________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કનકકામિનીજનિત કલ્પિત સુખો કેવળ ઉપહાસપાત્ર અને ઘોર દુઃખમય ભાસે છે. ખરેખર મૂર્તિમંત મુનિપરિણતિ સમી આ ટીકા મોક્ષમાર્ગ વિહરતા મુનિવરોની સહજાનંદમય પરિણતિનો તાદેશ ચિતાર આપે છે. આ કાળે આવી યથાર્થ આનંદનિર્ભર મોક્ષમાર્ગની પ્રકાશક ટીકા મુમુક્ષુઓને સમર્પિત કરીને ટીકાકાર મુનિવરે મહા ઉપકાર કર્યો છે.
શ્રી નિયમસારમાં ભગવાન કુંદકુંદાચાર્યદવે ૧૮૭ ગાથાઓ પ્રાકૃતમાં રચી છે. તેના પર શ્રી પદ્મપ્રભમલધારિદેવે તાત્પર્યવૃત્તિ નામની સંસ્કૃત ટીકા લખી છે. બ્રહ્મચારી શ્રી શીતલપ્રસાદજીએ મૂળ ગાથાઓનો તથા ટીકાનો હિંદી અનુવાદ કર્યો છે. વિ. સં. ૧૯૭રમાં શ્રી જૈનગ્રંથરત્નાકર કાર્યાલય તરફથી પ્રકાશિત હિંદી નિયમસારમાં મૂળ ગાથાઓ, સંસ્કૃત ટીકા અને બ્ર શીતલપ્રસાદજીકૃત હિંદી અનુવાદ પ્રગટ થયાં છે. હવે પ્રકાશન પામતા આ ગુજરાતી નિયમસારમાં મૂળ ગાથાઓ, તેનો ગુજરાતી પદ્યાનુવાદ, સંસ્કૃત ટીકા અને તે ગાથા–ટીકાનો અક્ષરશઃ ગુજરાતી અનુવાદ પ્રગટ કરવામાં આવેલ છે. જ્યાં વિશેષ સ્પષ્ટતા કરવાની જરૂર જણાઈ ત્યાં કૌંસમાં અથવા ફૂટનોટમાં સ્પષ્ટતા કરી છે. શ્રી જૈનગ્રંથરત્નાકર કાર્યાલય દ્વારા પ્રકાશિત નિયમસારમાં છપાયેલી સંસ્કૃત ટીકામાં જે અશુદ્ધિઓ હતી તેમાંથી ઘણી અશુદ્ધિઓ હસ્તલિખિત પ્રતોના આધારે આમાં સુધારી લેવામાં આવી છે. હજુ પણ આમાં કોઈ કોઈ સ્થળોએ અશુદ્ધ પાઠ હોય એમ લાગે છે પરંતુ અમને મળેલી ત્રણ હસ્તલિખિત પ્રતોમાંથી શુદ્ધ પાઠ નહિ મળવાને લીધે તે અશુદ્ધિઓ સુધારી શકાઈ નથી. અશુદ્ધ પાઠોનો અનુવાદ કરવામાં ખાસ કાળજી રાખવામાં આવી છે અને પૂર્વાપર કથન તેમ જ ન્યાય સાથે વધારેમાં વધારે બંધબેસતો લાગે એવો તે પાઠોનો અનુવાદ કર્યો છે.
આ અનુવાદ કરવાનું મહાભાગ્ય મને પ્રાપ્ત થયું તે મને અતિ હર્ષનું કારણ છે. પરમ પૂજ્ય સદ્દગુરુદેવના આશ્રય તળે આ ગહન શાસ્ત્રનો અનુવાદ થયો છે. પરમોપકારી સદગુરુદેવના પવિત્ર જીવનના પ્રત્યક્ષ પરિચય વિના અને તેમના આધ્યાત્મિક ઉપદેશ વિના આ પામરને જિનવાણી પ્રત્યે લેશ પણ ભક્તિ કે શ્રદ્ધા કયાંથી પ્રગટત, ભગવાન કુંદકુંદાચાર્યદવ અને તેમનાં શાસ્ત્રોનો લેશ પણ મહિમા કયાંથી આવતી અને તે શાસ્ત્રોના અર્થ-ઉકેલની લેશ પણ શક્તિ કયાંથી હોત? આ રીતે અનુવાદની સમસ્ત શક્તિનું મૂળ શ્રી સદ્દગુરુદેવ જ હોવાથી ખરેખર તો સદ્દગુરુદેવની અમૃતવાણીનો ધોધ જ–તેમના દ્વારા મળેલો અણમૂલ ઉપદેશ જયથાકાળે આ અનુવાદરૂપે પરિણમ્યો છે. જેમણે સિંચેલી શક્તિથી અને જેમની હૂંફથી આ ગહન શાસ્ત્રનો અનુવાદ કરવાનું મેં સાહસ ખેડયું હતું અને જેમની કૃપાથી તે નિર્વિઘ્ન પાર પડયો છે. તે પરમ પૂજ્ય પરમોપકારી સદગુરુદેવ (શ્રી કાનજીસ્વામી)નાં ચરણારવિંદમાં અતિ ભક્તિભાવે વંદન કરું છું.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com