Book Title: Jain Katha Sahitya Ek Adhyayan
Author(s): Vrushtiyashashreeji, Nandighoshsuri
Publisher: Sankheshwar Parshwanath Jain Derasar Pedhi
View full book text
________________
રહ્યો. ધર્મરૂચિ મરણની રાહ જોતો નવકારના ધ્યાનમાં લીન બની ઉભો રહ્યો. ત્યારે રાજાએ ખુશ થઈને તેને અંગરક્ષક તરીકે નીમ્યો. પોતાની પાસે તેને રાખ્યો. ઉપસંહાર :- આ કથામાં બાળ શ્રાવક ધર્મરૂચિની મક્કમતા ખરેખર! વીરરસથી ભરપૂર છે. બાળકની નીડરતા, ધર્મ પ્રત્યેની શ્રધ્ધા આજની પેઢીને પશ્ચિમના વાવાઝોડા સામે ટકી રહેવા માટે ઉપદેશાત્મક, બોધાત્મક છે. આજનો બાળક કાલનો સુશ્રાવક છે. અને આવા વ્રતધારી શ્રાવકોની જૈન સમાજને અત્યંત જરૂરી છે. બાળકો આ કથામાંથી જરૂર બોધ પામશે અને આવા અનેક બાળ શ્રાવક-ધર્મરૂચિ પેદા થશે. ખરેખર! આચાર્ય શીલચંદ્રસૂરિએ આ કથાનું અદ્ભુત રીતે આલેખન કર્યું છે. ઓછા અને સચોટ શબ્દોમાં સુંદરમય રીતે કથાને વર્ણવી છે.
સમરું પલપલ સુવ્રત નામ' આ કથા વિશે આચાર્ય શીલચંદ્રસૂરિ કહે છે કે, આ કથા વિક્રમના ૧રમાં સૈકામાં થઈ ગયેલા હર્ષપૂર ગચ્છના આ.શ્રી ચંદ્રસૂરિ મહારાજે રચેલા પ્રાકૃત ભાષામય ગાથાઓમાં નિબધ્ધ શ્રી મુનિસુવ્રત સ્વામી ચરિત્ર પર સંપૂર્ણપણે આધારિત છે. કથા એક પ્રકારનો મુક્ત ભાવાનુવાદ છે. વ્રજકુંડલ અને શ્રીવર્મના બે પ્રકરણોમાં કોઇ ઐતિહાસિક નવલકથાના લેખકને રસ પડે તેવો ભરપૂર મસાલો ભર્યો છે. એ પ્રકરણો વાંચતા એમ લાગે કે આપણે ધૂમકેતુ કે મુનશીની નવલકથા વાંચી રહ્યા છીએ. આ કથામાં શાસ્ત્રીય પદાર્થોનું નિરૂપણ અદ્ભુત ઢંગથી થયું છે. ગ્રંથકાર સ્વયં બૃહ સંગ્રહણી, ક્ષેત્ર સમાસ જેવા ભૂગોળ-ખગોળ વિષયક શાસ્ત્રગ્રંથોના પ્રણેતા હોવાથી તેમની તે વિષયની સજ્જતા આ ગ્રંથમાં રૂડી રીતે વ્યક્ત થતી અનુભવી શકાય છે.“
આ કથા ૩૧૧ પાનામાં સમાયેલી છે. તેમાં સૌપ્રથમ શિવકેતુનું ત્યારબાદ કુબેરદત્ત, વજકુંડલ, શ્રીવર્ગ અને છેલ્લે મુનિસુવ્રતસ્વામીના ભવનું વર્ણન છે. આ કથામાં જંબુદ્વીપનું વર્ણન છે. ચક્રવર્તી અને વાસુદેવની ખંડ મર્યાદા દર્શાવી છે. વાક્યરચના વિશેષણોથી ભરપૂર છે. મુનિનું વર્ણન પણ અદ્ભુત રીતે કર્યું છે. જેમકે,
કેવી નયનાભિરામ મુદ્રા હતી એમની! એમનું મુખડું કેવું તેજસ્વી અને પ્રસન્ન હતું! તેમનો સ્વર કેટલો મીઠો હતો જાણે વેદગાન કરતા હોય તેવું લાગતું હતું. એમના સામે જોતાં જ મારા હૈયે કેવી ઠંડક વળવા માંડેલી. આવી શાતા તો મેં ક્યાંય પામી નથી. શું હું ફરીથી ત્યાં જઈ ન શકું? ત્યાં જઈ શકાય, ને એમની સમક્ષ થોડીવાર બેસી શકાય તો મને કેટલી બધી શાંતિ મળે!
આ વાક્યો વાંચતા વાંચકની નજર સમક્ષ મુનિની સૌમ્ય પ્રતિભાનું ચિત્ર ખડું થઇ જાય તેવું છે. આ શીલચંદ્રસૂરિએ સુંદર રીતે કથાનું આલેખન કર્યું છે. લેખકની
521