Book Title: Prabuddha Jivan 1991 Year 02 Ank 01 to 12
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 154
________________ ૧૪ પ્રબુદ્ધ જીવન નિશ્ચય બે તત્ત્વધારા આપણને ભારતવાસીઓને ગૌરવ છે કે જયારે જગત પત્થરયુગમાં જીવતું હતું અને મનુષ્ય આહાર કેવી રીતે મેળવવો, કેમ પક્વો, ઘર કેમ બાંધવું, પાણી કેમ કાઢવું – એવા પ્રાથમિક પ્રશ્નોમાં પડયો હતો. ત્યારે ભારતના ઋષિમુનિઓ આત્મા, પરમાત્મા, બ્રહ્મ, જગત અને નભોમંડળની ઉત્પત્તિના પ્રશ્નોની ચર્ચા કરતા હતા. પણ આપણે એ ગૌરવ ગાથા ગાઈને ક્યાં સુધી બેસી રહીશું ? જે ફક્ત ભૂતકાળને વાગોળીને બેસી રહે છે તેનો વર્તમાન વણસતો જાય છે અને ભવિષ્ય હાથમાંથી સરી જાય છે. આજનો વર્તમાન કાલનું ભાવિ છે. તેની અવગણના કરનાર સમાજ કે દેશ સમૃદ્ધ થઇ શક્તો નથી કે આગળ વધી શક્તો નથી. - Lચન્દ્રહાસ ત્રિવેદી આપણે જરા વિચાર કરીએ કે તત્ત્વજ્ઞાનની ખોજ કેમ શરૂ થઇ ? જીવ માત્ર સુખનો ઇચ્છુક છે અને સુખની શોધ માટે તે નિરંતર પ્રવાસ કર્યા કરે છે. સુખ પ્રાપ્તિમાં સાધનોનું ઘણું મહત્વ રહેલું છે. એક તો એવાં સાધનો મેળવવાં મૂકેલ અને જો મળી જાય તો વળી ભોગવવાનો સમય ન મળે. વળી સમય મળી જાય તો પણ એ સુખ-સંપત્તિ લાંબો સમય ન રહે. આમ સુખની આડે ઘણા અંતરાયો પડેલા છે. તો સુખ મેળવવું ક્યાંથી અને એ પણ અંતરાય વિનાનું સુખ હોય અને શાશ્ર્વત ટકી રહેનાર હોય. આમ સુખના ચિંતનમાંથીજ દૃષ્ટાઓને ધર્મનો માર્ગ મળ્યો. મહાન આચાર્ય હરિભદ્રસૂરિએ કહ્યું છે કે જે સુખમાં દુ:ખ ભળેલું હોય તેને સુખ કેમ કહેવાય ? દૂધના કટોરામાં વિષનું એક બિંદુ પડેલું હોય તે દૂધને અમૃત કેવી રીતે કહેવાય ? તે કેમ પીવાય ? આમ એક રીતે જોઇએ તો સંપૂર્ણ સુખની – શાશ્વત સુખની શોધ કરતાં કરતાં તત્વચિંતકો ધર્મને ઓવારે આવી પહોંચ્યા. જગતમાં ધર્મને નામે અનેક ચોકા પડયા છે અને સૌ પોત-પોતાના ધર્મને પ્રાચીન તેમજ સત્યનો દ્યોતક ગણે છે. આપણે એ બધાની ચર્ચા ન કરતાં ધર્મની બે મહાન ધારાઓની જ વાત કરીએ. આ બે ધારાઓમાં ઘણા સંપ્રદાયો એક કે બીજી રીતે સમાઇ જાય છે. પૂર્વની ધર્મધારા અને પશ્ચિમની ધર્મધારા. આ બન્નેમાં પાપ કર્મ અને પૂણ્ય કર્મ ઉપર ઘણો વિચાર થયો છે. પાશ્ચાત્ય ધારાને એવું લાધ્યું કે પાપ એજ દુ:ખનું કારણ છે માટે પાપથી દૂર રહો અને પાપને વિલ કરવા પૂણ્યનો સહારો શોધો. પૂણ્ય જ સુખ લાવી આપશે. તો પછી પૂણ્યની પ્રવૃત્તિઓ શરૂ કરશે. પૂણ્યની પ્રવૃત્તિ એટલે સેવાની પ્રવૃત્તિ – સહાયની પ્રવૃત્તિ. તેથી પાશ્ચાત્ય ધર્મધારાએ વિવિધ મિશનો હેઠળ સેવા અને સહાયની પ્રવૃત્તિઓ શરૂ કરી અને દુનિયાભરમાં ઇસાઇ અને અન્ય ધર્મોનાં મીશનરી કેન્દ્રો ખૂલી ગયાં. આ મીશનરી પ્રવૃત્તિએ .