Book Title: Fari Kyare Malse Aa Jivan
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 38
________________ ૩. एकमेव हि यतनां संसेव्य विलीनकर्ममलपटला: प्रापुरनन्ताः सत्त्वाः शिवमक्षयमव्याबाधम् स्थानम् । - સંબોધિસત્તરી સમસ્ત ઓરડામાં વરસોથી વ્યાપ્ત અંધકારને ચીરી નાખવાનું કામ પ્રકાશનું એક કિરણ પણ કરી શકે છે. વરસોથી દરિદ્રતાજન્ય અગવડોને વેઠવાના ચાલી રહેલા દુર્ભાગ્ય પર કાયમ માટે પૂર્ણવિરામ મૂકી દેવાનો ચમત્કાર એક જ રૂપિયાની લૉટરીની એક ટિકિટ પણ કરી શકે છે. સંબંધોમાં પેદા થઈ ગયેલ વરસોની કડવાશની સ્મશાનયાત્રા કાઢી નાખવાનું કામ એક જ વખતનો મધુરો શબ્દપ્રયોગ કરી શકે છે. મુનિ! અનંત અનંત પુદ્ગલ પરાવર્ત તો તે અનાદિ નિગોદમાં વીતાવ્યા. ભવિતવ્યતાના યોગે એમાંથી તું બહાર નીકળ્યો એ પછી ય અસંખ્ય અસંખ્ય વરસો તેં બાદર એકેન્દ્રિયમાં વીતાવ્યા. સંખ્યાતકાળ વિકલેન્દ્રિયમાં પસાર કર્યો. નરકાદિ ચારેય ગતિઓમાં તે જે કાળ વીતાવ્યો એ તો વધારામાં. આ કાળ દરમ્યાન તે બે જ કામો કર્યા છે. આત્માને કુસંસ્કારોથી ભારે કર્યો છે અને કર્મોના બંધથી વ્યાપ્ત કર્યો છે. આ બંનેને નામશેષ કરીને મુક્તિગતિમાં પહોંચી જવું આજે તો તારા માટે અશક્ય જેવું તને લાગતું હોય તો એમાં કોઈ નવાઈ નથી. કારણ ? પરમાત્મા મહાવીરદેવે કરેલ તપશ્ચર્યાઓનો પ સ્કોર તારી આંખ સામે છે. સાડા બાર વરસના સાધનાકાળમાં એ તારકે સાડા અગિયાર વરસથી અધિક દિવસો તો અન્ન-જળ વિનાના પસાર કર્યા છે. લાગટ બે દિવસ એ તારકે ક્યારેય વાપર્યું નથી તો એક દિવસમાં બે વાર પણ એ તારકે ક્યારેય વાપર્યું નથી. આ તો થયો એમનો તપશ્ચર્યાનો સ્કોર પણ આ સિવાય એમણે વેઠેલ પરિસહ-ઉપસર્ગોની તો કોઈ વાત થાય એમ નથી. એમણે ટકાવી રાખેલ અપ્રમત્તતાનું અને એમણે જાળવી રાખેલ ઉપશમભાવનું તો કોઈ વર્ણન થાય તેમ નથી. ‘જો તદ્ભવ મુક્તિગામી એ તારકને પણ ઘાતીકર્મોથી છુટકારો મેળવવા આટઆટલી જંગી સાધનાઓ કરવી પડી હોય તો સત્ત્વક્ષેત્રે લગભગ દેવાળું ફૂંકી ચૂકેલા અને જાગૃતિક્ષેત્રે કંગાલિયત ભોગવી રહેલા મારા જેવા માટે તો એ સમ્યક્ પરિણામ અનુભવવું સર્વથા અશક્ય જ છે’ એવું તને જો લાગતું હોય અને એના કારણે તું હતાશાનો શિકાર બની ગયો હોય તો અમે તને કહીએ છીએ કે એ ગલત માન્યતામાંથી અને હતાશામાંથી તું આજે ને આજે જ બહાર આવી જા. કારણ કે, એક માત્ર ‘યતના’ નો યોગ પણ જો તારી પાસે છે તો તું અધ્યાત્મજગતનો રાજા છે. અનંતા આત્માઓ આજસુધીમાં એક માત્ર યતનાના સહારે પોતાના આત્માને કર્મમુક્ત બનાવવામાં સફળતાને વરીને મુક્તિપદને પામી ચૂક્યા છે. આ વાસ્તવિકતા તું સતત આંખ સામે રાખજે. તપશ્ચર્યાદિ અન્ય યોગોના ક્ષેત્રની દરિદ્રતા છતાં તારી મુક્તિ સંભવિત છે જ જો યતના યોગની શ્રીમંતાઈનો તું માલિક છે તો ! દશવૈકાલિક સૂત્રની આ પંક્તિ...ન થશે...ને અમલી બનાવતો જા. તારો બેડો પાર થઈ જશે. ૭

Loading...

Page Navigation
1 ... 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51