________________
ર
પ્રભુ જીવન
સ્વીકારી હતી. જયમલભાઈની ઉંમર ત્યારે ૨૯ વર્ષની હતી. નિરંજન વર્માની ઉંમર ફક્ત બાવીસ વર્ષની હતી. ફુલછાબમાં તેઓ સંયુક્ત નામથી લખતા. પોતાના જે ગ્રંથો પ્રગટ થતાં તે પણ તેઓ સંયુક્ત નામથી જ પ્રગટ કરતા. ૧૯૩૯ થી ૧૯૪૨ સુધીના વર્ષ દરમિયાન આ બે યુવાન લેખકોએ ઘણું લેખનકાર્ય કર્યું. એ જમાનામાં સાહિત્યના ક્ષેત્રમાં તેઓ છવાઈ ગયા હતાં. અનેક યુવાનો સ્વાતંત્ર્યની ભાવનાથી રંગાયેલા તેમનાં પ્રેરક, ઉદ્બોધક સાહિત્યને વાંચવાનું ચૂકતા ન હતા.
નિરંજન વર્મા અને જયમલ પરમારે આઝાદીની લડત દરમિયાન ‘ખંડિત કલેવરો' નામની લખેલી હળવી રસિક નવલકથાએ કેટલોક ઉહાપોહ મચાવ્યો હતો. કારણ કે એ નવલક્થામાં એમણે દોરેલા કેટલાંક શબ્દચિત્રો આઝાદીના લડતમાં ભાગ લેનાર વ્યક્તિના ઉપરથી દોર્યાં હતાં. એમાં હળવી શૈલીએ લખાયેલાં શબ્દ ચિત્રો વ્યંગ અને કટાક્ષથી ભરપૂર હતાં. જો એ શબ્દચિત્રમાંથી કોઈક વ્યક્તિની જાણ થાય તો તેમાં વધુ રસ પડે એવાં એ શબ્દ ચિત્રો હતાં. આ બંને લેખકો પાસે ગંભીર લેખનની સાથે સાથે હળવી હાસ્યરસિક શૈલી પણ હતી. એ આ નવલકથા ઉપરથી પ્રતીતિ થઈ હતી. ‘ ખંડિત ક્લેવરો' ઉપરાંત ‘અણખૂટ ધારા’, ‘કદમ કદમ બઢાયે જા' જેવી નવલકથાઓમાં એમણે આપણી આઝાદીની લડતના દિવસોના વિવિધ પ્રવાહોનું વાસ્તવિક, નર્મમર્મયુક્ત ચિત્ર દોર્યું છે.
નિરંજન વર્મા અને જયમલ પરમાર એ બે પત્રકારોએ સંયુક્ત રીતે લેખન કાર્ય ઘણાં વર્ષ સુધી કર્યું.એ બંને લેખકોને ગૌરવ અપાવે એવી વાત છે. યુવાન વયે સંયુક્ત રીતે લેખનકાર્યનો આરંભ કરનારા લેખકો પછીથી પોતપોતાની શક્તિ અનુસાર સ્વતંત્ર લેખન કરવા તરફ વળી જાય છે. જેની પાસે વધુ સારી લેખન શક્તિ હોય તે લેખકને પોતાની શક્તિનો બીજો કોઈ લેખક યશભાગી થાય એ ગમતી વાત હોતી નથી, પરંતુ યશ કરતાં પણ મૈત્રી જયારે ચઢિયાતી હોય છે અને હ્રદયની ઉદારતા તથા સ્વાર્પણની ભાવના હોય છે ત્યારે બે લેખકો સંયુક્ત નામથી ઘણા દીર્ઘકાળ સુધી લખી શકે છે. ગુજરાતી સાહિત્યમાં નિરંજન વર્મા અને જયમલ પરમારનું નામ એ દ્રષ્ટિએ ચિર:સ્મરણીય રહેશે. દુર્ભાગ્યે ઈ. સ. ૧૯૫૧માં નિરંજન વર્માનું ૩૪ વર્ષની વયે અવસાન થતાં આ પત્રકાર બેલડી ખંડિત થઈ. ત્યાર પછી જયમલભાઈએ પોતાનું સ્વતંત્ર લેખનકાર્ય ચાલુ રાખ્યું. એમણે પત્રકારત્ત્વના ક્ષેત્રે આજીવન કાર્ય કર્યું અને સંખ્યાબંધ ગ્રંથો પ્રગટ કર્યા. એ દર્શાવે છે કે નિરંજન વર્મા સાથેના લેખનકાર્યમાં તેમનું યોગદાન ઘણું મોટું રહ્યું હશે.
