Book Title: Adhar Pap Sthanakni Sazzaya
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
મિથ્યાત્વશલ્ય નામના અઢારમા પાપસ્થાનકની સજ્ઝાય
રાંધણ છઠ્ઠ વિગેરે પર્વે આત્માર્થની સાધનાથી શૂન્ય હોવાથી સાચાં પર્વ જ નથી. છતાં તેની ઉપાસના કરવી, તેવાં પર્વોને પર્વ માની ઉજવવાં, તેમાં આ મિથ્યાત્વ લાગે, કૃષ્ણ ભગવાનની જન્માષ્ટમી જુગાર રમવાથી ઉજવાય, નોરતાનું પર્વ મૈથુનસંજ્ઞાના તોફાનથી ઉજવાય, શિવરાત્રીનું પર્વ ભાંગ પીવાથી ઉજવાય, આવી અવળી માન્યતા તે આ મિથ્યાત્વ છે.
(૪) લોકોત્તર દેવગત મિથ્યાત્વ - અજ્ઞાન ક્રોધ આદિ અઢાર દોષોથી રહિત એવા વીતરાગ અરિહંત પરમાત્મા એ લોકોત્તર દેવ છે. જન્મ-જરા-મૃત્યુના નિવારણ માટે અને આત્માના શુદ્ધ સ્વરૂપાત્મક મુક્તિસુખ માટે આ અરિહંત પરમાત્માની સેવા-પૂજા-વંદના કરવાની હોય છે. તે માટે ધર્મ આરાધવાનો છે. તેને બદલે ભૌતિક સુખ માટે, સાંસારિક વિષયો માટે આવા લોકોત્તર દેવોની ઉપાસના કરવી તે આ લોકોત્તર દેવગત મિથ્યાત્વ છે.
(૫) લોકોત્તર ગુરુગત મિથ્યાત્વ - ઉત્તમ, અધ્યાત્મી મહાત્માઓની સેવા ધન-પુત્રાદિ સાંસારિક સુખની ઇચ્છાએ કરવી અથવા સ્વચ્છંદી, આશાબાહ્ય, કેવલગુરુવેષ ધારીની સેવા કરવી તે લોકોત્તર ગુરુગત મિથ્યાત્વ કહેવાય છે. યોગશાસ્ત્રના બીજા પ્રકાશના આઠમા શ્લોકમાં ગુરુનું આવું લક્ષણ કહેલું છે
महाव्रतधरा धीरा, भैक्षमात्रोपजीविनः । सामायिकस्था धर्मोपदेशका गुरवो मताः ॥८॥
૨૨૩
મહાવ્રતને ધારણ કરનારા, ધીરસ્વભાવવાળા, ભિક્ષા માત્રથી જીવન પસાર કરનારા, સામાયિકમાં રહેલા અને સાચા ધર્મમાર્ગનો ઉપદેશ આપનારા ગુરુઓ કહેલા છે. આવા ગુરુઓની સંસાર સુખ અર્થે ઉપાસના કરવી અથવા આવા પ્રકારના ગુણો વિનાના કેવળ વેષધારી ગુરુઓની ઉપાસના કરવી તે આ પ્રકારનું મિથ્યાત્વ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org