Book Title: Samipya 2006 Vol 23 Ank 03 04
Author(s): R P Mehta, R T Savalia
Publisher: Bholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આમ દેહની અંદર જ સર્વલોકની કલ્પના કરી તેને પરમાત્મામાં લય કરવાની રીત તેમાં બતાવી છે જેના દ્વારા “હું જ બ્રહ્મ છું” એમ આત્મા-પરમાત્માની એકતાનું જ્ઞાન મેળવી એ રીતે પરમાત્માનું ધ્યાન ધરનાર મુક્તિ પામે છે. આ રીતે મોક્ષ પામવા જીવાત્માએ શું કરવું જોઈએ તે ઉત્તરગીતા બતાવે છે.
કેટલાક તાત્વિક પ્રશ્નોની બાબતમાં ઉત્તરગીતા ભગવદ્ગીતાના ખ્યાલને મળતી આવે છે. ભગવદ્ગીતામાં ઉત્તરગીતા કરતાં ઘણું વધારે કહ્યું છે પણ તાત્ત્વિકતાને લગતું જ્ઞાન ભગવદ્ગીતા કરતાં ઉત્તરગીતા વિશેષ સમજાવે છે. ભગવદ્ગીતાની જેમ જ આત્માની અપેક્ષાએ દેહને મલિન અને નાશવંત ગણે છે.
अत्यन्तमलिनो देहो देहि चात्यन्तनिर्मलः ।। દેહ અત્યંત મલિન છે. દેહી આત્મા અત્યંત નિર્મળ છે. (ઉ.ગી. ૧/૫૭) અને છતાં તેમ પણ કહે છે કે તે જ દેહમાં સર્વ લોક, સર્વ બ્રહ્માંડ વગેરે સમાયેલાં છે (જુઓ ઉ.ગી. ૨/૧૩ થી ૧૪) માટે તત્ત્વજ્ઞાન પામવા સૌ પ્રથમ દેહમાં જ સર્વકાંઈ સમાયેલું છે એમ જાણવું, દેહનો લય પરમાત્મામાં થાય છે ત્યારે જ મોક્ષ થાય છે. આ પ્રમાણેના જ્ઞાનને જ તત્ત્વજ્ઞાન કહેવામાં આવે છે. એ જ બ્રહ્મજ્ઞાન છે જે દ્વારા મનુષ્ય મુક્તિ મેળવી શકે છે એમ સમજાવ્યું છે. ( અંતિમ તત્ત્વો કેટલાં છે તે અંગેની ચર્ચા ઉત્તરગીતામાં જોવા મળતી નથી. પુરુષ પ્રકૃતિનો કે પરાઅપરા પ્રકૃતિનો તેમાં ઉલ્લેખ જ નથી. ઉત્તરગીતામાં આત્મતત્ત્વ અને પરમાત્મ તત્ત્વ એ બંનેની ચર્ચા માનવમુક્તિના સંદર્ભમાં કરવામાં આવી છે.
ઉત્તર ગીતામાં આત્માનું, ખાસ કરીને જીવાત્માનું સ્વરૂપ વધુ સ્પષ્ટ કરેલ છે. આત્મા એ પરમાત્માનું જ સ્વરૂપ છે તેમ તે સ્પષ્ટપણે કહે છે.
शरीरिणामजस्यान्तं हंसत्वं पारदर्शनम् । हंसोहंसाक्षरं चैवं कूटस्थं यत्तदक्षरम् ॥
तद्विद्वानक्षरं प्राप्य बाह्यान्मरणजन्मनी ॥ જીવનું જે અંતિમ સ્વરૂપ તે હંસત્વ-પરબ્રહ્મરૂપતા છે, તે જ જીવોને પાર દર્શાવનારું પરમજ્ઞાન છે. હંસ બ્રહ્મ છે, હંસાક્ષર-પ્રણવ ૐકાર છે. આ બંનેનું જે સાક્ષી છે તે અક્ષર છે. તેના સ્વરૂપને જાણનારો વિવેકી હોઈ, તે અક્ષરને પામી, જન્મ-મરણના ફેરામાંથી છૂટે છે. (ઉ.ગી. ૧/૫,૬).
मनस्थो देहिनां देवो मनोमध्ये व्यवस्थितः । જુદાં જુદાં પ્રાણીઓના અંત:કરણમાં રહેલો પરમેશ્વર તે તે અંતઃકરણોમાં જ સાક્ષી સ્વરૂપે પ્રકાશે છે. (ઉ.ગી ૧૩૧)
જે બ્રહ્મ સર્વ પ્રાણીઓમાં અંતર્યામીરૂપે વસેલું હોઈ સર્વવ્યાપ્ત છે, તેને જાણીને યોગીઓ ઇન્દ્રિયોનો સંયમ કરી કેવી રીતે સિધ્ધિ થાય છે ? એવા અર્જુનના પ્રશ્નના જવાબમાં કૃષ્ણ કહે છે,
यथा जलं जले क्षिप्तं क्षीरे क्षीरं घृते घृतम् ।
अविशेषो भवेत्तद्वज्जीवात्मपरमात्मनोः ॥ જેમ પાણીમાં પાણી, દૂધમાં દૂધ અને ઘીમાં ઘી નાંખી દીધા પછી તે એક થઈ જાય છે, તેમ જીવ અને પરમાત્માની એકતા સંભવી શકે છે. (ઉ.ગી. ૨/૨).
जीवे परेव तादात्म्यं सर्वगं ज्योतिरीश्वरम् ।
प्रमाणलक्षणैर्जेयं स्वमेकानवेदिना ॥ અધિકારીએ પોતે જ બ્રહ્મનિષ્ઠ ગુરુ પાસેથી પ્રમાણભૂત લક્ષણો વડે જીવ અને પરમાત્માની એકતા જાણીને સર્વવ્યાપ્ત, સર્વનિયતા અને સ્વયંપ્રકાશ આત્માનો સાક્ષાત્કાર કરવો જોઈએ. (ઉ.ગી. ૨/૩)
૭૮
સામીપ્ય: ઓક્ટો. ૨૦૦૬ માર્ચ, ૨૦૦૭
For Private and Personal Use Only