Book Title: Dhyan Ek Parishilan
Author(s): Sunandaben Vohra
Publisher: Deepakbhai & Dharmiben Shah USA

View full book text
Previous | Next

Page 217
________________ (ક) અસ્તેય : દેહ, મન તથા વાણી વડે અન્યનાં દ્રવ્યમાં અસ્પૃહ થઈને રહેવું તે જ તત્ત્વદર્શી ઋષિઓએ અસ્તેય ગણ્યું છે. અસ્તેયની પ્રતિષ્ઠા થવાથી સર્વ દિશામાં રહેલાં રત્નાદિ દ્રવ્યો યોગીની સત્તા નીચે આવે છે, પ્રાપ્ત થાય છે. (ડ) બ્રહ્મચર્ય : શાસ્ત્રમાં કહેલા આઠ અંગવાળા મૈથુનના ત્યાગરૂપ ઉપસ્થંદ્રિયનો સંયમ. સ્ત્રીવિષયનું અથવા તત્સંબંધી વાતોનું સ્મરણ, કથન, રહસ્યભાવો, રાગપૂર્વક અવલોકન, રહસ્યભાષણ, સંકલ્પ, અધ્યવસાય અને સંભોગની નિષ્પતિ એ આઠ અંગોવાળું મૈથુન છે. તેનાથી રહિત થવું તે બ્રહ્મચર્ય છે. (દક્ષસંહિતા) બ્રહ્મચર્યથી યોગીપુરુષના વીર્યની રક્ષા થાય છે. તે યોગીએ યોગયુક્તિપૂર્વક બ્રહ્મચર્યને સિદ્ધ કર્યું હોય છે, તેથી વૃદ્ધિ પામતું વીર્ય વિકારી થતું નથી. બ્રહ્મચારીનું મન અધિક બળયુક્ત હોય છે. જ્ઞાનશક્તિ અને ક્રિયાશક્તિરૂપ બળ અતિશયપણે વધે છે. (ઈ) અપરિગ્રહ : વિષયોના અર્જન, રક્ષણ, ક્ષયાદિ થતાં દોષોના વિચારથી થતો, દેહયાત્રાના નિર્વાહથી અતિરિક્ત ભોગસાધનોનો શાસ્ત્રવિધિ પ્રમાણે અસ્વીકાર કરવો તે અપરિગ્રહ છે. ભોગસાધનમાત્રનો મમત્વબુદ્ધિથી સ્વીકાર ન કરવો તે અપરિગ્રહ છે. અપરિગ્રહસ્થિતિવાળાને જન્મના પ્રકારનો સાક્ષાત્કાર થાય છે. ‘‘હું હતો’’ એવી જિજ્ઞાસાથી પૂર્વજન્મનો હસ્તકમલવત્ બોધ યોગીને થાય છે. હવે “હું કોણ થવાનો છું'' વગેરે જિજ્ઞાસાથી વર્તમાન અને ભવિષ્યના જન્મનો સાક્ષાત્કાર થાય છે. (ર) નિયમ : શૌચ, સંતોષ, તપ, સ્વાધ્યાય અને ઈશ્વરપ્રણિધાન એમ પાંચ નિયમ છે. તે, જન્મના હેતુભૂત કામ્યકર્મથી નિવૃત્તિ પમાડી મોક્ષના હેતુરૂપ નિષ્કામકર્મ વિષે પ્રેરે છે. (અ) શૌચ : શૌચ એટલે શુદ્ધિ. આ શુદ્ધિમાં સ્થૂળ શરીરની શુદ્ધિ અને મનઃશુદ્ધિ એમ બંને પ્રકારની શુદ્ધિનો સમાવેશ થાય છે. શરીરશુદ્ધિ સ્નાન અને સાત્ત્વિક આહારથી કરવી. મનઃશુદ્ધિ કરવા માટે મદ, માન, અસૂયા, રાગ, દ્વેષ વગેરેને દૂર કરવાં. મૈત્રી અને કરૂણા જેવાં અનુષ્ઠાન કરવાં. શરીરના બાહ્ય શૌચથી પોતાના શરીરમાં અશુચિપણાનો દોષ ૧૯૮

Loading...

Page Navigation
1 ... 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236