Book Title: Khatrani Ghantadi Author(s): Ratnasundarsuri Publisher: Ratnasundarsuriji View full book textPage 2
________________ જય, તારો પત્ર વાંચ્યો. તું જે સમસ્યા લઈને મારી સમક્ષ ઉપસ્થિત થયો છે એ સમસ્યાનું સમાધાન પ્રભુવચનોના સહારે હું તને આપવા પ્રયત્નો તો કરીશ પણ એક વાત તને કરી દઉં કે અનંતોપકારી ભવોદધિતારક પૂજ્યપાદ ગુરુદેવશ્રીની કૃપાથી ૧૯ વરસની વયે દેવોને ય દુર્લભ નિષ્પાપ એવું સંયમજીવન મારા હાથમાં આવી ગયું છે. સંસારી અવસ્થામાં નથી તો મેં અર્થલાલસાની ખતરનાકતા અનુભવી કે નથી તો વિષયવાસનાની ભયંકરતા અનુભવી. ટૂંકમાં કહું તો એક સંયમીને મળતું ‘કંચન-કામિનીના ત્યાગી'નું વિશેષણ મને જરૂર મળ્યું છે પરંતુ એ બંનેમાંથી એકના પણ અનુભવમાંથી હું પસાર થયો નથી. અને જે સંયમજીવન અત્યારે મારા હાથમાં છે એ જીવનમાં હવે એ બંનેમાંથી એકનો પણ અનુભવ મને થવાનો નથી કારણ કે આ જીવનમાં એ બંનેના સ્પર્શનો તો નિષેધ છે જ પરંતુ સહવાસનો યાવત્ સંપર્કનો પણ નિષેધ છે. આમ છતાં આગમ ગ્રંથોમાં, ચરિત્ર ગ્રંથોમાં મેં પ્રભુનાં વેરાયેલાં જે પણ વચનો વાંચ્યા છે અને ગુરુજનોના મુખે પ્રભુનાં જે પણ વચનો મેં સાંભળ્યા છે વર્તમાન સંસારમાં અત્ર-તંત્ર બનતા જે પણ પ્રસંગો ૨ જોવા, જાણવા, સાંભળવા મને મળી રહ્યા છે એ તમામને આંખ સામે રાખીને અહીં પત્રવ્યવહારના માધ્યમે તારી સમસ્યાનું સમાધાન આપવા હું પ્રયાસ કરવા ધારું છું. અલબત્ત, એક વાત તને પૂછ્યા પછી જ હું એ દિશામાં આગળ વધીશ. તારા મનમાં દવાના વિચારો વધુ ચાલે કે ભોજનના વિચારો ? તારો સ્પષ્ટ જવાબ આ જ હશે કે દવાના વિચારો તો શરીર રોગગ્રસ્ત હોય ત્યારે જ આવે પરંતુ ભોજનના વિચારો તો શરીર તંદુરસ્ત હોય ત્યારે પણ આવે ! હવે બીજો પ્રશ્ન. ભોજનના વિચારો વધુ આવે કે પ્રાણવાયુના વિચારો વધુ આવે ? તારો સ્પષ્ટ જવાબ આ જ હશે કે ભોજનના વિચારો તો કદાચ ભૂખ લાગે ત્યારે જ આવે પરંતુ પ્રાણવાયુના વિચારો તો પ્રતિસમય આવે ! તાત્પયાર્થ આનો સ્પષ્ટ છે. જે ચીજનો ઉપયોગ નિયત સમય કે નિયત સંયોગ પૂરતો જ હોય છે એના વિચારો ઓછા આવે છે જ્યારે જેનો ઉપયોગ વધુ સમય કે વધુ સંયોગોમાં કરવાનો હોય છે એના વિચારો વધુ આવે છે.Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 51