Book Title: Agam 28 Mool 01 Avashyak Sutra Sthanakvasi
Author(s): Rupabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
શ્રાવક વ્રત
૧૯૯
શ્રાવકના વ્રત સોનાની લગડી જેવા છે. શ્રાવકો પોત-પોતાની શક્તિ અનુસાર એક, બે, ત્રણ વ્રત પણ ધારણ કરી શકે છે અર્થાત્ સાધુના પંચ મહાવ્રતની જેમ શ્રાવકોને એક સાથે બારે વ્રતનો સ્વીકાર કરવો જ જોઈએ, તેવું એકાંતે નથી. ઉત્કૃષ્ટ આરાધક શ્રાવક સમકિત સહિત બાર વ્રત તથા શ્રાવકની પડિમા વગેરે અભિગ્રહ ધારણ કરે છે.
સંલેખના :
१५ अपच्छिमा मारणंतिया संलेहणाझुसणाराहणया । इमीसे समणोवासएणं इमे पंच अइयारा जाणियव्वा, (ण समायरियव्वा) तं जहा - इहलोगासंसप्पओगे, परलोगासंसप्पओगे, जीवियासंसप्पओगे, मरणासंसप्पओगे, कामभोगासंसप्पओगे ।
ભાવાર્થ :- શ્રાવકો અપશ્ચિમ–અંતિમ મારણાંતિક સંલેખનાનું પ્રીતિપૂર્વક અનુસરણ કરે છે. તેના પાંચ અતિચારો શ્રાવકોને જાણવા યોગ્ય છે પરંતુ આચરવા યોગ્ય નથી. તે પાંચ અતિચારો આ પ્રમાણે છે— (૧) ઇહલોક આશંસા પ્રયોગ,(૨) પરલોક આશંસા પ્રયોગ, (૩) જીવિત આશંસા પ્રયોગ, (૪) મરણ આશંસા પ્રયોગ, (૫) કામભોગ આશંસા પ્રયોગ.
વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રમાં શ્રાવકની અંતિમ આરાધનાનું સ્વરૂપ તથા તેના પાંચ અતિચારનું કથન છે. અપ∞િમ મારખંતિય ઃ– અપશ્ચિમ્ અર્થાત્ અંતિમ, મૃત્યુ પર્યંત ચાલતી આરાધના. જીવનની અંતિમ સાધના. શ્રાવક ધર્મારાધનાના લક્ષે શરીરનું પાલન-પોષણ કરે છે. જ્યાં સુધી શરીર સાધનામાં સહાયક બને છે. ત્યાં સુધી પૂર્ણ ઉત્સાહથી સાધના કરે અને જ્યારે શરીર ક્ષીણ થઈ જાય, રોગોથી ઘેરાઈ જાય, સાધનામાં સહાયક બની ન શકે, ત્યારે સાધક આત્મ સાધનાના લક્ષે શરીર સંરક્ષણનો ભાવ છોડી દે છે, ચારે પ્રકારના આહારનો ત્યાગ કરીને એકાંત સ્થાનમાં આત્મચિંતન માટે વિશિષ્ટ અનુષ્ઠાનનો સ્વીકાર કરે છે. આ વ્રતને સંલેખના કહે છે. સંલેખના એટલે શરીર અને કષાયોને કૃશ કરવાની સાધના. સંલેખના સાથે ઝૂષણા અને આરાધના આ બે શબ્દો સંયુક્ત છે. ઝૂષણાનો અર્થ પ્રીતિપૂર્વક સેવન કરવું, આરાધના એટલે સ્વીકૃત વ્રતનું યોગ્ય રીતે અનુસરણ કરવું, જીવનમાં ઉતારવું. સંલેખના વ્રતનું પ્રીતિપૂર્વક અનુસરણ કરવું. સંલેખના જીવનની અંતિમ સાધના છે.
આ વ્રતમાં સાધક ચારે આહારનો, ઇહલૌકિક અને પારલૌકિક સર્વ પ્રકારની કામનાઓનો, જીવન કે મૃત્યુની આશા કે અપેક્ષાનો સંપૂર્ણપણે જીવન પર્યંત ત્યાગ કરીને એકાંતે આત્મભાવમાં સ્થિર થવા પુરુષાર્થશીલ બની જાય છે. સહજ ભાવે મૃત્યુ આવે, ત્યારે તેનો સાહજિક રીતે સ્વીકાર કરે છે. આધ્યાત્મિક દૃષ્ટિથી આ પવિત્ર, ઉન્નત અને પ્રશસ્ત મનઃસ્થિતિ છે. આ પ્રકારના મૃત્યુને શાસ્ત્રકારો પંડિતમરણ કહે છે.
પંડિતમરણમાં દેહાસક્તિનો ત્યાગ થાય છે, દેહાસક્તિનો ત્યાગ થતાં જ શરીરથી સંબંધિત સ્વજનો, ભૌતિક પદાર્થોનું મમત્ત્વ પણ છૂટી જાય છે. એક જન્મના પંડિતમરણથી અનંત કર્મોનો ક્ષય થાય છે, તેથી શ્રાવકના ત્રણ મનોરથમાં પંડિતમરણની ભાવના શ્રાવકના મનોરથ રૂપ છે.
સંથારાની વિધિ :– જીવન પર્યંત શ્રાવકના બાર વ્રતની આરાધના કરનાર સાધક જ્યારે આત્મવિશુદ્ધિના