________________
ગાથા : ૧૭૮
અધ્યાત્મમતપરીક્ષા
૯૩૧
પ્રતિજ્ઞાની અપેક્ષા નથી. જ્યારે સર્વવિરતિ કે દેશવિરતિ ગુણસ્થાનક સર્વવિરતિ કે દેશવિરતિની આચરણાથી નિષ્પન્ન થાય છે ત્યાં, જેમ આચરણા કારણ છે તેમ પ્રતિજ્ઞા પણ કારણ છે. અને આથી જ તીર્થંકરો પણ સર્વવિરતિની પ્રતિજ્ઞા કરે છે ત્યારે જ તે ગુણસ્થાનકની પ્રાપ્તિ થાય છે; માત્ર સર્વવિરતિ કે દેશવિરતિની આચરણાથી તે ગુણસ્થાનક પ્રગટતું નથી.
ઉત્થાન :- સાધુ શ્રાવકધર્મની આચરણા કરે તો શ્રાવકધર્મમાં સાધુનો અનુપ્રવેશ થતો નથી, તે વાતને સ્પષ્ટ કરવા માટે ‘અપિ ='થી કહે છે
ટીકાર્ય :- ‘અપિ = ' અને વળી તેવા પ્રકારનો ધર્મ=સાધુધર્મને અયોગ્ય એવો શ્રાવકનો ધર્મ, સાધુ આભોગથી કરે કે અનાભોગથી કરે? પહેલો વિકલ્પ ઘટી શકતો નથી, કેમ કે અપ્રમાદી એવા સાધુને તાદશપ્રવૃત્તિનો=સાધુધર્મને અયોગ્ય એવી શ્રાવકધર્મની પ્રવૃત્તિનો, અસંભવ છે. (વળી) બીજો વિકલ્પ ઘટી શકતો નથી, કેમ કે અનાભોગનું અતિચારમાત્રજનકપણું છે, અને અભિનિવેશથી તેના કરણમાં=શ્રાવકધર્મની પ્રવૃત્તિના કરણમાં, મિથ્યાર્દષ્ટિપણું જ છે. એથી કરીને ધર્મમાં=શ્રાવકધર્મમાં, અનુપ્રવેશ કેવી રીતે થાય?
ભાવાર્થ :- સંયમ લીધા પછી સાધુ આભોગથી દેશિવરતિની ક્રિયા અપ્રમાદી હોય તો કરે નહિ, ક્વચિત્ અપવાદથી તે ક્રિયા ક૨વાથી કોઇ મોટો લાભ દેખાતો હોય, તો તે ક્રિયા કરવા છતાં અપ્રમાદી હોવાથી સંયમધર્મમાં બાધ થતો નથી; અને ક્વચિત્ પોતાની આ પ્રવૃત્તિ સાધુધર્મની મર્યાદા બહારની છે તેવું જ્ઞાન ન રહેવાથી, અનાભોગથી તેવી પ્રવૃત્તિ સાધુ કરે તો અતિચારમાત્ર લાગે, પરંતુ દેશવિરતિમાં પ્રવેશ થાય નહિ. જેમ સાધુએ ગૃહસ્થની વૈયાવચ્ચ કરવી જોઇએ નહિ એવો ઉત્સર્ગથી નિયમ છે, છતાં કોઇ ગૃહસ્થને મુશ્કેલીમાં જોઇને સહાય કરવાનો પરિણામ અનાભોગથી સાધુને થઇ જાય, તો તે અતિચારમાત્રરૂપ બને. તેથી શ્રાવકધર્મની તે પ્રવૃત્તિ હોવા છતાં સાધુને દેશવિરતિમાં પ્રવેશ થાય નહિ, પરંતુ સર્વવિરતિમાં તેને અતિચાર લાગે, અને કોઇ સાધુ જાણતો હોય કે મારા સાધ્વાચારની વિરુદ્ધ આ પ્રવૃત્તિ છે, તો પણ એ પ્રકારની પ્રવૃત્તિ કરવામાં જ પોતાની અતિશય મતિ હોવાને કારણે તે પ્રવૃત્તિ કરે, તો તે પ્રવૃત્તિ અભિનિવેશથી થયેલી કહેવાય; અને તે રીતે સાધુ શ્રાવકધર્મને ઉચિત કોઇ પણ પ્રવૃત્તિ કરે તો તે મિથ્યાર્દષ્ટિ જ છે.
આનાથી એ પ્રાપ્ત થયું કે, અપ્રમાદી સાધુ ઉત્સર્ગથી શ્રાવકધર્મને ઉચિત પ્રવૃત્તિ કરે નહિ, અને અનાભોગથી શ્રાવકધર્મને ઉચિત પ્રવૃત્તિ ક્વચિત્ થાય તો સાતિચાર સંયમ બને, પરંતુ દેશવિરતિ પ્રાપ્ત થાય નહિ. અને અભિનિવેશથી શ્રાવકધર્મને ઉચિત પ્રવૃત્તિ કરે તો મિથ્યાર્દષ્ટિ જ થાય. તેથી સાધુના વેષમાં રહીને શ્રાવકધર્મને ઉચિત પ્રવૃત્તિ કરનાર સંવિજ્ઞપાક્ષિક પણ હોઇ શકે નહિ; પરંતુ સર્વવિરતિને અનુરૂપ ક્રિયા કરવામાં અસમર્થ એવા ભગ્નચારિત્રવાળા હોવા છતાં, પશ્ચાત્તાપાદિને કારણે દેશવિરતિ અને સર્વવિરતિરહિત એવા સંવિજ્ઞપાક્ષિક હોઇ શકે.
ટીકાર્થ ઃ- ‘તેન’- આનાથી=પૂર્વમાં કહ્યું કે અપ્રમાદી સાધુ તેવી પ્રવૃત્તિ આભોગથી કરે નહિ, અને અનાભોગથી કરે તો અતિચારમાત્ર થાય પરંતુ સાધુધર્મનો નાશ થાય નહિ, પરંતુ અભિનિવેશથી કરે તો અવશ્ય મિથ્યાર્દષ્ટિપણું પ્રાપ્ત થાય; આનાથી શ્રાવકપદ અવિરતિસમ્યગ્દષ્ટિપર છે એ પણ પરાસ્ત જાણવું.
B-૨૪