Book Title: Anandghan ni Atmanubhuti 06
Author(s): Kalyanbodhivijay
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 12
________________ અભિરુચિમાં આગળ વધો. ક્યાંય અટકો નહીં. સુખની પાછળ જ દોડો, પણ નિયમ એટલો રાખો કે એ સુખ તુચ્છ કે ચીલાચાલુ ન હોવું જોઇએ. સુખ તો શ્રેષ્ઠતમ જ હોવું જોઇએ. આ દોટનું જે પૂર્ણવિરામ હશે, એ હશે આત્માનુભૂતિનું પરમ સુખ. निर्वेदी वेदन करे, वेदन करे अनंत । સ્વાધ્યાયમાં મગ્ન હતો એક સાધક. અચાનક એના કાને સંગીતના સૂરો સ્પર્યા. બેન્ડનો સુમધુર અવાજ, લોકોનો આનંદ-કિલ્લોલ કરતો સ્વર... સાધકનું મન ખેંચાઈ ગયું. સ્વાધ્યાય છોડીને એ ગેલેરીમાં દોડી ગયો. રોડ પરથી પસાર થતા સરઘસને જોવા – સાંભળવા લાગ્યો. સાધકનું આ વર્તન સદ્ગુરુથી છાનું ન રહ્યું. - સાંજ પડી. સદ્ગુરુએ એને બોલાવ્યો. સાધક પોતાના પ્રમાદ બદલ લજ્જિત હતો. પોતાને ખૂબ બાહ્યભાવ સતાવે છે. સદ્ગુરુએ એને રંગે હાથે પકડ્યો છે. પોતે એક અપરાધી છે. એવા ભાવોનું મિશ્રણ તેના ચહેરા પર સ્પષ્ટ વર્તાતુ હતું. સદ્ગુરુ શું કહેશે? ખૂબ કઠોર ઠપકો આપશે? ‘અંતર્મુખતા ખાતર મેં આપેલા સંસ્કારોની આવી અવજ્ઞા?’ આવો કોઈ હૃદયવેધક પ્રશ્ન સદ્ગુરુ પૂછશે તો? આવી અનેક મૂંઝવણોથી એ સાધકનું માનસજળ ખળભળી ઉઠ્યું હતું. સદ્ગુરુએ મૃદુ સ્વરે કહ્યું, “આજે તું સરઘસ જોવા ગયો હતો ને...’’ સાધકના હૃદયના ધબકારા વધી ગયા, સદ્ગુરુએ વાક્ય પૂરું કર્યું, “એ મને બહુ ગમ્યું.’’ સાધકને મન નવી સમસ્યા ઉભી થઈ. પણ સમાધાન આપવા માટે જ તો સદ્ગુરુ બેઠા હતાં... ‘‘તારી આ રુચિ જ તને મોક્ષે પહોંચાડશે, તારી આ જિજ્ઞાસા જ તને કેવળજ્ઞાન અર્પણ કરશે.’' Juin Equclliso દિગ્મૂઢ થઈને સાધક સાંભળી રહ્યો હતો. એક બાજુ મંદ મંદ પવન રેલાઇ રહ્યો હતો, બીજી બાજુ ગુરુનાં મુખ પર મધુર સ્મિત રેલાઈ રહ્યું હતું. તો ત્રીજી બાજુ સાધકની દશા ત્રીજી જ સમસ્યામાં અટવાતી હતી. સદ્ગુરુએ વાત્સલ્યની ઉષ્માભર્યો હાથ માથે ફેરવ્યો, અને કહ્યું, “સરઘસના દશ્ય અને શ્રવણની તારી જિજ્ઞાસા... એને પામવા માટેનો તારો પુરુષાર્થ જો આટલો છે, તો અનંત દૃશ્ય અને અનંત શેયને પામવા માટે કેટલો પુરુષાર્થ હશે? એકાદ ઇન્દ્રિયના અલ્પકાલીન વિષયને માણવા માટે તું આટલો ભોગ આપી શકે છે, તો સર્વ ઇન્દ્રિયોના સર્વ કાલીન વિષયોનું સર્વ કાળ માટે જ્ઞાન કરવા તું કેટલો બધો ભોગ આપીશ ! વત્સ ! મને પૂરો વિશ્વાસ છે. આજથી તારી અંતર્મુખતા અકલ્પ્ય શિખરોને સર કરશે. પ્રતિક્ષણ તું કેવળજ્ઞાનની દિશામાં પ્રગતિ કરતો રહીશ.'' અંતર્મુખતાના અતૂટ સંકલ્પ સાથે સાધકની આંખો અનરાધાર અશ્રુધારા વહાવી રહી હતી, સદ્ગુરુનો હૂંફાળો હાથ, હજુ પણ તેના માથે ફરી રહ્યો હતો. निर्वेदी वेदन करे, वेदन करे अनंत । વેદનનો એક અર્થ છે દૃશ્ય વગેરેની અનુભૂતિ. ખુલ્લી આંખે અલ્પ દેખાય છે, એના કરતા અનંતગણું જોવું હોય, તો આંખો બંધ કરવી અનિવાર્ય છે. બધેથી છેડા ફાડી લઇને જે માત્ર ‘સ્વ’માં જોડાઇ જાય, એનામાં અનંત ‘પર’ આપો આપ પ્રતિબિંબિત થઈ જાય છે. निर्वेदी वेदन करे, वेदन करे अनंत । અનંત વેદનની આ યાત્રાની ભૂમિકા કર્યા બાદ હવે એ યાત્રાના માઇલસ્ટોન એક પછી એક રજુ થઈ રહ્યા છે.

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32