Book Title: Vijyanandsuri Swargarohan Shatabdi Granth
Author(s): Navinchandra Vijaymuni, Ramanlal C Shah, Shripal Jain
Publisher: Vijayanand Suri Sahitya Prakashan Foundation Pavagadh
View full book text
________________
જયવંતસૂરિ કૃત સીમંધરસ્વામીલેખ
જયંત કોઠારી જયવંતસૂરિ સોળમા સૈકામાં થઈ ગયેલા જૈન સાધુકવિ છે. એ વડતપગચ્છની રત્નાકર શાખાના સાધુ હતા અને ઉપાધ્યાય વિનયમંડનના શિષ્ય હતા. એ પોતાને જયવંતસૂરિ ઉપરાંત ઘણી વાર તો જયવંત પંડિત તરીકે ઉલ્લેખે છે અને એમનું ગુણસૌભાગ્યસૂરિ એવું અમરનામ પણ મળે છે. કવિ સંસ્કૃત કાવ્યશાસ્ત્રના અભ્યાસી હોય એવું જાણવા મળે છે. અને સંસ્કૃત-પ્રાકૃત કાવ્યપરંપરાનો પણ એમને ઊંડો પરિચય હશે એવું એમની કૃતિઓ બતાવે છે. - કવિની બે રાસકૃતિઓ - શૃંગારમંજરી (૧૫૫૮) અને ઋષિદના રાસ (૧૫૮૭) - ઉપરાંત સ્તવન, લેખ(પત્ર), સંવાદ, ફાગ, બારમાસા વગેરે પ્રકારની કેટલીક કૃતિઓ અને ૮૦ જેટલાં ગીતો મળે છે. એમાં કવિની એક ભાવ કવિ તરીકેની પ્રતિભા ઉપસી આવે છે અને અલંકારો, વિવિધ અભિવ્યકિત તરાહો અને વાભંગિઓ, પદ્યબંધો, સમસ્યાબંધો, સુભાષિતો વગેરે પરનું કવિનું અજબ પ્રભુત્વ પ્રતીત થાય છે. કવિને સર્વ રીતિના આલેખનની ફાવટ છે, પણ એમની કૃતિઓમાં ચક્રવર્તી છે તે તો નેહરસ જ. તીર્થકર સ્તવના પણ પ્રેમલક્ષણા ભકિતને રંગે રંગાયેલી છે. આ રીતે, ખરેખર અને ઉચ્ચ કવિત્વગુણે કરીને આ જૈન સાધુ મધ્યકાલીન સાહિત્યના એક પ્રથમ પંકિતના સર્જક કવિ બની રહે છે.
સીમંધરસ્વામીલેખ કયારેક સીમંધરસ્વામીસ્તવન તરીકે પણ ઉલ્લેખાયેલ છે. એમાં જયવંત પંડિત એવી કવિનામછાપ છે ને કવિએ પોતાને ઉપાધ્યાય વિનય મંડનના શિષ્ય તરીકે ઓળખાવેલ છે. એમણે આ કૃતિ આસો સુદ ૧૫ ને શુક્રવારે રચી હોવાનું પણ નિર્દેશ્ય છે. આ તિથિ-વરસ. ૧૫૯૯ એટલે ઈ. ૧૫૪૩માં પડે છે એવું કનુંભાઈ શેઠે (શૃંગારમંજરી, ૧૯૭૮, પૃ ૧૦) જણાવ્યું છે. પણ આ બાબત શંકાસ્પદ જણાય છે. ૧૫૫૮માં શૃંગારમંજરી પોતે લઘુ વયે રચેલી છે એમ કવિએ કહ્યું છે. તેમાં લઘુ વય એટલે વીસ-પચીસ વર્ષથી વધારે ઉંમર સંભવી ન શકે, ને તો, ૧૫૪૩ માં કવિ દશેક વર્ષથી વધારે ઉંમરના ન હોઈ શકે. આમેય, આસો સુદ ૧૫ ને શુક્રવાર ઘણાં વર્ષોમાં આવી શકે.
અહીં મુદ્રિત થયેલા પાઠમાં કૃતિ ૩૭ કડી ધરાવે છે. તેમાં કૂપદ એટલે ધ્રુવપદ કે આણી આંચલીની પાંચ કડી છે તે ઉમેરીએ તો કુલ ૪૨ કડી થાય. કૃતિમાં ઢાળ નિર્દેશ નથી પણ એ, આ રીતે, સ્પષ્ટપણે પાંચ ઢાળની કૃતિ છે. (મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્યમાં બે ઢાળ કહી છે તે ભૂલ છે.) બધી જ ઢાળમાં ત્રણ-ચાર ચરણની આખી કડીની યુવા એ આ કૃતિના પદ્યબંધની એક ધ્યાન ખેંચતી લાક્ષણિકતા ગણાય. બે ઢાળમાં દેશીનો નિર્દેશ છે, પણ રાગનો નિર્દેશ બધી ઢાળમાં છે. હસ્તપ્રતોમાં આ નિર્દેશો થોડા જુદા પણ પડે છે.
૧૭૪
શ્રી વિજયાનંદસૂરિ સ્વર્ગારોહણ શતાબ્દી ગ્રંથ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org