________________
‘હાર્મની’ વગર હૃદય સુધી પહોંચી શકાતું નથી. સંવાદ જો નથી સધાતો તો પછી સંવેદના પણ બધિરબુટ્ટી અને જુઠ્ઠી બની જાય છે !
સહુથી પહેલા સંવાદ જાત સાથે થાય...
સંવાદ ભીતર સાથે સર્જાય... ભીતરમાં સંવાદ હોય તો જ બહારમાં સંવાદ સધાય... ભીતરમાં વિષાદ અને વિવાદ વલૂરાતો હોય તો બહાર પણ વિખવાદના વિષ ઉગી નીકળે છે.
ખરેખર તો પ્રસ્તુત પુસ્તકની વાતો સંવાદ જ છે.
પૂજ્ય આચાર્યદેવશ્રી વિજય ભદ્રગુપ્તસૂરીશ્વરજી મહારાજ સાહેબ સંવાદ સર્જવામાં બહુ જ કુશળ છે. આ બધી વાતોનો સંવાદ એમણે પહેલા શ્રોતાઓ સાથે સર્જ્યો છે... ત્યારબાદ એ સંવાદ શબ્દસ્થ બન્યો છે.
છેલ્લાં ઘણા વરસોથી એમનું તબીયતનું તારામૈત્રક તૂટ્યું છે. એમાંયે છેલ્લા ૩ વરસથી તો સ્વાસ્થ્ય વારેવારે ખોરવાયું છે. છતાંયે એમનો પોતાના ભીતર સાથેનો સંવાદ... પોતાના માંહ્યલા સાથેનો ‘ડાયલોગ' બરાબર જળવાઈ રહ્યો છે... માટે સમસ્યાઓના ખારા સમુદ્ર વચ્ચે પણ એઓએ સંવાદ-સંતુલન અને સંવેદનાનો એકલદ્વીપ - ‘આઇલેન્ડ’ સાચવી રાખ્યો છે.
જ્યારે એઓ પૂર્ણરૂપેણ સ્વસ્થ હતા ત્યારે પણ મેં એમને જોયા છે... જાણ્યા છે... માણ્યા છે... અને અસ્વસ્થતાના આગોશમાં સંતુલન માટે ઝઝૂમતા પણ જોયા છે. એમની પાર વગરની અસ્વસ્થ પળોનો હું સાક્ષી પણ છું... મેં એમને સ્વના ‘સમ’ને યથાવત્ જાળવવા મથામણ કરતા પણ અનુભવ્યા છે.
એમની સારવાર કરનારા ડૉક્ટરો અક્સર એમ કહેતા હોય છે કે ‘સાહેબ... તમારું આત્મબળ જબરદસ્ત છે, માટે જ તમે ઝઝૂમો છો... જીવો છો !'
દિવસોના દિવસો... રાતની રાતો... વેદનાથી વલવલતા દિવસો અને ઉજાગરાથી રાતી રાતી રાતો એમણે જે ગુજારી છે... હજી પણ ગુજારે છે એનો હું ક્યારેક બોલકો તો ક્યારેક મૂંગો સાક્ષી રહ્યો છું. આ બધાની વચ્ચે પણ એમણે એમના ‘સમ’ ને ‘વિષમ’ નથી થવા દીધો. માટે જ સ્વ સાથે સંવાદ એઓ સહજતાથી સાધી શક્યા છે.
અસ્વસ્થતાના અફાટ રણ વચ્ચે પણ એઓ અંદરથી સ્વસ્થ રહીને સર્જનયાત્રામાં સતત ગતિશીલ રહ્યા છે...
એઓ જેટલું સરળ... સરસ લખે છે... એટલું જ તરલ... હૃદયંગમ અને મૃદુમંજુલ બોલે પણ છે અને આ વાતની જાણ ઘણા બધાને છે.
એમની સારવારમાં સતત ઉપસ્થિત રહેનારા ડૉ. લલિતભાઈ ચોકસીનો વારંવારનો આગ્રહ હતો... ‘સાહેબ, આપ પ્રવચન આપો... વ્યાખ્યાન આપો... અમને આપની વાણીનો લાભ મળશે... આપને પણ સારું લાગશે... ગમશે !'
૫