત લેખમાં કોઈ કોઈ વાર “ભાષ્યકાર/ભાષ્યકારો” કે “ભાષ્ય/ભાષ્યો” જેવા સામાન્ય શબ્દ-પ્રયોગ કરવામાં આવ્યા છે.] વળી, હસ્તપ્રતમાં કોઈક ઠેકાણે આવતો “અશુદ્ધ’’ જેવો પાઠ, જો બીજે ક્યાંક (તે જ હસ્તપ્રતમાં કે અન્ય હસ્તપ્રતોમાં શાસ્ત્રગ્રંથોમાં પણ ઘણીવાર મળી રહેતાં, શુદ્ધ પાઠને બદલે તે “અશુદ્ધ” જેવો પાઠ જ હસ્તપ્રત-પ્રકાશનમાં સ્વીકારી લેવો જોઈએ. આવા “અશુદ્ધ” જેવા પાઠોનાં પરીક્ષણ કરવા હસ્તપ્રત-પ્રકાશકે અન્ય શાસ્ત્રગ્રંથોનાં પણ અધ્યયન કરવાં રહ્યાં ! ૪. હસ્તપ્રત-પ્રકાશકને કોઈ પાઠ અશુદ્ધ લાગે તો તે વિષે શબ્દ-વ્યુત્પત્તિ-વિજ્ઞાનના આધારે પૂરતાં કારણો દર્શાવી તેના મતે કયો પાઠ “શુદ્ધ” હોઈ શકે, વગેરે પ્રકારના વિવેચનથી તેણે તે અશુદ્ધ-પાઠ માટેની પાદ-ટિપ્પણીમાં જ - તે જ પાના પર સ્પષ્ટતા કરવી જોઈએ, અથવા તો અન્ય પ્રકરણમાં કે પ્રસ્તાવનામાં તેનું વિવેચન કરવું જોઈએ. પરંતુ તેવા અશુદ્ધ લાગતા પાઠોને મૂળ ગ્રંથ આલેખનમાં તો કોઈપણ સંજોગોમાં સુધારવા ન જોઈએ. ૫. ઉત્તમ ગ્રંથ-પ્રકાશન માટે દેશ-વિદેશમાંથી પ્રાપ્ત થઈ શકે એટલી લગભગ બધી-હસ્તપ્રતોનું સંકલન થાય તે ખૂબ આવકાર-દાયક છે. આવાં, ગ્રંથ-પ્રકાશનના આધારે થતાં સંશોધનો પણ આધારભૂત ગણાય છે. સામાન્ય રીતે મધ્યમ કદના એક કે બે શાસ્ત્રગ્રંથો માટે હસ્તપ્રતોનાં આવાં સંકલનાદિ કાર્ય એક વિદ્વાનથી સફળ થઈ શકે. પરંતુ, ખૂબ પ્રચલિત કે બૃહતુ-કાય (ઉદાહરણાર્થે; રામાયણ, મહાભારત વગેરે) અથવા તો સામૂહિક (ઉદાહરણાર્થે; બધા વેદો, બધાં કે મુખ્ય-મુખ્ય ઉપનિષદો, વગેરે) શાસ્ત્રગ્રંથોની બધી હસ્તપ્રતોનાં સંકલનાદિ કાર્યમાં એક કરતાં વધારે વિદ્વાનોની આવશ્યકતા અનિવાર્ય બને છે. મોટે ભાગે તો કોઈ સંસ્થા જ લાંબી સમય-મર્યાદા અને અઢળક ખર્ચ માગી લેતાં આવાં પ્રકાશન કાર્યોની જવાબદારી ઉપાડી લે છે. તો, મર્યાદિત કે અપર્યાપ્ત હસ્તપ્રતોની સામગ્રી દ્વારા થયેલું, શાસ્ત્રગ્રંથોનું પ્રકાશન કેટલે અંશે પ્રમાણભૂત ગણી શકાય ? ગ્રંથની મૌલિકતા, પુનઃરચના પર નિર્ભર ઐતિહાસિક ગ્રંથ-અધ્યયન/સંશોધન માટે તો આ પ્રકારનાં ગ્રંથ-પ્રકાશનો પૂરતાં નથી, એ એક નવું સત્ય છે. આ દૃષ્ટિએ આવાં ગ્રંથ-પ્રકાશનો સંપૂર્ણ પ્રમાણભૂત/સમીક્ષાત્મક ન ગણાય. કારણ કે, આ પ્રકાશનોમાં ઉપયોગમાં લીધેલી હસ્તપ્રતોમાંથી તે ગ્રંથનું જે આદર્શ-ચિત્ર ઉપસી આવ્યું તેના કરતાં તે ગ્રંથનું કદાચ કોઈ જુદું જ આદર્શ-ચિત્ર, ઉપયોગમાં નહીં લીધેલી અન્ય હસ્તપ્રતોમાંથી ઉપસી આવે એવી સંભાવનાને પૂરો અવકાશ છે, જો કે આવાં પ્રકાશનો સંપૂર્ણ પ્રમાણભૂત તો ન ગણાય, પણ “ભ્રામક” પણ ન ગણાય ! જો કે અપર્યાપ્ત પણ પુનરાવર્તિત (repeated) ન થતી હોય એવી હસ્તપ્રતોના આધારે થયેલાં એક કરતાં વધારે ગ્રંથપ્રકાશનોના સમૂહના એકમથી પ્રમાણભૂતતાની માત્રા વધી જાય છે, અને કદાચ આવું એકમ સંપૂર્ણ પ્રમાણભૂત થાય એવું પણ સંભવે ! ઉદાહરણ તરીકે : ધારો કે કુલ દસ હસ્તપ્રતોના આધારે થયેલું એક ગ્રંથ-પ્રકાશન; એ રીતે તેવાં કુલ ત્રણ ગ્રંથ-પ્રકાશનોના સમૂહના એક એકમમાં પ્રમાણભૂતતાની માત્રા [ સામીપ્ય : એપ્રિલ-સપ્ટેમ્બર, ૨૦૦૩

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32