________________
૧૧
પ્રેમ
પ્રશ્નકર્તા : સાચો પ્રેમ હોય ત્યાં કેવું હોય, ખખડાવે તોય ?
દાદાશ્રી : એ ખખડાવે તો ય શાંત રહીને પોતે એને નુકસાન ન થાય એવું કરે. સાચો પ્રેમ હોય ત્યાં ગળી જાય. હવે, સાવ બદમાશ હોય ને તો એય ત્યાં ગળી જાય.
એ પ્રેમી કે લફરું? પ્રશ્નકર્તા : બે જણા પ્રેમી હોય અને કંઈ ઘરનો સાથ ના મળે અને આપઘાત કરે. આવું ઘણી વખત બને છે તો એ જે પ્રેમ છે, એને કયો પ્રેમ ગણાય ?
દાદાશ્રી : રખડેલ પ્રેમ ! એને પ્રેમ જ કેમ કહેવાય ? ઈમોશનલ થાય અને પાટા આગળ સૂઈ જાય ! અને કહેશે, ‘આવતા ભવમાં એકલા જ જોડે હોઈશું.’ તો તે એવી આશા કોઈએ કરવી નહીં. એ એના કર્મના હિસાબે ફરે. એ ફરી ભેગા જ ના થાય !!
પ્રશ્નકર્તા : ભેગા થવાની ઈચ્છા હોય તો પણ ભેગા થાય જ નહીં ?
દાદાશ્રી : ઈચ્છા રાખે કંઈ દહાડો વળે ? આવતો ભવ તો કર્મોનું ફળ છે ને ! આ તો ઈમોશનલપણું છે.
તમે નાના હતા ત્યારે આવું લફરું વળગેલું કોઈ જાતનું ? તે પુરાવા ભેગા થાય, બધા ‘એવિડન્સ ભેગા થાય એટલે લફરું વળગી જાય.
પ્રશ્નકર્તા : લફરું એ શું છે ?
દાદાશ્રી : હા, તે હું કહું. એક નાગર બ્રાહ્મણ હતો, તે ઓફિસર હતો. તે એના છોકરાને કહે છે, “આ તું ફરતો હતો, તે મેં તને દીઠો, તે જોડે લફરાં શું કરવા ફેરવે છે ?” છોકરો કોલેજમાં ભણતો હતો, કોઈ ગર્લફ્રેન્ડ જોડે એના બાપે દીઠો હશે. એને લફરું આ લોકો નથી કહેતા, પણ આ જૂના જમાનાનાં માણસો એને લફરું કહે છે. કારણ કે ફાધરને મનમાં એમ થયું કે “આ મૂરખ માણસ સમજતો નથી પ્રેમ શું છે એ. પ્રેમને સમજતો નથી ને માર ખાઈ જશે. આ લફરું વળગ્યું છે તે માર
ખાઈ ખાઈને મરી જશે.” પ્રેમને નીવેડવો એ સહેલો નથી. પ્રેમ કરતાં બધાને આવડે છે પણ એને નીવેડવો સહેલો નથી. તેથી એના ફાધરે કહ્યું કે, ‘આ લફરાં શું કામ કરવા માંડ્યો ?”
તે પેલો છોકરો કહે છે, “બાપુજી, શું કહો છો આ તમે ? એ તો મારી ગર્લફ્રેન્ડ છે. તમે આને લફરું બોલો છો આમ ? મારી નાકકટ્ટી થાય એવું બોલો છો ? એવું ના બોલાય.” ત્યારે બાપ કહે છે, “નહીં બોલું હવે.” એ ગર્લફ્રેન્ડ જોડે બે વર્ષ દોસ્તી ચાલી. પછી એ બીજા કોઈ જોડે સિનેમા જોવા આવી હતી ને તે આણે જોઈ. એટલે એનાં મનમાં એમ લાગ્યું કે આ તો પપ્પાજી કહેતા હતા કે “આ લફરું વળગાડ્યું છે', તે એવું આ લફરું જ છે.
એટલે પુરાવા ભેગા થાય તો લફરાં વળગી જાય, પછી છૂટે નહીં અને બીજાને લઈને ફરે એટલે રાતદહાડો પેલાને ઊંઘ ના આવે. બને કે ના બને એવું ? પેલા છોકરાએ જ્યારે જાણ્યું કે “આ તો લફરું જ છે. મારા બાપ કહેતા હતા એ ખરી વાત છે.' ત્યારથી એ લફરું છુટવા માંડ્યું. એટલે જ્યાં સુધી ‘ગર્લફ્રેન્ડ' કહે અને એને લફરું જાણે નહીં ત્યાં સુધી શી રીતે છૂટે ?
પ્રશ્નકર્તા : તો પછી આ મોહ અને પ્રેમ, એની તારવણી કરવી હોય તો કઈ રીતે કરી શકાય ?
દાદાશ્રી : પ્રેમ છે જ નહીં, તો પછી પ્રેમની વાત શું કરવા કરો છો ? પ્રેમ છે જ નહીં. બધો મોહ જ છે આ તો. મોહ ! મૂછિત થઈ જાય. બેભાનપણે, બિલકુલ ભાન જ નથી.
- સિન્સિયારિટી ત્યાં સાચો પ્રેમ ! સામાથી કલમો ગમે એટલી ભાંગે, બધા સામસામી જે આપેલા વચન-પ્રોમિસ ગમે એટલાં તોડે પણ છતાંય સિન્સિયારિટી જાય નહીં. સિન્સિયારિટી એકલી વર્તનમાં જ નહીં પણ આંખમાંથી પણ ના જવી જોઈએ. ત્યારે જાણવું કે અહીં પ્રેમ છે. માટે એવો પ્રેમ ખોળજો. આ પ્રેમ માનશો નહીં. આ બહાર જે ચાલુ છે, એ બજારું પ્રેમ - આસક્તિ છે.