________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
૩૫૦ ]
[ સ્વાનુભૂતિદર્શન
ધ્યેય (મુખ્ય ) હોવું જોઈએ. મારો આત્મા શાશ્વત છે અને આ દેહ ક્ષણભંગુર છે એમ પોતાના અસ્તિત્વ તરફ પોતાનું જોર આવવું જોઈએ. આ દેહ શાશ્વત નથી, તો શાશ્વત શું છે? શાશ્વત મારો આત્મા છે. આ રીતે શાશ્વત આત્માના ધ્યેયપૂર્વક આ બધું ક્ષણભંગુર છે એ વૈરાગ્ય યથાર્થ છે. ૬૩૮.
પ્રશ્ન:- મુખ્યતા આત્માના સ્વભાવની હોય?
સમાધાનઃ- મુખ્યતા આત્માના સ્વભાવની હોવી જોઈએ. એકલી ક્ષણભંગુરતાનો વૈરાગ્ય આવે અને શાશ્વત આત્મા તરફનું ધ્યેય ન હોય તો તે માત્ર વૈરાગ્ય પૂરતું થાય. માટે શાશ્વત આત્માનું જ ધ્યેય હોવું જોઈએ. આત્મા શાશ્વત છે અને આ બધું ક્ષણિક છે, એટલે શાશ્વત આત્માને જ ગ્રહણ કરવો. આ બહારનું કાંઈ ગ્રહણ કરવા જેવું નથી. એ તો પરદ્રવ્ય છે ને તેમાં ફેરફાર થાય છે, પણ મારો આત્મા એકસરખો શાશ્વત રહેનારો છે-આમ તેને ગ્રહણ કરવો. પોતાના તરફનું-પોતાના અસ્તિત્વનું ગ્રહણ–જોર, ધ્યેય અંદરથી આવવું જોઈએ. જો તે આવે તો યથાર્થપણે ત્યાગ થાય. અંદરથી રાગ છૂટે ત્યારે સાચો વૈરાગ્ય આવે અને તે શાશ્વત આત્માના જોરપૂર્વક આવે છે. ૬૩૯.
પ્રશ્ન:- નિરંતર ભેદજ્ઞાન કરતાં રહેવું?
સમાધાનઃ- અંતરનો સ્વભાવ ઓળખી નિરંતર ભેદજ્ઞાન કરવું. જોકે અંતરથી ભેદજ્ઞાન થાય ત્યારે જ યથાર્થ ભેદજ્ઞાન થાય; પણ તે ન થાય ત્યાં સુધી ભાવના-રટણ કરે. પ્રથમ ભલે વિકલ્પથી ભેદજ્ઞાન કરે, પણ યથાર્થ તો જ્યારે સહજ થાય ત્યારે થાય. દ્રવ્ય ઉપર દષ્ટિ કરવી અને ભેદજ્ઞાન કરવું તે એક જ ઉપાય છે, બીજો કોઈ ઉપાય નથી. ૬૪૦.
પ્રશ્ન:- દ્રવ્યને અકારણ પારિણામિકભાવ કેવી રીતે કહ્યો છે ?
સમાધાનઃ- દ્રવ્યને કોઈ કારણ લાગુ પડતું નથી, તે સ્વતઃસિદ્ધ છે. કોઈના કારણથી દ્રવ્ય પરિણમે એવું હોય તો દ્રવ્ય પરાધીન થઈ જાય. પણ તે તો અનાદિ-અનંત શાશ્વત સ્વત:સિદ્ધ છે ને પોતાની મેળાએ પોતે પરિણમે છે. વિભાવમાં જનારો પણ પોતે અને સ્વભાવમાં જનારો પણ પોતે છે. કર્મ તો માત્ર નિમિત્ત છે. પોતે જ પરિણમે છે, બીજો કોઈ તેને પરિણમાવતો નથી. દ્રવ્ય સ્વતઃસિદ્ધ છે. અનાદિ-અનંત શુદ્ધ છે અને પોતાની પરિણતિમાં પોતાથી અશુદ્ધ થાય છે. ૬૪૧.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com