Book Title: Fari Kyare Malse Aa Jivan
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 23
________________ ૨૩ इर्यासमित्याद्याश्चारित्रात्मन: प्रसूति हेतुत्त्वेन हितकारित्वेन च मातर इव अवश्यंभावेन न मोक्तव्याः - ષોડશક - ૨ જન્મદાત્રી અને જીવનદાત્રી માતાને છોડી દેવાની કે એનાથી દૂર રહેવાની ભૂલ નાનકડો બાબો ક્યારેય કરે ખરો ? હરિંગજ નહીં. કારણ ? એના જીવનની સલામતીનું કેન્દ્ર એક માત્ર એની માતા જ હોય છે. મુનિ ! માત્ર શરીરને જન્મ આપતી માતા પ્રત્યે બાળકનો જો આ લગાવ હોય છે તો અમારે તને એટલું જ કહેવું છે કે તારા ચારિત્ર શરીરને જન્મ જેણે આપ્યો છે અને તારા આત્માને માટે જે એકાંતે હિતકારી છે એ ઇર્યાસમિતિ આદિ પાંચ સમિતિ અને મનોગુપ્તિ આદિ ત્રણ ગુપ્તિ, આ અષ્ટ પ્રવચન માતા પ્રત્યે તારો લગાવ તો કેઈ ગણો વધુ હોવો જ જોઈએ એ વાત તારા મગજમાં બરાબર ગોઠવાઈ ગઈ છે ખરી ? યાદ રાખજે, બાળકના જીવનમાં આકર્ષક પણ રમકડાં નંબર બે પર જ હોય છે. સ્વાદિષ્ટ ચૉકલેટ અને મનપસંદ પણ બિસ્કિટ નંબર બે પર જ હોય છે. આકર્ષક અને સુંવાળા પણ કપડાં નંબર બે પર જ હોય છે. નંબર એક પર એક માત્ર મમ્મી જ હોય છે. બસ, એ જ ન્યાયે તારા જીવનમાં સ્વાધ્યાય નંબર બે પર જ ૪૫ હોય એનો કોઈ વાંધો નથી. તપશ્ચર્યાના ક્ષેત્રે તું શ્રીમંત ન બની શકે તો ય એમાં કોઈ તકલીફ નથી. પ્રવચનની કળા કે લેખનની કળા એ બંને ક્ષેત્રે તું કાચો પડતો હોય તો એ ય તારા જીવનની કોઈ કરુણતા નથી. કલાકોનો જાપ તું ન કરી શકતો હોય કે લોહી-પાણી એક કરી નાખતો વૈયાવચ્ચનો યોગ તારા જીવનમાં પ્રતિષ્ઠિત ન થયો હોય તો એ ય તારા માટે કોઈ કરુણ વાસ્તવિકતા નથી પરંતુ બાળકના જીવનમાં જેમ મમ્મી નંબર એક પર જ હોય છે તેમ તારા જીવનમાં અષ્ટ પ્રવચનમાતા નંબર એક પર જ હોવી જોઈએ. ખેદ છે અમને એ વાતનો કે આ હકીકતને તું ગંભીરતાથી સમજી શક્યો નથી. નીચે જોયા વિના જ ચાલવાનું, મુહપત્તિના ઉપયોગ વિના જ બોલવાનું, ગોચરીના દોષોની ઉપેક્ષા જ કરતા રહેવાનું, પૂંજવા-પ્રમાર્જવાના ક્ષેત્રે આંખમીંચામણાં જ કરતા રહેવાનું, મનમાં ચાલતા વિચારો પર કોઈ નિયંત્રણ જ નહીં, શબ્દપ્રયોગમાં વિવેકને હાજર રાખવાની કોઈ તકેદારી જ નહીં, કાયાના સ્તરે અયતનાથી બચવાની કોઈ ચોક્કસ જાગૃતિ જ નહીં, આ જ જો બની ગઈ હોય તારી જીવન જીવવાની પદ્ધતિ તો અમે તને એટલું જ કહીએ છીએ કે તું કૃતઘ્ની છે. તારા ચારિત્ર શરીરને જન્મ આપી ચૂકેલી અષ્ટ પ્રવચન માતાનો તું વિશ્વાસઘાતી પુત્ર છે. યાદ રાખજે, મમ્મીના મરણ પછી ય ચામડાના શરીરને ધારણ કરી રહેલ બાબો જીવી જાય છે પરંતુ અષ્ટ પ્રવચન માતાના મરણ પછી ય તારું ચારિત્ર શરીર જીવી જાય એવી તો કોઈ જ સંભાવના નથી. સાવધાન ! *

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51