Book Title: Pathik 2004 Vol 44 Ank 07 08 09
Author(s): Bhartiben Shelat, Subhash Bramhabhatt
Publisher: Mansingji Barad Smarak Trust

View full book text
Previous | Next

Page 11
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઉત્તર દીવાલમાં ઉપલા ભાગમાં બે તક્તીઓ લગાવેલી છે. તેમાંની નીચલી તકતીમાં આ લેખ કોતરેલો છે. તકતી ૯૧ સે.મી. લાંબી અને પ૩ સે.મી. ઊંચી છે. લેખ કુલ ૧૪ પંક્તિઓનો છે, જેમાંની પહેલી આશીર્વાદાત્મક પંક્તિ ટૂંકી હોઈ વચ્ચે કોતરેલી છે; લેખ ગુજરાતી ભાષામાં લખેલો અને ગુજરાતી લિપિમાં કોતરેલો છે. જોડણી તથા વ્યાકરણની બાબતમાં એ સમયે ઘણી અનિયમિતતા પ્રવર્તતી હતી. મંગલાચરણના આશીર્વાદાત્મક વાક્યમાં જરથોસ્તી ધર્મના મુખ્ય દેવ હોરમજુદ (અહુર મઝુદીનું સ્મરણ કરવામાં આવ્યું છે. આ શિલાલેખ પરથી જાણવા મળે છે કે આ આતશ દાદગાહ જે જગા ઉપર અગાઉ શેઠ ખરશેદજી બહેરામજી નાણાવટીએ દાદગાહ બાંધી હતી ને પછીથી જે જગા તેમણે પારસી પંચાયતને બક્ષિસ આપેલી તે જ જગા ઉપર બંધાવામાં આવી છે. આ દાદગાહ શેઠ નવરોજી પેશતનજી વકીલ તથા જહાંગીરજી પશતનજી વકીલે પોતાના મરહૂમ પિતા શેઠ પેશતનજી ફરામજી વકીલ તથા માતા બચુબાઈના પુણ્ય માટે પારસી પંચાયતની એ જગા ઉપર યઝુદગરદી સન ૧૨૫૩, ઈ.સ. ૧૮૮૪, વિ.સં. ૧૯૪૦ માં બંધાવી હતી. દાદગાહની સાથે તેની પાસેની ચેહેલી (ચાલી) તથા તેને લગતાં મકાનોનો તથા તે બધાંને ફરતી દીવાલનો સમાવેશ થતો. ચેહેલી તથા તેના તાબાનાં મકાન જે જગા પર બંધાવ્યાં તે જગા શેઠ કાવસજી મંચરજી કારંજવાલાએ પોતાના પિતા મરહમ શેઠ મંચરજી સોરાબજીના પુણ્ય માટે પારસી પંચાયતને ભેટ આપી હતી. એ સર્વ મકાનો બાંધતાં કુલ રૂ. ૨૦,૯૭૫ નું ખર્ચ થયેલું. ઇરાનથી આવેલા જરથોસ્તી પારસીઓ ત્યાંના સાસાની વંશના છેલ્લા પાદશાહ યઝદગર્દના રાજારોહણ (ઈ.સ. ૬૩૦)થી શરૂ કરાયેલો સંવત વાપરે છે. એના વર્ષ સૌર છે ને માસ બાર છે. પરંતુ આગળ જતાં એમાં બે પદ્ધતિ પ્રચલિત થઈ – શહેનશાહી ને કદમી. જરથોસ્તી વર્ષ ૩૬૫ દિવસનું હોય છે. આથી એમાં દર ૧૨૦ વર્ષે એક કબીસી (અધિક માસ) ઉમેરવામાં આવે છે. ઈ.સ. ૧૭૬૦ માં હિંદમાં પારસીઓને માલુમ પડ્યું કે કોઈ સરતચૂકથી અહીંનું જરથોસ્તી વર્ષ ઈરાનના કરતાં એક મહિનો મોડું શરૂ થાય છે. આથી કેટલાક વર્ષ એક મહિનો વહેલું શરૂ કરવાનું નવું સુધારક કદમ ભર્યું, તે “કદમી' કહેવાયા, ને જે ચાલુ રૂઢિને વળગી રહ્યા તે શહેનશાહી' કહેવાયા. ગુજરાતના જરથોસ્તીઓ મોટે ભાગે શહેનશાહી વર્ષની પદ્ધતિ અનુસરે છે. આ દાદગાહ ઈ.સ. ૧૮૮૪ ના એપ્રિલની ૧૧ મીએ ખુલ્લી મુકાઈ; જયારે વિ.સં. ૧૯૪૦ ના ચૈત્ર વદ ૧ ને શુક્રવાર હતો. શહેનશાહી પદ્ધતિ પ્રમાણે એ દિવસે યદગર્દી સન ૧૨૫૩ના ૭મા મહિના મહેરનો ૨૬ મી રોજ અને કદમી પદ્ધતિ પ્રમાણે ૮ મા મહિના આવાનો ર૬ મો રોજ ચાલતો હતો. દાદગાહ, ચેહેલી અને એને લગતાં મકાનો બંધાવનારાએ એ બધાં મકાન અમદાવાદની જરથોસ્તી અંજુમનને પારસીઓના ધર્મનાં કામો માટે અર્પણ કર્યા હતાં. આ લેખમાં જે ત્રણ પારસી કુટુંબોનો ઉલ્લેખ છે તે ત્રણેય કુટુંબોમાં વડા – ખરશેદજી બહેરામજી નાણાવટી, મંચેરજી સોરાબજી કારંજવાલા અને પેસ્તનજી ફરામજી વકીલ અમદાવાદની પારસી અંજુમનના અગ્રણી હતા ને અહીંની પારસી પંચાયતના પ્રથમ ટ્રસ્ટીઓમાં અગ્રિમ સ્થાન ધરાવતા. શેઠ ખરશેદજી બહેરામજી નાણાવટીએ અહીં દાદગાહ ૬ કી ઑગસ્ટ, ૧૮૪૬ ના રોજ ખુલ્લી મૂકી હતી. આ દાદગાહ ૧૮ મી જુલાઈ, ૧૮૭૭ ના રોજ પારસી પંચાયતને સુપરત કરવામાં આવી. શેઠ મંચરજી સોરાબજી કારંજવાલાએ અમદાવાદમાં દખમું કરાવવામાં અગ્રિમ ભાગ ભજવેલો. એમના પુત્ર કાવસજી મંચરજી કારંજવાલા ૧૮૭૯ થી ૧૮૮૭ સુધી પારસી પંચાયતના સેક્રેટરી હતા. પથિક ત્રમાસિક – એપ્રિલ-મે-જૂન, ૨૦૦૪ u ૮ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60