લોકકલ્યાણનો માર્ગ મોકળો કર્યો. ભૂખ્યાંને અન્ન, નાગાંને વસ્ત્ર, માંદાને દવા અને સારવાર, બે-ઘરને ઘર અને નોંધારાને આધાર આપતી. આ મીશનરી પ્રવૃત્તિઓ દુનિયાભરમાં છવાઈ ગઈ. પોતાનો દેશ વેશ—આબોહવા–સગાં-વ્હાલાં છોડીને પરદેશનાં અજાણ્યા અને ઘણીવાર ભય ભરેલાં સ્થાનોમાં સેવા માટે પથરાઇ જતા અને જીવન સમર્પીત કરતા કાર્યકરોને જોઇને કોઇપણ માનવપ્રેમી તેમની સેવાને બીરદાવ્યા સિવાય રહી શકે નહિ. સ્વાભાવિક રીતે જ સાથો સાથ ધર્મના પ્રસારનું કાર્ય પણ ચાલ્યું. જે સ્રોતમાંથી આ પ્રવૃત્તિનો પ્રવાહ નીકળ્યો હોય અને જે ભાવનાથી કાર્યકરો રંગાયેલા હોય તેની તેઓ અવગણના કેવી રીતે કરે ? આમ દીન-દુખીયાઓ સુધી પ્રભુનો સંદેશ પહોંચાડવા મીશનરીઓ ગામડે ગામડે, જંગલે – જંગલે અને દૂર દૂરના પહાડો સુધી ફરી વળ્યા. શાળાઓ - કોલેજો, ઇસ્પિતાલો, ચર્ચ, હોસ્ટેલો આ બધાં તેમની સેવા પ્રવૃત્તિના દ્યોતક કેન્દ્રો બની રહ્યાં. આમ પાશ્ચાત્ય ધર્મધારા – તત્વધારા સેવા – પ્રવૃત્તિ તરફ ઝૂકી – જેને કેટલાકે એકશન ઓરિયેન્ટેડ ગણી. આ સેવા – પ્રવૃત્તિ જાણતાં – અજાણતાં વ્યવહારની ભૂમિકાને પ્રાધાન્ય આપીને આગળ વધી. બીજી બાજુ પૂર્વની તત્વધારાએ પૂણ્ય અને પાપની વાત સ્વીકારી તો ખરી પણ તેઓ સુખની શોધમાં તેના અંતિમ ચરણ ઉપર આવી પહોંચ્યા. જ્યાં તેમને લાગ્યું કે સુખ, સાધનોમાં નથી – સંપત્તિમાં નથી, પણ એ બધાથી મુક્ત થવામાં છે. છેવટે સુખનાં સાધનો જ દુ:ખનાં સાધનોમાં = તા. ૧૬-૧૨-૯૧ અને વ્યવહાર પરિણમે છે. અને સરવાળે દુ:ખનીજ નિષ્પત્તિ થાય છે સંપૂર્ણ સુખની પ્રાપ્તિ માટે આ ધર્મ-ધારાએ મુક્તિનો આદર્શ સ્થાપ્યો અને તેની સિદ્ધિ માટે તેમણે જ્ઞાન અને ઘ્યાનની મહત્તા આંકી. આ માર્ગને અધ્યાત્મ માર્ગ – જ્ઞાન માર્ગ કહેવામાં આવ્યો. જે મહદ્ અંશે “ નોલેજ ઓરિયેન્ટેડ " ગણાયો. આમ પૂર્વના જગતને જ્ઞાન માર્ગે રંગવામાં ભારતીય સંસ્કૃતિ કે વૈદિક ધર્મનો ફાળો નાનો સૂનો નથી. ભારતના મહાન અને અમર ગ્રંથોનું નામ જ – વેદ – છે. વેદ એટલે જાણવું. તેનો અર્થ જ જ્ઞાન. કોનું જ્ઞાન ? આત્માનું જ્ઞાન. પોતાના સ્વરૂપનું જ્ઞાન. આવું જ્ઞાન ફક્ત માહિતી મેળવવાથી ન મળે. આ જ્ઞાન અનુભવગમ્ય છે અને કેટલેક અંશે ઇન્દ્રિયાતીત છે તેથી તેમાં ધ્યાનની અનિવાર્યતા રહી. આમ ભારતીય – પૂર્વના તત્ત્વજ્ઞાનનો પાયો જ્ઞાન અને ધ્યાન ઉપર મંડાયો. આ ધારાએ પાપ અને પૂણ્યની વાત સ્વીકારી પણ પૂણ્ય પ્રવૃત્તિથી પાપ વિફલ થઇ જવાની વાત ઘણે અંશે માન્ય ન રાખી. વેદાંત તો ત્યાં સુધી વાત કરી કે અજ્ઞાન જ સર્વ ઘ્યાનોનું મૂળ છે. અવિધાજ દુ:ખનું કારણ છે, અને વિધાથી જ દુઃખનો નાશ થાય. અવિદ્યા જતાં સુખનો સૂર્ય આપોઆપ પ્રકાશી ઉઠે – પછી તેને સુખની શોધ કરવાની જ ન રહે. વેદોની અને શ્રુતિની વૈચારિક ક્રાન્તિ સંકેત આપે છે કે