Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 01
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
-
“લક્ષ્મી અને લજ્જાનો નાશ વગેરે આ લોક સંબંધી પ્રગટ દોષ મદ્યપાનમાં છે તેમ જ સંધાનજીવોથી મિશ્ર હોવાથી પરલોકસંબંધી પણ મોટો દોષ છે.” – આ પ્રમાણે સત્ત૨મા શ્લોકનો અર્થ છે. એનો આશય સ્પષ્ટ છે કે મદિરાપાનમાં પ્રકટ દોષ છે. કારણ કે તેથી લક્ષ્મી, લજ્જા અને વિવેક વગેરેનો નાશ થાય છે. લક્ષ્મી વગેરેનો નાશ, આ લોકમાં વિપાક બતાવે છે તેથી તે ઐહિક (આ લોક સંબંધી) દોષ છે. તેમ જ મદ્યપાનમાં; પરલોકમાં વિપાકને બતાવનાર આમુષ્મિકપારલૌકિક પણ દોષ છે. કારણ કે જલમિશ્રિત ઘણાં પુષ્પાદિ દ્રવ્યના સંસ્થાપન સ્વરૂપ સંધાનના કારણે તે જીવયુક્ત છે. એ જીવોની વિરાધના મદ્યપાનથી થાય છે. તેથી પરલોકસંબંધી દોષ પણ છે. ‘સંધાનયુક્ત આરનાલ(ખાટી છાશ વગેરે) વગેરેની જેમ મદિરાપાનમાં દોષ નથી’ - આ પ્રમાણે નહીં કહેવું જોઇએ. કારણ કે શાસ્ત્રમાં ‘તે દુષ્ટ છે' – એમ જણાવ્યું છે. શ્રી અષ્ટકપ્રકરણમાં એ મુજબ જણાવ્યું છે કે મઘ પાંચ પ્રકારના પ્રમાદનું એક અંગ છે. સચ્ચિત્તનો એ નાશ કરનારું છે અને સંધાનના જીવોથી એ યુક્ત છે. તેથી ‘તેમાં દોષ નથી’ - એ પ્રમાણે કહેવું એ સાહસ (અવિચારી કૃત્ય) છે. મદ્યપાનથી વિરૂપતા, વ્યાધિઓ, સ્વજનોથી પરાભવ, કાર્ય કરવાના અવસરનો નાશ, દ્વેષ, જ્ઞાનનો નાશ, સ્મૃતિ અને મતિનો નાશ, સજ્જનોની સાથે વિયોગ અને ધર્મ અર્થ તથા કામની હાનિ વગેરે પ્રત્યક્ષસિદ્ધદોષો પ્રાપ્ત થતા હોય છે. છતાં મદ્યપાનમાં કોઇ દોષ નથી - એ કથન એટલે એક જાતની ધૃષ્ટતા છે.
મદ્યપાનની દુષ્ટતાને જણાવતાં પુરાણકથામાં જણાવ્યું છે કે– કોઇ એક ઋષિએ તપ તપ્યું. તેથી તે તપના પ્રભાવે તે ઇન્દ્ર થઇ જાય તો પોતાનું આસન નહીં રહે - એ ભયથી તે ઋષિને ક્ષોભ પમાડવા માટે ઇન્દ્રે દેવાંગનાઓને મોકલી. તે દેવીઓએ તે ઋષિની પાસે આવીને તેની વિનયપૂર્વક આરાધના કરી. વરદાનને આપવા માટે તત્પર થયેલા તે ઋષિને તે દેવીઓએ કહ્યું કે તમે મદ્યપાન કરો, હિંસાને કરો અથવા મૈથુનને સેવો ! તમારી ઇચ્છા પ્રમાણે ત્રણમાંથી કોઇ પણ એક કરો ! તે દેવીઓથી આ પ્રમાણે જણાવેલા તે ઋષિએ હિંસા અને મૈથુનને નરકના કારણ જાણીને તેમ જ મદિરા શુદ્ધ કારણોથી બનેલી છે ઃ એમ સમજીને મદિરાને પીવાનું સ્વીકાર્યું અને તેથી તેને પીવાથી જેની ધર્મમર્યાદાનો નાશ થયો છે એવા તે ઋષિએ મદથી મદ્યપાનના વિદંશ માટે બોકડાને મારીને બધું જ કર્યું અર્થાત્ મૈથુન પણ સેવ્યું, જેથી દેવીઓના કહ્યા મુજબ બધું ક૨વાથી સામર્થ્ય(તપના સામર્થ્ય)થી ભ્રષ્ટ થયેલો એવો તે ઋષિ મરીને દુર્ગતિમાં ગયો. આથી ધર્મને આચરનારાઓએ આ મઘને દોષની ખાણ તરીકે જાણવું. આથી સમજી શકાશે કે મદ્યપાન કેટલું દુષ્ટ છે. મદ્ય, વિષય (શબ્દાદિ), કષાય (ક્રોધાદિ), વિકથા અને નિદ્રા - આ પાંચ પ્રમાદ છે. પ્રમાદના અંગભૂત મંદિરા ઉભય રીતે દુષ્ટ છે. આ લોકના પ્રકટ દોષો અને પરલોકના અપ્રગટ દોષોનો વિચાર કરી મદિરાપાનથી દૂર રહેવું જોઇએ. II૭-૧૭
ધર્મવ્યવસ્થા બત્રીશી
૨૬૨