________________
એમની અત્યંત નિર્મળ ભાવનાના કારણે સાહિત્ય-ફાઈલો મંગાવી કાગળ જીર્ણ હોવાથી ઝેરોક્ષ કરાવી અને મારા લઘુગુરુબંધુ આચાર્ય શ્રીહેમપ્રભસૂરિજીએ ઘણી બધી જવાબદારીની વચ્ચે આ જવાબદારી લીધી અને કાર્ય આરંભાયું. બધા લેખકોના-તે-તે પૂજ્યોના લેખો એકત્રિત કરીને એકદમ સુંદર સંકલના કરી અને તેમાં મુખ્ય વાંચન સરલ સ્વભાવિ, આચાર્ય વિજય મનમોહનસૂરિજીએ કરી આપ્યું અને બે ભાગ થાય તેટલું મેટર તૈયાર થયું અને તે આજે આપના હાથમાં બે ભાગમાં વિશિષ્ટ દળદાર ગ્રંથ તરીકે પ્રકાશિત થયું છે.
મારી તો નાદુરસ્ત તબીયતના કારણે મેં તો ફક્ત સલાહ-સૂચન આપી છે. બાકી ધર્મચક્રના માધ્યમે સુશ્રાવક મફતભાઈ ડીસાવાળાના તંત્રી સ્થાનેથી પ્રગટ થયેલા પૂજ્યો અને સાધકો દ્વારા કરાયેલા ચિંતનો અને લેખો છે. પૂજ્યોની શુભ-ઉત્તમ ભાવનાઓ ભરપૂર આ લેખોનું વાંચન-ચિંતન-મનન કરીને આપણા જીવનમાં નમસ્કાર પ્રત્યે નિષ્ઠા મૈત્રાદિ ભાવોથી ભાવિત કરવા દ્વારા પરમપદ તરફ પ્રયાણ કરતા વહેલી તકે પરમપદને પામવા સદ્ભાગી બનીએ.
પંન્યાસ વજસેન વિજય