અજ્ઞાનીની પૂણ્યકર્મની કિમત ઘણી અલ્પ છે, જ્ઞાનવિનાનું પૂણ્યકર્મ નિરર્થક છે. પૂણ્યથી દુઃખ દૂર થાય તે ભ્રાન્તિ છે. પૂણ્યકર્મથી સુખનું આશ્વાસન મળે પણ સુખ નહિ. સાચું - શાશ્ર્વત સુખ માત્ર આત્મજ્ઞાનમાંજ છે. આ વાત નિશ્ચિત છે, સત્ય છે તેથી તેને નિશ્ચયની ભૂમિકા કહેવામાં આવે છે. એનો અર્થ એ નથી કે પૂર્વની તત્ત્વધારાએ સેવા-પ્રવૃત્તિની સદંતર અવગણના કરી. સ્વામી વિવેકાનંદ આ બાબત વધુ સજાગ હતા. તેથી તેમણે રામકૃષ્ણ મીશનની સ્થાપના કરી સેવા પ્રવૃત્તિઓ હાથ ધરી. બન્ને તત્વધારાઓના ગુણદોષની ચર્ચામાં કે યથાર્થતાની વાતમાં આપણે વધારે ઊંડા નથી ઊતરવું કારણ કે બન્ને ધારાઓને પોત પોતાની પાર્શ્વ ભૂમિકા છે અને પોત પોતાની રીતે તથા તે ખરી પણ ઠરે. પણ બન્ને વાતો એકાંતિક લાગે છે. આત્માની – પરમાત્માની વાતો કરનાર કે ચિંતન કરનાર દેહધારી જ હોય છે. જ્ઞાન અને ધ્યાનમાં રત રહેનારને પણ દેહના ધર્મો આહાર – વિહાર – નિહાર સાચવવા જ પડે છે. દેહને ઢાંક્વા વસ અને માથુ ઢાંક્વા છાપરું પણ જોઇએ છે. જયાં સુધી દેહ છે ત્યાં સુધી તેના ધર્મો રહેવાના અને તેની અવગણના કેમ થઇ શકે ? જ્ઞાન અને ધ્યાનની વાત, આત્માના સ્વરૂપની વાત એક સત્ય છે. નિશ્ચય છે. જયારે દેહની વાત શરીરની જરૂરીઆતોની વાત એ પણ સત્ય છે. આપણે જે દેશમાં રહીએ છીએ, જે સમાજમાં જીવીએ છીએ તે વાસ્તવિક્તા છે અને તેમાં અવસ્થિત રહીનેજ, આપણને મળેલા મનુષ્ય દેહ દ્વારા જ આત્માની ઉન્નતિની છલાંગ મારવાની છે તેથી તેને અવગણીને આપણે કેટલા આગળ વધી શકવાના ? આ વ્યવહારની ભૂમિકા છે. સત્યની બીજી બાજુ છે. આમ નિશ્ચય શિખર છે તો વ્યવહાર તેના ઉપર લઇ જનાર કેડી છે. નિશ્ચય આદર્શ છે પણ જયાં સુધી દેહ છે ત્યાં સુધી વ્યવહાર પણ રહેવાનો. એકની અવગણના કરીને બીજાને સાધી શકાય તેમ નથી. વ્યવહાર વિનાનો નિશ્ચય હવામાં લટકી જાય તો નિશ્ચય વિનાનો વ્યવહાર સુકાન વિનાના વહાણ જેવો છે, જેને કોઇ કિનારો જ મળતો નથી, જેથી ભટકી જાય છે. Up n m સાભાર સ્વીકાર E ઋષિમંડલ સ્તોત્ર એક સ્વાઘ્યાય* લેખક : આચાર્ય શ્રી યશોદેવસૂરિજી * પૃષ્ઠ – ૯૬ * મૂલ્ય રૂા. ૧૨/- * પ્રકાશક : શ્રી મુક્તિકમલ જૈન મોહન જ્ઞાન મંદિર, રાવપુરા, વડોદરા - ૩૯૦૦૦૧ જ્ઞ કવિની છવિ (કાવ્ય સંગ્રહ) * લે. રતુભાઇ દેસાઇ *પૃષ્ઠ ૯૬ * મૂલ્ય રૂા. ૫૦/-- * પ્રકાશક : પરિમલ પ્રકાશન, 'પાર્વતી', હનુમાન રોડ, વિલેપાર્લે, મુંબઇ ૪૦૦ ૦૫૭. જ્ઞ ભારત દર્શન - ૪ (જ્ઞાન ગંગોત્રી ગ્રંથ શ્રેણી) સંપાદકો : શ્રી ભોગીલાલ ગાંધી / મુકુંદરાય મુનિ/ દિનેશ શુકલ * પૃષ્ઠ – ૨૧૬ * મૂલ્ય રૂ।. ૪૦/- * પ્રકાશક : સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભ વિધાનગર-૩૮૮૧૨૦.

Loading...

Page Navigation
1 ... 152 153 154 155 156