જયમલભાઈનો યુવાનીનો જમાનો એટલે સ્વાતંત્ર્ય સંગ્રામનો જમાનો પરંતુ એ જમાનામાં એક બાજુ બ્રિટિશ રાજયના પ્રદેશો હતા, તો સૌરાષ્ટ્રમાં મુખ્યત્વે દેશી રાજ્યો હતાં. સમગ્ર ભારતમાં સૌથી વધુ દેશી રાજ્યો સૌરાષ્ટ્રમાં હતાં. ત્રણસોથી પણ વધુ આ રાજયોમાંનાં કેટલાક નાનાં નાનાં રાજયો તો પાંચ પંદર ગામનાં જ હતાં. ભારતમાં આઝાદીની લડત વખતે દેશી રાજ્યોનો પણ એક મોટો પ્રશ્ન હતો. તેમાં પણ સૌરાષ્ટ્રમાં એ પ્રશ્ન વધુ જટીલ હતો. જયમલભાઈએ યુવાનવયે ફુલછાબમાં સૌરાષ્ટ્રના દેશી રાજયોના પ્રશ્નો અંગે પોતાની અભ્યાસપૂર્ણ વેધક કોલમ ચલાવી હતી. આજે તો નવી પેઢીને એ સમયની દેશી રાજયોની સ્થિતિનો ખ્યાલ આવવો પણ મુશ્કેલ છે. જયમલભાઈએ એ દિશમાં કેટલું સંગીન કાર્ય ત્યારે કર્યું હતું તે તો તે સમયના સાક્ષીઓ જ વધારે સારી રીતે કહી શકે !
જયમલભાઈએ યુવાન વયે 'ભૂદાન', 'ઉકરડાનાં ફુલ' જેવાં નાટકો ‘ સાંબેલાં', 'અમથી ડોશીની અમથી વાણી', જેવાં ટાક્ષકાવ્યો તથા 'આચાર્ય પ્રકુલ્લચંદ્ર રોય', 'સુભાષના સેનાનીઓ' વગેરે ચરિત્રો લખ્યાં હતાં. એમની સર્જક પ્રતિભા આમ જુદાં જુદાં સાહિત્યસ્વરૂપોમાં વિહરતી.
સ્વ. જયમલ પરમારનો ઉછેર અને વિકાસ મુખ્યત્વે નો એક રાષ્ટ્રીય રચનાત્મક કાર્યકર તરીકે થયેલો હતો. એટલે જ સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન સૌરાષ્ટ્રના ઘણા રચનાત્મક કાર્યોમાં એમણે સયિ ભાગ લીધો હતો. એમની એ પ્રવૃત્તિ આઝાદી પછી પણ ચાલુ રહી હતી. ઈ.સ. ૧૯૬૫ના ગાળામાં એમણે ગુજરાતમાં નશાબંધીની પ્રચાર પ્રવૃત્તિમાં ઘણું મહત્ત્વનું કાર્ય કર્યું હતું.
