Book Title: Swadhyaya Author(s): Ramanlal C Shah Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf View full book textPage 1
________________ સ્વાધ્યાય મનુષ્યની પાસે વાણી, ભાષા અને સાહિત્ય ન હોત તો મનુષ્યનું જીવન પશુજીવન જેવું જ રહ્યું હોત. મનુષ્ય પાસે વિકસિત મન અને વાચા છે અને તેથી તે પોતાના વિચારોને અને અનુભવોને સારી રીતે વ્યક્ત કરી શકે છે. અલબત્ત, કેટલાક અનુભવો ઇન્દ્રિયાતીત હોવાથી ભાષામાં તે યથાતથ રજૂ કરી શકાતા નથી. ભાષાનું માધ્યમ તે માટે અપૂર્ણ છે એવી ત્યારે પ્રતીતિ થાય છે. વિકસિત વાણી અને ભાષા દ્વારા માનવજાત પોતાનાં વિચારો, અનુભવો, સંવેદનો, કલ્પનાઓ, એષણાઓ વ્યક્ત કરી શકે છે અને બીજામાં સંક્રાન્ત કરી શકે છે એટલે કે બીજાના ચિત્ત સુધી પહોંચાડી શકે છે. મનુષ્યજીવનને સારું બનાવવા માટે શું ઉપયોગી છે અને શું નિરુપયોગી છે તેની સમજણ એટલે કે સારાસારવિવેક ભાષા વડે મનુષ્ય દર્શાવી શકે છે. લિપિની શોધ પછી ભાષાના માધ્યમ દ્વારા સાહિત્યનું સવિશેષ નિર્માણ થતું રહ્યું છે, અને એક વ્યક્તિએ રચેલું સાહિત્ય સ્થળ અને કાળની મર્યાદા ઓળંગીને અન્ય સ્થળે, અન્ય કાળમાં, અન્ય વ્યક્તિ પાસે પહોંચી જઈ શકે છે. જ્યારે લિપિ નહોતી ત્યારે, ભલે મર્યાદિત પ્રમાણમાં, પણ આવું સાહિત્ય શ્રવણપરંપરાથી, એક વ્યક્તિ પાસેથી સાંભળીને બીજી વ્યક્તિ પાસે, એક પેઢી પાસેથી સાંભળીને બીજી પેઢી પાસે પહોંચી શકતું હતું. એટલા માટે એ સાહિત્યને શ્રુત સાહિત્ય આપણે કહીએ છીએ. આજે “મૃત સાહિત્ય” અથવા “શ્રુતજ્ઞાન' જેવા શબ્દો શબ્દના માધ્યમ દ્વારા પ્રાપ્ત એવા તમામ સાહિત્ય માટે વપરાવા લાગ્યા છે. જે કોઈ વ્યક્તિમાં ભાષાની અભિવ્યક્તિની જરા સરખી પણ શક્તિ હોય છે તે કંઈક વિશિષ્ટ બોલવા કે લખવા પ્રેરાય છે, પરંતુ જેટલું બોલાયું અને લખાયું તેટલું બધું જ કાયમને માટે સંગ્રહી રાખવાની પાત્રતાવાળું હોતું નથી. સમય અને સંદર્ભ બદલાતાં કેટલુંયે સાહિત્ય જુનવાણી થઈ જાય છે અને પોતપોતાનું આયુષ્ય પૂર્ણ કરી કાળના ગર્તમાં વિલીન થઈ જાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 ... 14