________________
** પ્રસ્તાવના **
સંસ્કૃત ભાષાને દેવભાષા કહેવાય છે. જગતની પ્રાચીન ભાષાઓ પૈકીની આ એક વિશિષ્ટભાષા છે. અન્ય ભાષાઓની અપેક્ષાએ આજ એક ભાષા નિયમબદ્ધ છે. એવું આજના ભાષાવિદોએ પણ સ્વીકાર્યુ છે.
કોમ્પ્યુટરના આધુનિક કાળમાં અનેક ભાષાઓ મૌજુદ હોવા છતાં તજ્ઞોએ (ભાષાવિદોએ) દરેક ભાષાઓનો અભ્યાસ કરતાં સંસ્કૃતભાષાના વ્યાકરણને જ નિયમબદ્ધ માન્યું છે.
પૂર્વે મોટી સંખ્યામાં લોકો સહજતાથી આ ભાષાને બોલી શકતાં હતાં, પણ અંગ્રેજો વિગેરેના શાસનકાળમાં સંસ્કૃત -પ્રાકૃત વિગેરે ભાષાઓ લુપ્ત પ્રાય: બની.
અગિયારમી સદીના મહાન જયોતિર્ધર કલિકાલ સર્વજ્ઞ આચાર્ય શ્રી હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજે રાજા સિદ્ધરાજની વિનંતિથી પોતાની મૌલિક શૈલીથી ‘“સિદ્ધહેમ’’નામના વ્યાકરણની રચના કરી. બહુ આયામી આ વ્યાકરણને વધુને વધુ ઊંડાણ પૂર્વક સમજાવવા, રહસ્યનું ઉદ્ઘાટન કરવા આચાર્યશ્રીએ હજારો શ્લોક પ્રમાણ ટીકાઓ રચી છે.
આજે પણ સંસ્કૃતભાષામાં અનેક ગ્રન્થો ઉપલબ્ધ છે. ટીકાઓ-જ્યોતિષશિલ્પ -સંગીત -વૈદક આદિ અનેક ગ્રન્થોની મૂળ સંસ્કૃત ભાષા જ છે. સંસ્કૃતભાષાના જ્ઞાન વિના તે તે વિષયોનું જ્ઞાન યથાર્થ રીતે પ્રાપ્ત થઈ શકતું નથી.
આ ‘“સિદ્ધહેમ શબ્દાનુ શાસન”નું જ્ઞાન વિદ્યાર્થીઓને સારી રીતે બોધ થાય તે માટે પ. પૂ. આ. નીતિસૂરીશ્વરજી મહારાજ સાહેબના સમુદાયના પ.પૂ. આચાર્યદેવશ્રી અરિહંતસિદ્ધસૂરીશ્ર્વરજી મહારાજ સાહેબના આજ્ઞાવર્તિની પ. પૂ. વિદૂષી સાધ્વી શ્રી લાવણ્યશ્રીજી મહારાજના શિષ્યાઓ વયોવૃદ્ધ, પંડિતવર્ય છબીલભાઈ પાસે સિદ્ધહેમલવૃત્તિનો ખૂબજ ખંતપૂર્વક અભ્યાસ કરી તેનો ગ્રન્થ પ્રકાશન રૂપે ઉપયોગ કરી રહ્યા છે તે અત્યંત પ્રશંસનીય છે આ વિવરણ તથા તેમાં વિસ્તૃત સ્વર સન્ધિ અને વ્યંજન સન્ધિ કરેલ હોવાથી અભ્યાસંકોને સારી રીતે બોધ થવામાં અનુકૂળતા રહેશે. એમ મારૂં ચોકકસ માનવું છે. અને હજુ પણ આગળના અધ્યાયો ઉપર અભ્યાસીઓને ઉપયોગી થાય એવું વિશેષ વિવરણ કરે એવી હું પૂજયો પાસે અપેક્ષા રાખું છું.