નિયમિત લેખનકાર્ય કરનાર પત્રકારની પાસે જો કોઈ સામયિક હોય તો તેના લેખન કાર્યને વધુ વેગ અને સગવડ મળે છે. ફુલછાબ’ માં પત્રકાર
તા. ૧૬-૧૧-૯૧
તરીકે કાર્ય કરનાર જયમલભાઈને પછીના વર્ષોમાં ઈશ્વરલાલ મો. દવેનો સહકાર સાંપડયો અને તેમના ‘ઉમિ- નવરચનામાં સંપાદક તરીકે જયમમલભાઈ જોડાઈ ગયા. પછીના વર્ષોમાં ઈશ્વરલાલ દવેના અવસાન પછી ‘ઊર્મિ-નવરચના'ના તેઓ મંત્રી બન્યા અને વર્ષો સુધી એ સામયિકને ખોટ ખાઈને પણ તેમણે નિષ્ઠાપૂર્વક ચલાવ્યું. એને પરિણામે એમના તરફથી આપણને એમની કેટલીક ઉત્તમ લેખન પ્રસાદી નિયમિત મળતી રહી. ભાઈ રાજુલ દવેનો એમાં સારો સહકાર મળતો રહ્યો હતો.
જયમલભાઈ જેમ એક સિદ્ધહસ્ત લેખક હતા તેમ એક સારા વક્તા પણ હતા. તેમનો અવાજ બુલંદ હતો. તેમની વાણી મધુર હતી. તેમનું વક્તવ્ય સચોટ અને માર્મિક હતું. તેઓ સભાઓનું સંચાલન કુશળતાપૂર્વક એવું સરસ કરતા કે એની છાપ શ્રોતાઓના ચિત્તમાં ચિરકાળને માટે અંક્તિ થઈ જતી જયમલભાઈ એટલે સભાઓના, સંગોષ્ઠીઓના માણસ. જયમલભાઈ અનેક ઠેકાણે ઘૂમી વળેલા, તેઓ અનેક વ્યક્તિઓના અંગત ગાઢ સંપર્કમાં આવેલા. એમનું વાંચન પણ અત્યંત વિશાળ. એટલે જયારે પણ એમની પાસે જઈએ ત્યારે એમની વાતોનો ખજાનો ખૂટે નહિ, એમનું જીવન એટલે અનુભવ સમૃદ્ધ જીવન.
સ્વ. મેઘાણીભાઈની જેમ જયમલભાઈ માટે પણ લોકસાહિત્ય જીવનભર રસનો વિષય રહ્યો હતો. એથી જ મેધાણીભાઈની જેમ તેઓ પણ લોકસાહિત્યના અભ્યાસ અર્થે અનેક સ્થળે ઘૂમી વળ્યા હતા. ડાયરાઓમાં, ભજન મંડળીઓમાં, બારોટો અને ચારણો, બાવાઓ અને સંતો એમ વિવિધ પ્રકારના લોકોની વચ્ચે રહીને તેઓ તેનું સંશોધન-અધ્યયન કરતાં રહ્યા હતા.
લોક સાહિત્યના ક્ષેત્રે સ્વ. જયમલભાઈ સ્વ. ઝવેરચંદ મેઘાણીના સમર્થ અનુગામી બની ગયા હતા. તેમણે મેઘાણીભાઈ પાસેથી સરસ તાલીમ મળી હતી. એટલે જ સૌરાષ્ટ્રમાં તેમને લોક સાહિત્યને જીવંત રાખવામાં ઘણું મહત્ત્વનું કાર્ય કર્યું છે. 'લોક સાહિત્ય સભા' નામની સંસ્થાની સ્થાપના તેમણે કરી હતી અને તેના મંત્રી તરીકે ઘણાં વર્ષો સુધી સેવા બજાવી હતી. એવી બીજી કેટલીક સંસ્થાઓ સાથે તેઓ સક્તિપણે જોડાયેલા રહ્યા હતા. સૌરાષ્ટ્રમાં ડાયરાઓના કાર્યક્રમને વધુ જીવંત અને સર્જનાત્મક બનાવવામાં તેમનો ફાળો ઘણો મોટો રહ્યો છે. આ ડાયરાઓ દ્વારા તેમણે કવિ સ્વ. દુલા કાગ, મેરુભા, કાનજી ભુટા બારોટ વગેરે ક્લાકારોને પ્રકાશમાં આણ્યા હતા. વર્તમાન પેઢીના ઘણા કલાકારો એ દ્રષ્ટિએ પોતાની સિદ્ધિઓ માટે સ્વ. જયમલભાઈના ઋણી છે.
