Book Title: Samipya 2006 Vol 23 Ank 03 04
Author(s): R P Mehta, R T Savalia
Publisher: Bholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગુજરાતનો ઈતિહાસ અને સંસ્કૃતિ : મૈત્રક અને અનુ-મૈત્રક કાલ
હરિપ્રસાદ શાસ્ત્રી*
ગુજરાતના પ્રાચીન કાલના ઇતિહાસમાં ત્રણ દીર્ઘ કાલખંડ છે : ક્ષત્રપ કાલ, મૈત્રક કાલ અને સોલંકી કાલ. (૧) મૈત્રક કાલ
ગુજરાતમાં ક્ષત્રપ કાલના અંત પછી થોડાં વર્ષ મગધના ગુપ્ત સમ્રાટોનું શાસન પ્રવત્યું. એ પછી વલભીમાં એક નવા રાજવંશની સત્તા સ્થપાઈ. એ રાજવંશનું નામ નિશ્ચિત થયું નહોતું ત્યારે એનું રાજય વલભી રાજ્ય' તરીકે ઓળખાતું. આગળ જતાં એ વંશના રાજાઓ મૈત્રક કુલના હોવાનું નિશ્ચિત થતાં વલભી રાજય મૈત્રક રાજય તરીકે ઓળખાયું. મૈત્રક વંશનું શાસન સમસ્ત સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને પશ્ચિમ માળવા પર પ્રવર્યું હતું. આથી ગુજરાતના ઇતિહાસમાં આ કાલખંડને મૈત્રક કાલ' તરીકે ઓળખવામાં આવે છે. | ગુજરાતનો મૈત્રકકાલીન ઇતિહાસ ગુજરાતીમાં મુખ્યત્વે ત્રણચાર ગ્રંથોમાં નિરૂપાયો છે. ૧. આ લેખકના “મૈત્રકકાલીન ગુજરાત' (૧૯૫૫) માં, ૨આ લેખકના “ગુજરાતનો પ્રાચીન ઇતિહાસ' (૧૯૬૪, ૧૯૭૩)માં, ૩. ભો.જે. વિદ્યાભવનના “મૈત્રક કાલ અને અનુ-મૈત્રક કાલ” (૧૯૭૪)માં અને આ લેખકના “ગુજરાતનો ઇતિહાસઃ પ્રાચીન કાલ” (૨૦૦૧)માં.
મૈત્રક કાલીન ઇતિહાસના વિવિધ સ્રોતોમાં જૈન પ્રબંધોમાં માત્ર વલભી-ભંગનો આનુશ્રુતિક વૃત્તાંત નિરૂપાયો છે, જે એ વંશના અંતિમ રાજાના સમયમાં થયેલા એ રાજવંશના તથા એની રાજધાની વલભીના નાશને લગતો છે.
પરંતુ આ વંશના રાજાઓએ ભૂમિદાન કરી તામ્રપત્રો પર એનાં દાનશાસન કોતરાવેલાં, તે એકસોથી વધુ પ્રાપ્ત થયાં છે, તેમાંથી એ રાજાઓની વંશાવળી અને સાલવારી, દાન લેનાર બ્રાહ્મણો અને બૌદ્ધ વિહારો, રાજયના અધિકારીઓ અને વહીવટી વિભાગો, ભૂમિદાનને લગતી ધાર્મિક માન્યતાઓ, દાનશાસનોના દૂતકો અને લેખકો, દાનશાસનોની મિતિઓ ઈત્યાદિ વિશે ઠીકઠીક માહિતી મળે છે.
મૈત્રક રાજાઓ સમય જતાં યાદવકુલના ક્ષત્રિય ગણાયા, પરંતુ મૂળમાં તેઓ પાશુપત સંપ્રદાયના ભગવાન લકુલીશના એક પટ્ટશિષ્ય મિત્રના વંશજ હોવા સંભવે છે. મૈત્રક કુલના ઘણાખરા રાજાઓ પરમ માહેશ્વર હતા.
આ રાજવંશનો સ્થાપક ભટાર્ક મૂળમાં સેનાપતિ હતો. સમય જતાં એણે પ્રબળ શત્રુસૈન્યને હરાવી વલભીમાં પોતાની રાજસત્તા સ્થાપી, પરંતુ એણે તથા એના ઉત્તરાધિકારીએ પોતાના પરમભટ્ટારકની આમન્યા રાખી રાજપદવી ધારણ કરી નહિ. આ વંશનાં દાનશાસન વર્ષ ૧૮૩ થી ૪૪૭ નાં મળ્યાં છે, તેમાં પ્રયોજાયેલ સંવત વલભી સંવત હોવાનું માલુમ પડે છે, જે અગાઉ સૌરાષ્ટ્રમાં પ્રચલિત થયેલ ગુપ્ત સંવતનું સુધારેલું રૂપાંતર છે. આ અનુસાર મૈત્રક રાજ્યની સ્થાપના ઈ.સ. ૪૭૦ ના અરસામાં થઈ લાગે છે, જયારે એનો અંત ઈ.સ ૭૮૮ માં આવ્યો હોવાનું માલુમ પડે છે.
નિવૃત્ત નિયામક, ભો.જે. વિદ્યાભવન, અમદાવાદ
૭૨
સામીપ્ય: ઓક્ટો. ૨૦૦૬ – માર્ચ, ૨૦૦૭
For Private and Personal Use Only