________________
૪૨૩
જૈન દર્શનમાં સમ્યક્ત્વનું સ્વરૂપ
પરિશિષ્ટ-૮ સમકિતસાર રાસમાં આવતી કથાઓ
૧) પ્રભુ મહાવીર અને ચંડકૌશિક સર્પઃ (શ્રી કલ્પસૂત્ર. પૃ. ૧૭૫, ૧૭૬. સં. દેવેન્દ્ર શાસ્ત્રી.)
શ્રમણ પ્રભુ મહાવીર સર્વવિરતિ ધર્મ અંગીકાર કરી વિચરતા વિચરતા કનકપલ આશ્રમ તરફ ચાલ્યા. તે આશ્રમની નજીકમાં ચંડકૌશિક નામનો દષ્ટિવિષ સર્પ રહેતો હતો. તેની દષ્ટિ પડતાં પક્ષીઓના કલરવ અને ફળફૂલથી લચી પડતી વનરાજી બળીને ખાખ થઈ જતી હતી. જ્યાં જ્યાં તેની દષ્ટિ પડતી ત્યાં ત્યાં સર્વનાશ થતો. પ્રભુ મહાવીર લોકગણની પ્રાર્થનાની ઉપેક્ષા કરી કનકખલ આશ્રમ તરફ ચાલ્યા. પ્રભુ મહાવીર ત્યાં જઈ ધ્યાનમાં ઉભા રહ્યાં.
ધ્યાનમાં ઊભેલા પ્રભુ મહાવીરને જોઈ નાગરાજ ફંફાળા મારતો બહાર આવ્યો. તેણે ક્ષુબ્ધ બની અનેક ડંખ દીધા. પરંતુ પ્રભુ મહાવીરના હૃદયમાં પ્રેમનો મહાસાગર ઉછળી રહ્યો હતો. તેઓ શાંત-પ્રશાંત બની ઊભા રહયા. આશ્ચર્યમાં ગરકાવ બની વિષધર મહાવીર પ્રભુની મુખમુદ્રાને એકી નજરે નિહાળી રહયો. આખરે અમૃત પાસે વિષ હારી ગયું. પ્રભુ મહાવીરના મુખેથી શબ્દો સરી પડયાં, ચંડકૌશિકા! બોધ પામ! બુજઝ બુઝ ચંડકોસિયા'.
જિન વચનોથી નાગરાજને પૂર્વજન્મનું સ્મરણ થયું. પૂર્વે તે શ્રમણ હતો. અહંકારવશ શિષ્યને મારવા દોડયો. થાંભલા સાથે માથું અફળાયું, તેથી મૃત્યુ થયું. તે મરીને જ્યોતિષી દેવ બન્યો. ત્યાંથી ચવી આશ્રમમાં કૌશિક તાપસ બન્યો. શ્વેતાંબિકા નગરીના રાજકુમારોએ આશ્રમમાં ફળફુલ તોડયાં. તેમને તીણ કુહાડી લઈ મારવા દોડયો. પગ લપસી જતાં તે કુહાડીથી જાતે જ કપાઈ મૃત્યુ પામ્યો. પોતે કરેલી ભૂતકાળની ભૂલોનું સ્મરણ થતાં ચંડકૌશિકે પ્રતિજ્ઞા કરી કે, “આજથી હું કોઈને સતાવીશ નહીં'. ચંડકૌશિકે આજીવન સંથારો કર્યો. ચંડકૌશિકના અદ્ભુત પરિવર્તનને જોઈ લોકો તેની દૂધ અને કંકુ વડે પૂજા કરવા લાગ્યા. દૂધની સુંગધથી કીડીઓએ નાગરાજના શરીરને ચાળણી જેવું બનાવ્યું, પરંતુ સમતામૂર્તિ ચંડકૌશિકે બીલમાં પોતાનું મુખ રાખી, સંથારો કર્યો. તે સમભાવથી મૃત્યુ પામી આઠમા સહસ્ત્રાર દેવલોકમાં દેવપણે ઉત્પન થયો. તે એકાવતારી બચો. ૨) અર્જુનમાળીઃ (શ્રી અંતગડદશાંગસૂત્ર, વર્ગ-૮, અ.૩, પૃ. ૧૧૭-૧૩૫.પ્ર. શ્રીગુરુપ્રાણ ફાઉન્ડેશન.)
રાજગૃહી નગરીની બહાર સુંદર અને વિશાળ બગીચો હતો. અર્જુન માળી તેના માલિક હતો. તે બગીચામાં મોગરપાણી (જેના હાથમાં મુદ્રગર છે તે) યક્ષની પ્રતિમા હતી. અર્જુન માળી તથા તેમના પૂર્વજો વર્ષોથી નિત્ય આ યક્ષનું પૂજન કરતાં હતાં.
રાજગૃહી નગરીમાં લલિતા નામની ટોળીના છ મિત્રો જે સ્વછંદી અને રવેચ્છાચારી હતા. તેઓ રવછંદે ક્રીડા અને મોજ કરતા. એક દિવસ અર્જુન માળી તેની સ્ત્રી સાથે ઉદ્યાનમાં આવ્યો, ત્યારે લલિતાટોળીના આ છ મિત્રો પણ ઉદ્યાનમાં કીડા કરવા આવ્યા. તેમણે બંધુમતીને જોઈ. તેના રૂપમાં તેઓ આસક્ત થયા. અર્જુનમાળી જ્યારે યક્ષનું પૂજન કરતો હતો ત્યારે તેમણે અર્જુન માળીને થાંભલા સાથે બાંધ્યો અને બંધુમતી સાથે વ્યાભિચાર કર્યો. આ દશ્ય જોઈ અર્જુન માળીએ મનથી યક્ષને ઠપકો આપ્યો કે, જે યક્ષની હું બાલ્યાવસ્થાથી પૂજા કરું છું, તે જ યક્ષ સમક્ષ આવી સ્થિતિ ઉત્પન થઈ ?તેથી જરૂર અહીંયક્ષ નથી પણ લાકડાની મૂર્તિ છે. જો યક્ષ સાક્ષાત્ હશે તો જરૂર મને છોડાવશે.
યક્ષે અર્જુન માળીના મનોગત ભાવો જાણી તેના શરીરમાં પ્રવેશ કર્યો. અર્જુન માળીનાં બંધનો તૂટ્યાં. તેણે મુગર વડે છ મિત્રો અને બંધુમતીનો વધ કર્યો. હવે અર્જુન માળી નિત્ય છ પુરુષ અને એક સ્ત્રીની હત્યા કરવા લાગ્યો.