________________
(૩૦૨)
આવા દેહો પૂર્વે અનંતવાર ધારણ કર્યા છે. તે વખતે ભ્રાંતિપણે પરને પોતાનું માની, સંયોગભાવમાં તન્મય થઈ અનંત સંસાર ઉત્પન્ન કર્યાં છે એમ જાણી, સર્વ અન્યભાવથી રહિત આત્મસ્વરૂપ છે એમ ચિંતવન કરવું.
આત્મા અસંગ, શુદ્ધ ચૈતન્યસ્વરૂપ, સર્વ અન્યભાવનો જ્ઞાતા, દષ્ટા, સાક્ષી છે. કોઈ કાળે, પરદ્રવ્ય પોતાના થયા નથી, ભ્રાંતિપણે મેં પોતાના માન્યાં હતાં. હવે સદ્ગુરુને આશ્રયે પર તે પર અને મારું સ્વરૂપ સર્વ પરદ્રવ્યથી જૂદું એવું જ્ઞાન દર્શન ચારિત્ર અને વીર્યરૂપ છે, એમ અનંત ચતુષ્ટય શુદ્ધ ચૈતન્યસ્વરૂપનું ધ્યાન અખંડ રાખવું. પરવૃત્તિમાં પડવું નહિ કે અન્ય સંકલ્પ
વિકલ્પ કરવા નહિ. સંકલ્પ વિકલ્પ ઊઠે કે તરત જ એને શમાવી દેવા અને ઉપર જણાવેલા ‘‘સહાત્મસ્વરૂપ’’ના ધ્યાનમાં પડી જવું.
સંસાર ભ્રાંતિસ્વરૂપ છે, ઝાંઝવાના નીરની પેઠે દેખવા માત્ર છે. આ જીવે અનંત અનંત ભવો, ચાર ગતિ અને ચોર્યાસી લાખ જીવ યોનિમાં પરિભ્રમણ કર્યું છે. જે જે દેહ ધારણ કર્યાં તે તે સર્વ દેહમાં એણે તદાકાર અને પોતાપણું માની તીવ્ર રાગ કર્યો છે પરંતુ તે દેહો કોઈ પોતાના થયા નથી. તેમ આ દેહ પણ પોતાનો છે જ નહી.
અનાદિકાળનો આ જીવ કર્મવશાત્ એકલો આવ્યો છે, એકલો જવાનો છે અને પોતાના કરેલા કર્મોનું ફળ એકલો ભોગવવાનો છે, છતાં અન્ય સંયોગમાં એટલે સ્ત્રી, પુત્રાદિકમાં પોતાપણું માની તીવ્ર રાગ કરી અનંત સંસાર ઉત્પન્ન કર્યાં અને ભવિષ્યમાં ભોગવવા પડે એવા માઠાં કર્મો તે નિમિત્તે ઉત્પન્ન કર્યાં
છે.
હવે આ દેહ વડે કરીને નિરંતર આત્મભાવના ભાવવી, અનિત્યાદિ બાર-ભાવનાઓનું ચિંતવન વિશેષ રાખવું. જો પોતાથી વાંચી શકાય તો ઠીક, નહી તો બીજા પાસે તેવું પુસ્તક વંચાવવું કે જેની અંદર બાર ભાવનાઓનું સ્વરૂપ હોય. છતાં કોઈ વાંચનારનો જોગ ન મળે અને પોતાથી પણ વંચાય તેવું ન હોય તો બીજા કષાયમાં વૃત્તિ ન મૂકતાં, મંત્રનો જાપ અહોનિશ કર્યા કરવો અને વૃત્તિ તે જાપમાં, મંત્રમાં ઠરાવી, સર્વ વાત ભૂલી જઈ, સર્વ સ્વપ્નવત્ જાણી, તે મંત્રમાં જ નિરંતર રહેવું.