________________
૧૦૨
ઉત્તરાધ્યયન સૂત્ર ૨૦. પૂર્વોક્ત કહ્યો તેવો (પાસસ્થા-પતિત), ઉસના (રસલોલુપી), અહાછંદા (સ્વછંદી), સંસત્તા (આસક્ત) અને કુશીલ એમ પાંચ પ્રકારના કુશીલનાં લક્ષણો સહિત-દુરાચારી તથા જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ અને વીર્ય એ પાંચે ગુણોથી રહિત કુશીલ, માત્ર ત્યાગીના વેષને જ ધારણ કરનાર એવો પાપી શ્રમણ આ લોકમાં ઝેરની માફક નિંદનીય બને છે. તેમ જ આ લોકમાં કે પરલોકમાં સુખી પણ થતો નથી.
૨૧. ઉપરના બધા દોષોને જે સદાય ત્યાગી દે અને મુનિઓના છંદમાં સાચો સદાચારી હોય તે જ આ લોકને વિશે અમૃતની માફક પૂજાય છે તથા તેવો જ સાચો સાધુ આ લોક અને પરલોક બંનેને આરાધે છે.
નોંધ : આ લોકમાં સર્વનો વંદનીય બને છે અને પરલોકમાં દિવ્યગતિ પામે છે. અથવા કર્મબંધનથી સર્વથા મુક્ત થઈ જાય છે.
સંયમ લીધા પછી સ્થાનની પૂરતી જવાબદારી વધે છે. હાલવા ચાલવામાં, ખાવાપીવામાં, ઉપયોગી સાધનો રાખવામાં, વિદ્યા મેળવવામાં, ગુરુકુલનો વિનય જાળવવામાં કે પોતાનું કર્તવ્ય સમજવામાં જરાપણ ગફલત થાય તો સંયમ હણાય. અપ્રમત્તતા અને વિવેકને ક્ષણે ક્ષણે સ્થાન આપી ક્રોધ, માન, માયા, લોભ, વિષય, મોહ, અસૂયા, ઈર્ષ્યા આદિ આત્મશત્રુઓનો વિજય મેળવતો જાય અને આગળ વધે તે ધર્મશ્રમણ કહેવાય. જો મળેલાં સાધનોનો દુરુપયોગ કરે કે પ્રમાદી બને તો પાપી શ્રમણ કહેવાય. માટે શ્રમણ સાધકે ખૂબ સાવધાન રહેવું અને સમાધિ સાધવી.
એમ કહું છું : એમ પાપી શ્રમણનું સત્તરમું અધ્યયન પૂર્ણ થયું.