________________
૩૫
સંશોધન તો જ્યાંથી માહિતી મેળવવાની હોય ત્યાંનો પ્રત્યક્ષ સંપર્ક, તે પરિસ્થિતિ અને વાતાવરણનું જ્ઞાન વગેરેની અપેક્ષા રાખે છે. ઝિલ્યેરોએ ૧૮૮૦–૮૧માં બે સ્થાનિક બોલીનો અભ્યાસ કરીને પુસ્તિકા બહાર પાડી. ત્યાર પછીથી તેમણે ફ્રેંચ ભાષાનું ભૌગોલિક ચિત્ર તૈયાર કરવા અને પેટાભાષાઓના ક્ષેત્રવિસ્તારની માહિતી મેળવવા ધાર્યું. આ માટે તેમણે ૧૯૦૦ પ્રયોગો (શબ્દો, વાકયો વગેરેના) પસંદ કર્યા. સમાન અંતરનો માનદંડ રાખીને તેમણે ફ઼્રાંસના ૩૭,૦૦૦ ગામોમાંથી ૬૩૯ કેન્દ્રો પસંદ કર્યાં. આ કાર્ય માટે તેમણે એદમૉ (૧૮૪૮–૧૯૨૬) નામના એક દુકાનદારની પસંદગી કરી. એદમૉએ ૧૮૯૭ના ઑગસ્ટની પહેલી તારીખે આ કાર્ય શરૂ કરીને ૧૯૦૧માં પૂરું કર્યું. આ એકત્રિત માહિતી એક સાથે મૂકીને જોઈ તો પહેલાં તો ભારે ધક્કો લાગ્યો. તેમાંથી એમ જણાયું કે પેટાભાષાને કોઈ નિયત ક્ષેત્રમર્યાદા જ નથી! સમોચ્ચારદર્શક રેખા તેમ જ બોલીભેદ દર્શાવતી રેખાઓનાં જાળાં આમાં કારણભૂત હતાં. સમોચ્ચારદર્શક રેખા એટલે ઉચ્ચારણ વડે ક્ષેત્રભેદ દર્શાવતી કાલ્પનિક રેખા. આવી રેખાઓ જ્યાં વિશેષ માલૂમ પડે ત્યાં બોલીનો ફરક કે તફાવત વિશેષ હોય. આવા વિસ્તારને બોલીવિસ્તાર કહી શકાય અને તેનું જુદું નામાભિધાન પણ કરી શકાય. ઝિલ્યેરોના નકશાઓમાં આ પ્રકારની માહિતી આપવામાં આવી હતી. આના પરથી એક જ ભાષાભાષી સમાજ શબ્દોના વપરાશમાં કેટલો બધો જુદો પડતો હોય છે તે જણાયું. આ પ્રકારની સામગ્રીમાંથી ભાષાનાં સ્થળાંતરો, જૂની ભાષાના અવશેષો સાંસ્કૃતિક ક્ષેત્રવિસ્તારો, વિનિમયની સુલભતા વગેરે જેવાં ભાષાના ઇતિહાસને પોષક તત્ત્વો છે તેના વિશે માહિતી પ્રાપ્ય બને છે.
આ બધું કરવા માટે લેખક કહે છે તેમ શાસ્ત્રીય સંશોધનની જરૂર છે. ‘આત્મસંશોધન આણિ આત્મવિશ્લેષણ’ એ આવા શાસ્રીય સંશોધનનું પહેલું પગથિયું છે. આપણા દેશમાં ભાષાના અભ્યાસ અંગેની તો અખૂટ સામગ્રી પડી છે. તેના અભ્યાસથી જે સમજાશે તે, લેખક ઠીક જ કહે છે કે, ભાષાશાસ્ત્રના બધા ગ્રંથો વાંચ્યાથી પણ નહીં સમજાય. લેખકે આ અનુસંધાને ટાંકેલુ મોરિસ માએતેરલિકના નાટકમાંનું દૃષ્ટાંત સૂચક છે. લીલા રંગના પક્ષીના સંશોધન માટે ફોગટ રખડીરખડીને પાછા આવેલાએ ઘેર આવીને જોયું તો પોતાના પાળેલા પોપટનો રંગ લીલો હતો! મર્મ વડે સંશોધનનું મહત્ત્વ અને તેમાં રાખવો પડતો વિવેક દર્શાવવા માટે ડૉ. કાલેલકરની શૈલી કેવી માર્મિક બને છે તેનું આ ઉદાહરણ ગણવું જોઈએ.
પેટાભાષાનું મૂલ્ય
અહીં સુધી લેખકે પેટાભાષાનું જે વિવેચન કર્યું તેના અભ્યાસની જરૂરિયાત વિષે ચોથા પ્રકરણમાં ચર્ચા કરે છે. આ પ્રકરણનું શીર્ષક તેમણે ‘પોટભાષાંચ્યા અભ્યાસાચે મહત્ત્વ' એવું રાખ્યું છે. હજી પેટાભાષા એટલે શુદ્ધ ભાષાનું અપભ્રંશ સ્વરૂપ એવી માન્યતા પ્રવર્તે છે તે બરાબર નથી. આવી માન્યતાને કારણે આ પ્રકારની બોલીઓને મિટાવી દેવાના નિષ્ફળ પ્રયત્નો પણ થયેલા છે. ફ઼ચ રાજ્યક્રાંતિની શરૂઆતમાં ક્રાંતિકારી રાષ્ટ્રીય સમિતિએ આખા ફ઼્રાંસમાં પ્રમાણભૂત ફ્રેંચનું જ્ઞાન મેળવી લેવા માટેનું ફરમાન કાઢયું. પરિણામે આની પ્રતિક્રિયા રૂપે પોતાના પૂર્વજોની બોલીઓને વાપરવાનો આગ્રહ પેદા થયો! બોલીઓના વપરાશને કોઈ પણ પ્રકારનું દબાણ, આમ, રોકી શકવા સમર્થ નથી. બોલી એ રોજિંદા વ્યવહારનું સ્વાભાવિક સાધન છે.
આટલી વાત બોલી વિષે કર્યા પછીથી લેખકે ભારતીય ભાષાઓનાં, જૉર્જ ગ્રીઅર્સને કરેલાં, સર્વેક્ષણની માહિતી આપી છે. જૉર્જ ગ્રીઅર્સને (૧૮૫૧-૧૯૪૬) ઈ.સ. ૧૮૯૪ની