________________
દેવને પણ દુર્લભ મહાન સત્તાશીલ રાજરાજેશ્વર : નામ દશાર્ણભદ્ર.
એના ખજાને કોઈ વાતની ખોટ નહિ. એને પોતાના ખજાનાનું ભારે અભિમાન ! ભગવાન મહાવીરનો એ પરમ ભક્ત !
ભગવાન પાટનગરીમાં આવવાના સમાચાર આવ્યા. રાજાએ વિચાર કર્યો કે સામૈયું એવું કરું કે દેવો પણ કરી શકે નહિ.
એણે પોતાની ચતુરંગી સેના, રત્ન-મણિક્યથી ભરેલો ખજાનો, સૌંદર્ય ને ગીતભર્યું અંત:પુર ને ખંડિયા રાજાઓને સામૈયામાં નોતર્યા.
લોકોએ કહ્યું કે “અભૂતપૂર્વ સમૃદ્ધિ ! અપૂર્વ વૈભવ ! આવું સામૈયું ન થયું કે ન થશે !”
દેવોના રાજા ઇન્દ્રને થયું કે ભક્તિ જુદી વસ્તુ છે; ને અભિમાન જુદી વસ્તુ છે. અભિમાન ને અહંકાર ભક્તને દુર્ગતિમાં નાખે છે. માટે આને બોધપાઠ આપું. - દેવરાજ સામૈયું લઈને આવ્યા. અહોહો, શું એનો વૈભવ ! શું એની છટા ! દશાર્ણભદ્રના હાથીને એક સુંઢ : દેવરાજના હાથીને સાત સુંઢ ! રાજાના ઘોડાને ફક્ત ચાર પગ; દેવરાજના ઘોડાને પગ ને પાંખો બંને ! સેના તો જાણે સાગર જોઈ લો ! ગણી ગણાય નહિ.
દશાર્ણભદ્રના અહંકારને ફટકો પડ્યો, એણે વિચાર કર્યો કે હું એવું કરી બતાવું કે દેવરાજ જોયા જ કરે !
એણે સપરિવાર રાજપાટ ત્યાગી દીક્ષા અંગીકાર કરી. દેવરાજ ઇન્દ્ર બધું કરી શકે, પણ દીક્ષા લઈ ન શકે ! દેવને એ દુર્લભ વસ્તુ હતી.
દેવરાજ ઇન્દ્ર રાજા દશાર્ણભદ્રને હરાવી શક્યો, પણ સાધુ દશાર્ણભદ્રના ચરણે આવીને નમ્યો.