________________
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩ | અધ્યાય-૭ / સૂત્ર–૩૨
૨૨૧
તો સમભાવના પરિણામમાં મ્લાનિ થાય છે. વાસ્તવમાં જીવવાની આશંસાથી જીવનની પ્રાપ્તિ થતી નથી કે મરણ દૂર જતું નથી; પરંતુ જીવવાની આશંસારૂપ રાગનો પરિણામ સંલેખના દ્વારા ઉત્તમભાવની પ્રાપ્તિમાં વિઘ્નભૂત બને છે. માટે નિરર્થક વિચારણા કરીને ચિત્તને કાલુષ્યવાળું કરવું જોઈએ નહીં. સંલેખનાકાળમાં શ્રાવકે વિચારવું જોઈએ કે જીવન કે મૃત્યુ પ્રત્યે જો મારો પરિણામ સમાન હશે તો જીવીશ તોપણ શુભભાવોની વૃદ્ધિ થશે અને મૃત્યુ પામીશ તોપણ સદ્ગતિની પ્રાપ્તિ થશે. જો મારો પરિણામ જીવિતઆશંસાથી કલુષિત થયો હશે તો જીવીશ તોપણ હિત થશે નહીં અને મરીશ તોપણ હિત થશે નહીં. માટે સંલેખનાકાળમાં જીવિતઆશંસાનું કોઈ પ્રયોજન નથી; જે જીવિત આશંસાથી અનર્થની પ્રાપ્તિ છે તેવી આશંસાથી સર્યું. આ પ્રકારે ભાવન કરીને શ્રાવકે કષાયની સંલેખનામાં ઉદ્યમ કરવો જોઈએ.
(૨) મરણઆશંસાઅતિચાર -
વળી સંલેખના સ્વીકાર્યા બાદ શ્રાવકને જીવસ્વભાવે શરીર આદિ સંબંધી પ્રતિકૂળતામાં ખેદ ઉત્પન્ન થાય તો તે પીડામાંથી છૂટવાના ઉપાયરૂપે તેને મૃત્યુ જ દેખાય છે, તેથી તે મરણની આશંસા કરે છે. વસ્તુતઃ મરણની આશંસાથી મ૨ણ થતું નથી અને તે પીડાથી છૂટકારો પણ થતો નથી; પરંતુ તે પીડામાં ઉપયોગ હોવાને કા૨ણે અતિના પરિણામથી પીડાની જ વૃદ્ધિ થાય છે, તે વખતે પીડાને અલ્પ કરવાનો સાક્ષાત્ ઉપાય સમભાવનો જ પરિણામ છે.
જે મહાત્માએ સમભાવમાં ચિત્તને સ્થિર કરવાને અનુકૂળ અભ્યાસ સુસ્થિર કર્યો છે તેવા મહાત્માઓને શરીર સંબંધી પીડાકાળમાં પણ તે નિમિત્તને પામીને સમભાવની જ વૃદ્ધિ થાય છે. આથી જ સનતકુમાર મુનિને રોગથી જ સમભાવની વૃદ્ધિ થતી હતી. સમભાવની વૃદ્ધિ થાય તો અંતરંગ સ્વસ્થતાના સુખની જ વૃદ્ધિ થાય છે, શરીરના દુઃખની પીડા જો સમભાવની વૃદ્ધિનું અંગ હોય તો અગણ્ય બને છે. જેમ ધનવૃદ્ધિ માટે કરાતા શ્રમથી ધનની પ્રાપ્તિ થતી હોય તો તે ધન માટે કરાતો યત્ન પીડારૂપ લાગતો નથી.
જેઓનું ચિત્ત સમભાવને અનુકૂળ યત્ન કરવા સમર્થ નથી, તેઓને પીડાના નિમિત્તે મરણની આશંસા થાય છે. આમ છતાં આ મરણની આશંસા મારી સંલેખનામાં અતિચારરૂપ છે તેવું સ્મરણ થાય અને દૃઢ પ્રયત્ન દ્વારા તે આશંસાનો પરિહાર કરીને જો તે શ્રાવક સૂત્રથી આત્માને ભાવિત કરવા યત્ન કરે તો મરણની આશંસાના નિવર્તનને કારણે વૃદ્ધિ પામતા સમભાવના બળથી તે શ્રાવક અવશ્ય ઉત્તરના ઉત્તમભવને પ્રાપ્ત કરે છે. જે શ્રાવકનું ચિત્ત સમભાવને અનુકૂળ યત્ન કરવા માટે સમર્થ બન્યું નથી અને રાસિક વૃત્તિથી સંલેખના કરેલ છે તથા સંલેખનાકાળમાં કષાયોની સંલેખના કરવામાં અસમર્થ એવો તે શ્રાવક પીડાથી વ્યાકુળ થઈને મરણની આશંસાપૂર્વક મરણ કરે તો ઉત્તરના ઉત્તમભવની પ્રાપ્તિને બદલે હીન ભવ પ્રાપ્ત થવાની સંભાવના પણ રહે છે.
(૩) મિત્રાનુરાગઅતિચાર
વિવેકસંપન્ન શ્રાવક પોતાની ભૂમિકાનું સમ્યગ્ સમાલોચન કરી અણસણનો સ્વીકાર કરે તો જીવિત કે મરણની પણ આશંસા ન કરે, પરંતુ જીવન અને મૃત્યુ પ્રત્યે સમભાવની વૃદ્ધિ થાય તે પ્રકારે શાસ્ત્રવચનનું
: