________________
સંસાર : પૈસો બધે જ | અધ્યાત્મ : મોહ બધે જ
બે નંબરમાં - પુણ્યબંધ કરી નહીં શકાય
સંસારનું એક પણ ક્ષેત્ર પ્રાયઃ તમને એવું જોવા નહીં મળે કે જ્યાં પૈસો નહીં ઘૂસ્યો હોય. ચાહે ગાડી લો કે બંગલો લો, અનાજ લો કે સાબુ લો, કપડાં લો કે ટી.વી. લો, દાંતિયો લો કે બ્રશ લો. પૈસાનો પ્રવેશ એ દરેકમાં છે જ.
પણ સબૂર ! મારે તો અહીં એક અલગ વાત કરવી છે. અધ્યાત્મજગતનો એક પણ યોગ એવો લાવો કે જેમાં મોહ ઘૂસી જવા તૈયાર થઈને ન બેઠો હોય. પછી એ યોગ ચાહે સ્વાધ્યાયનો હોય કે તપશ્ચર્યાનો હોય, પ્રવચનનો હોય કે લેખનનો હોય. વૈયાવચ્ચનો હોય કે ભક્તિનો હોય!
આ ભયસ્થાનને હિસાબે જ તો અધ્યાત્મસારમાં સ્પષ્ટ લખી દીધું છે ‘અમે અધ્યાત્મ તો એને જ કહીએ છીએ કે જેમાંથી મોહનો અધિકાર ઊઠી જ ગયો હોય !” આપણી પાસે અધ્યાત્મનું સ્વામિત્વ ખરું ?
કર્મજગતની એક વરવી વાસ્તવિકતાને મારે-તમારે અને આપણે સહુએ સતત આંખ સામે રાખવાની જરૂર છે. આ રહી એ વરવી વાસ્તવિકતા.
પુણ્યકર્મને તમે બે નંબરમાં ઉદયમાં લાવી શકો છો પરંતુ પુણ્યકર્મનો બંધ તો તમે એક નંબરમાં જ કરી શકો છો.
આનો અર્થ? આધાકર્મી ગોચરી લાવીને તમે પુણ્ય ઉદયમાં લાવી તો શકો છો પણ પુણ્ય બાંધવા માટે તો તમારે નિર્દોષ ગોચરીનાં શરણે જ જવું પડે છે. | માયાના સેવન દ્વારા ગુરુદેવ પાસે ધાર્યું કામ કરાવવામાં તમે સફળ તો બની શકો છો પરંતુ શુભકર્મના બંધ માટે તો તમારે સરળ જ રહેવું પડે છે.
તપાસતા રહેજો મનને. એને આકર્ષણ શેનું છે? બે નંબરી પુણ્યોદયનું કે એક નંબરી પુણ્યબંધનું?