Book Title: Sarvdharn Darshan
Author(s): Gunvant Barvalia
Publisher: Navbharat Sahitya Mandir

View full book text
Previous | Next

Page 87
________________ ૧૭ પંથ કે સંપ્રદાય શરીર છે અને ધર્મ આત્મા છે એક એવું સ્થળ હોય જયાં એક ઝાડ હોય, એક પાંદડું હોય, એક ફળ હોય તે ઝાડ પર એક ફૂલ હોય, તેની એક ડાળ પર એક પંખી બેઠું હોય તો તેને બગીચો ન કહેવાય, કારણ કે તેમાં ઉપવનની સમૃદ્ધિ નથી. જે ઉદ્યાનમાં હજારો છોડ, વૃક્ષ, વેલીઓ હોય, હજારો ફળ-ફૂલ હોય તે બગીચાની શોભા રંગબેરંગી પતંગિયાં વધારશે. મધુકર ગુંજારવ કરશે. હજારો પક્ષીઓને દૂર દૂરથી ત્યાં આવવાનું આકર્ષણ થશે અને સર્વ પક્ષીઓને ત્યાં જ MIGRATE થવાનું મન થશે. બગીચામાં વૃક્ષો ભિન્ન હોય પણ વૃક્ષત્વ એક જ હોય, પક્ષીઓના અલગ અલગ અવાજો હોય પણ માધુર્ય એક જ હોય, ફૂલોની સુગંધ વિવિધ હોય પણ સૌદર્ય એક જ હોય તે જ ઉપવનની સાચી સમૃદ્ધિ છે. એમ ધર્મો ઘણા હોય, તે ધર્મોના પંથ, સંપ્રદાયો, ફિરકા કે ગચ્છ અનેક હોય પરંતુ ધર્મતત્ત્વ એક જ હોય એવું સ્વીકારીએ તો ભિન્નતામાં એકત્વ હશે અને તે એકત્વ જ ધર્મપરંપરાઓનું રક્ષણ અને સંવર્ધન કરશે. પંથ, મત, ગરચ્છ કે સંપ્રદાય વ્યવસ્થા માટે છે. સંપ્રદાય શરીર છે, ધર્મ આત્મા છે એમ સ્વીકારી પંથ, ફીરકા કે સંપ્રદાયમાં રહી ધર્મ કરવો તે માનવજાતનો આદર્શ છે. અલગ અલગ કાળમાં, તે દેશકાળની સાંપ્રત સ્થિતિને લક્ષમાં રાખી, અલગ અલગ ધર્મપ્રવર્તકો, ઋષિમુનિઓ, સંતો, આચાર્યો અને સત્પરુષોએ શાસ્ત્રો, પ્રાંત કે ભાષાને કારણે આચાર કે વિચારની ભિન્નતાને કારણે વિવિધ ધર્મપંથોની પ્રેરણા કરી તેથી અનેક પંથ અને સંપ્રદાયો અસ્તિત્વમાં આવ્યા, પરંતુ તે સઘળામાં જે સનાતન અને પૂર્ણતઃ સત્ય છે તે ધર્મતત્ત્વ જ છે. સત્યને કદી શાસ્ત્રોનું ઓશિયાળું બનાવી શકાય નહિ. પ્રશ્ન ઉદ્ભવે કે વિવિધ ધર્મોના અનેક પંથ સંપ્રદાય, ગચ્છ કે પક્ષ કે મત અહંકારનું પ્રતીક કે વિકાસનું ? દેશકાળ પ્રમાણે જેને ધર્મ, પંથ કે સંપ્રદાયની પરંપરા વિધિ નિધાનમાં જે કાંઈ પોતા કરતાં વધુ સારું છે તેનું બીજો સંપ્રદાય વિવેકપૂર્વક અનુસરણ કે સ્વીકાર કરશે તો તેનો વિકાસ જ થવાનો છે. આશ્રમો, પવિત્ર તીર્થસ્થાનો, મંદિરો કે મંદિરોના વહીવટ કરતી પેઢીઓ, ધાર્મિક સંસ્થાઓ અને તેના ટ્રસ્ટીઓ, મહંતો, સંતો, આચાર્યો, મઠ અને તેના અધિપતિઓની પરમત સહિષ્ણુતા અને પારમાર્થિક દૃષ્ટિ સંતોનું ઉત્કૃષ્ટ ચારિત્ર્ય અને ટ્રસ્ટીઓના હિસાબની પારદર્શકતા કોઈ પણ વિવાદને ટાળી શકે. અન્ય ધર્મી કે અન્ય પંથી માટે સહોદરભાવ પ્રગટ કરે તો પંથો કે સંપ્રદાયો વિકાસનું પ્રતીક બની શકે, મુનિ વાત્સલ્યદીપ ધર્મને આકાશી જળ કહે છે. આકાશનું પાણી પૃથ્વીને સ્પર્શ નથી કરતું ત્યાં સુધી તેના સ્વાદ અને ગુણ એકસરખા હોય છે. પૃથ્વી પર પડ્યા પછી તેના ગુણધર્મો બદલાઈ જાય, સમુદ્રમાં પડે તો ખારું, પૃથ્વી પર અમુક સ્થળે પડે તો પચવામાં ભારે અને અમુક સ્થળે પડે તો પચવામાં હલકું. પૃથ્વીના પાણીમાં ભેદ છે પણ આકાશના પાણીમાં અભેદતા છે. સર્વધર્મ દર્શન ૧૫૦ ૧૫૦ સર્વધર્મ દર્શન

Loading...

Page Navigation
1 ... 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101