લોક્સાહિત્યના વિવિધ પ્રકારના કાર્યક્રમો, રેડિયો પ્રસારણો તથા ટી.વી.ના કાર્યક્રમો ઉપરાંત જયમલભાઈએ લોકસાહિત્યના સંશોધન-સંપાદન ક્ષેત્રે પણ ઘણું મહત્ત્વનું કાર્ય કર્યું છે. એમણે દેશ-દેશની લોકક્શાઓ,’‘પરીક્થાઓ, પંજાબની વાતો', 'રાજસ્થાનની વાતો, ‘બુંદેલ ખંડની વાતો, ‘કાઠિયાવાડની વાતો, ‘ધરતીની અમીરાત' વગેરે લોકકથાના ગ્રંથો પ્રગટ કર્યા છે. ‘ લોક વાર્તાની રસ લ્હાણ,' 'જીવે ઘોડા, જીવે ઘોડા' એ નામના લોકક્થાનાં સંપાદનો દ્વારા બીજા લેખકોએ લખેલી કેટલીક મહત્ત્વની લોકવાર્તાઓ એમણે આપણને આપી છે.
લોકસાહિત્યમાં બાળવાર્તાઓ અને કિશોરવાર્તાઓમાં પણ જયમલભાઈને એટલો જ રસ પડતો. એ ક્ષેત્રમાં પણ એમનું પ્રદાન પણ ઘણું મોટું છે. યુવાન વયે એમણે લોકસાહિત્યના બાળક્થાના પંદરેક જેટલા સંગ્રહો પ્રગટ કર્યા હતા. એમાં 'ચાતુરીની વાતો, 'પાકો પંડિત', 'ચૌબોલા રાણી, ‘સોન પદમણી’, ફૂલવંતી', 'કુંવર પિયુજી', 'અજગરના મોંમાં' ઈત્યાદિ સંગ્રહો નોંધપાત્ર છે.
સ્વ. જયમલભાઈએ આપણા લોકસાહિત્ય અને લોકસંસ્કૃતિના વિભિન્ન વિષયો ઉપર વખતોવખત જે અભ્યાસપૂર્ણ સંશોધનલેખો લખ્યા હતા તે ગ્રંથસ્વરૂપે પ્રગટ થતા રહ્યા હતા. આપણી લોકસંસ્કૃતિ, ‘આપણાં લોકનૃત્યો’, ‘લોકસાહિત્ય અને સંસ્કૃતિ’, ‘ લોકસાહિત્યવિમર્શ, લોકસાહિત્યતત્ત્વદર્શન અને મૂલ્યાંકન' જેવા સમર્થ ગ્રંથો દ્વારા સ્વ. જયમલભાઈએ રાસ, રાસડો, ગરબો, ગરબી વગેરે પ્રકારનાં લોકગીતો, વિવિધ પ્રકારનાં લોકનૃત્યો, પઢાર, કોળી, આયર, ભરવાડ, સીદીઓ વગેરે જાતિઓ, તેમના પહેરવેશ, ભરતગૂંથણની કલા, તેમની ગૃહસુશોભનની કલા, તેમના જન્મ, લગ્ન, મૃત્યુ વગેરેના પ્રસંગોના રીતરિવાજો ઈત્યાદિનું ઐતિહાસિક સંદર્ભો સાથે સરસ દિગ્દર્શન કરાવ્યું છે. સ્વ. ઝવેરચંદ મેઘાણી પછી એટલા જ વિશાળ ફલક ઉપર લોકસાહિત્યનું અધ્યયન, સમર્થ ગ્રંથો દ્વારા સ્વ. જયમલભાઈ પાસેથી આપણને સાંપડે છે.